Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

સુગર ફેકટરીઓને લઈ ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

હવેથી ખાંડ ઉત્પાદક સહકારી મંડળીઓ ને નિર્દેશ મંડળીમાં ગણવામાં આવશે

ગુજરાત સરકાર દ્વારા 2019માં સહકારી કાયદામાં સુધારો કરી સુગર મિલોને નિર્દિષ્ટ મંડળીમાંથી પ્રાથમિક મંડળીમાં મુકવામાં આવી હતી. જેને સુગર ફેકટરીના સભાસદોએ હાઇકોર્ટમાં પડકારતા શુક્રવારના રોજ થયેલી સુનાવણીમાં હાઇકોર્ટે આ સુધારાને રદબાતલ ઠેરવ્યો હતો.

ગુજરાત રાજ્યમાં કુલ 27 ખાંડ ઉત્પાદક સહકારી મંડળી છે જેમાં લગભગ 4.5 લાખ સભાસદો છે. આ સિવાય ખાંડ ઉત્પાદન ની પ્રવૃત્તિ સાથે 5.5 લાખ લોકો આડકતરી રીતે સંકળાયેલા છે. ગુજરાત રાજ્યમાં ખાંડ ઉત્પાદનનું વાર્ષિક ટર્નઓવર લગભગ 4000 કરોડ રૂપિયા છે. ખાંડ ઉત્પાદન સહકારી મંડળી ખાંડ સહકારી મંડળીઓની અગત્યતા સમજી અને રાજ્ય સરકારે 1982માં ખાંડ ઉત્પાદન સહકારી મંડળીઓને પ્રાથમિક મંડળીમાંથી નિર્દિષ્ટ મંડળીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ 2019માં સરકાર સધારો કરી સુગર ફેકટરીઓને પ્રાથમિક મંડળીમાં મૂકી દેવામાં આવી હતી. જેનો સભાસદોમાં વિરોધ હતો. કેટલાક સભાસદોએ આ સુધારાને કોર્ટમાં પડકાર્યો હતો. દર પાંચ વર્ષે આ ખાંડ ઉત્પાદક મંડળીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી થતી હોય છે. આ ચૂંટણી ૧૯૮૨થી રાજ્ય સરકાર દ્વારા સહકારી કાયદામાં કરેલ સુધારાને કારણે જે તે જિલ્લાના કલેકટર દ્વારા કરવામાં આવતી હતી. કલેકટર આ ચૂંટણીની કામગીરી કરવા ડેપ્યુટી કલેકટર ને ચૂંટણી અધિકારી તરીકે નીમતા હતા. ડેપ્યુટી કલેકટર ચૂંટણી અધિકારી તરીકે કાર્યવાહી કરતા હોય ચૂંટણી માં તટસ્થતા અને નિષ્પક્ષતાનું તત્વ રહેતું હતું અને રહેલ હતું. નિર્દેશ મંડળીમાં સમાવેશ કરવાના કારણે આ સહકારી મંડળીઓ ના કામની પારદર્શકતા માં વધારો થયો હતો. તેમાં મુખ્યત્વે આ મંડળીઓ ની ચૂંટણી મંડળી દ્વારા પોતે નહીં પરંતુ જિલ્લાના કલેકટર દ્વારા કરવામાં આવતી હતી. ચેરમેનની મુદત 2.5 વર્ષની હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા 3.8.2019ના રોજ સહકાર કાયદામાં સુધારો કરવામાં આવ્યો અને ખાંડ ઉત્પાદક મંડળીઓને નિર્દિષ્ટ મંડળીમાંથી પ્રાથમિક મંડળીમાં ઉમેરવામાં આવી હતી. આ સુધારાને કારણે સહકારી કાયદાની કલમ 74 (c)(1)(v) ને રદ કરી જે કલમ દ્વારા ઉત્પાદક મંડળીઓને નિર્દિષ્ટ મંડળીઓમાંથી બાકાત કરવામાં આવેલ હતી. રાજ્ય વિધાનસભાના આ પ્રકારના સુધારાથી ખાંડ સહકારી મંડળીઓમાં જો નવો સુધારેલો કાયદો અમલમાં રહે તો તેના બોર્ડની ચૂંટણી કલેકટર દ્વારા નહીં પરંતુ પરંતુ બોર્ડ દ્વારા પોતાના નિમાયેલા ચૂંટણી અધિકારી દ્વારા થાય જેને પરિણામે ઘણી ગેરરીતિઓ, પક્ષપાત અને ભેદભાવની સંભાવના રહે છે. રાજ્ય સરકારના આ સુધારાને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. તેમના વકીલ તરીકે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અર્ચિત જાની અને અમિત બારોટ ઉપસ્થિત દલીલો કરવામાં આવી હતી. આ અરજીમાં અરજદાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે વિધાનસભાનો આ કાયદો ગેરકાયદેસર, આપખુદશાહી વાળો તેમજ મુક્ત અને ન્યાયી ચૂંટણી કરવાના સિદ્ધાંતની અને સહકારી કાયદાના સિદ્ધાંતની વિરુદ્ધનો છે તેથી તેને રદ કરવો જોઈએ. અરજદારો તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી ૧૯૮૨થી જ્યારે ખાંડ મંડળીઓની ચૂંટણી કલેકટર દ્વારા થતી હોય 2019 આવી ચૂંટણી કરવાની સત્તા કલેકટર પાસેથી લઈને જે તે ખાંડ મંડળીઓને આપવાની કલમ લોકશાહીના સિદ્ધાંતો અને સહકારી કાયદાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આને કારણે ચૂંટણી કરવાના મુક્ત અને ન્યાયી સિદ્ધાંતને ગંભીર અસર પડે છે. જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે પિટિશન મંજૂર રાખતા રાજ્ય સરકાર નો તારીખ 3/8/2019નો સુધારો રદબાતલ કરેલ અને એમ ઠરાવેલ કે આ સુધારા પાછળના કારણો જે સરકાર દ્વારા આપવામાં આવેલ છે જેવા કે ચૂંટણીમાં મંડળીને ખર્ચ થાય છે અને સરકારી અધિકારીઓને તકલીફ પડે છે તે જોહુકમી ભર્યા છે અને બંધારણથી વિરુદ્ધના છે. નામદાર ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાને કારણે હવેથી ખાંડ ઉત્પાદક સહકારી મંડળીઓ ને નિર્દેશ મંડળીમાં ગણવામાં આવશે અને કલમ 74 (c)(1)(v) રદ થયેલી ગણાશે નહિ. આ ચુકાદાને કારણે ખાંડ ઉત્પાદક સહકારી મંડળીઓના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી કલેકટર દ્વારા કરી શકાશે.

(8:57 pm IST)