Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

કોરોનાના લીધે અંતરંગ સંબંધો પર ગંભીર અસર પડે

રિસર્ચમાં થયો મોટો ખુલાસો : કોરોના વાયરસથી છૂટકારો મળ્‍યા પછી પણ મગજ પર તેનો સતત ભાર રહ્યા કરે છે : કોરોનાના દર્દીની નજીકમાં રહેલા વ્‍યકિત પર પણ કોરોનાની અસર દેખાઇ રહી છે

નવી દિલ્‍હી તા. ૪ : કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન માત્ર ગુજરાત જ નહીં પરંતુ દુનિયાભરમાં તેની ગંભીર અસર જોવા મળી હતી. આ લહેર દરમિયાન માત્ર વ્‍યક્‍તિના શરીર જ નહીં પરંતુ મગજ પર પણ તેની ગંભીર અસર જોવા મળી રહી છે. અમદાવાદ, ચંદીગઢ અને મોહાલીની મનોચિકિત્‍સકોની ટીમ દ્વારા બીજી લહેર પછી લોકો પર થયેલી કોરોનાની અસર અંગે અભ્‍યાસ કરવામાં આવ્‍યો હતો. જેમાં દર પાંચમાંથી એક વ્‍યક્‍તિમાં અંતરંગ સંબંધો પર થનારી અસર જોવા મળી, એક તૃતિયાંસ લોકોમાં પોસ્‍ટ-ટ્રોમેટિક સ્‍ટ્રેસ ડિસઓર્ડર અને ઓબ્‍સેસિવ-કમ્‍પલ્‍સિવ ડિસઓર્ડર જેવી સમસ્‍યા જોવા મળી છે.

આ અભ્‍યાસને ‘કોરોનાના લીધે થયેલા માનોચિકિત્‍સક અને ન્‍યુરોસાઈકિયાટ્રિક સમસ્‍યાઃ ભારત તરફથી કેસ કંટ્રોલ ઓનલાઈન સ્‍ટડી'  આપવામાં આવ્‍યું છે. આ અભ્‍યાસ ડો. મૃગેશ વૈષ્‍ણવ, ડો. પાર્થ વૈષ્‍ણવ, ડો. સંદીપ ગ્રોવર, ડો. કમલેશ શર્મા અને ડો. અજીત અવસ્‍થિત દ્વારા કરવામાં આવ્‍યો હતો. જેને તાજેતરમાં ઈન્‍ડિયન સાઈકિયાટ્રિક સોસાયટીની કોન્‍ફરન્‍સમાં રજૂ કરવામાં આવ્‍યો હતો.

ડો. મૃગેશ વૈષ્‍ણવ શહેરના મનોચિકિત્‍સક છે, જેમણે જણાવ્‍યું કે આ અભ્‍યાસ પાછળનો આશય કોરોનાના લીધે થયેલી મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્‍સક અસરો કે જે અજાણી રહી ગઈ છે તેને જાણવાનો પ્રયાસ હતો. આ અભ્‍યાસમાં કુલ ૨૯૬૪ લોકોને સાંકળવામાં આવ્‍યા હતા જેમાં ૧૯૭૫ એવા લોકો હતા કે જેઓ કોરોનાના દર્દી રહી ચુક્‍યા છે, જયારે ૯૮૯ લોકો એવા હતા કે જેઓ કોરોનાના દર્દીઓ સાથે નજીકનો સંબંધ ધરાવતા હોય.

ડો. વૈષ્‍ણવ જણાવે છે કે,  ‘આ અભ્‍યાસમાં જોવા મળ્‍યું કે મોટાભાગના લોકોમાં કોરોનાના લીધે અંતરંગ સંબંધો પર અસર પડી છે. જેની પાછળ મનોવૈજ્ઞાનિક અને શારીરિક પરિબળ જવાબદાર છે.'

દર્દીઓ પર કોરોનાની ગંભીર અસર પડી જેની અસર તેમના સૌથી નજીકના વ્‍યક્‍તિએ પણ અનુભવી રહ્યા છે. જેમાં ઘણાંના મગજ પર એવી અસર થઈ કે કોરોનામાંથી બહાર આવ્‍યા પછી પણ તેમને કોરોનાનો સતત ડર રહેતો હતો જેના લીધે કેટલાક અડધો કલાક કરતા વધુ સમય સુધી હાથ ધોતા રહેતા હતા.

સાજા થયેલા ઘણાં દર્દીઓમાંથી કેટલાકમાં ઊંદ્ય ઉડી જવાની સમસ્‍યા જોવા મળી છે. લગભગ ૨૩% દર્દીઓ એવા હતા કે જેઓ પોતાના હોસ્‍પિટલના દિવસોને ભૂલી શકતા નહોતા. અભ્‍યાસ દરમિયાન જાણવા મળ્‍યું કે, કોરોનાથી સાજા થયેલા લોકો કરતા તેમના સગામાં કોરોનાને લઈને ભારે ડર જોવા મળ્‍યો. કોરોનાના દર્દીઓમાં મ્‍યુકોરમાઈકોસિસનો ડર વધુ હતો.

(11:32 am IST)