Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

સૌરાષ્ટ્રથી યાત્રા કરી ભાભર જઈ રહેલી ઈકો ગાડીને શંખેશ્વર પાસે અકસ્માત : બે લોકોના મોત: 8 ઘાયલ

રૂપેણ નદીનો પુલ સાંકડો હોઈ અકસ્માત સર્જાયો: ગાડી દિવાલ સાથે ધડાકાભારે અથડાઈને નીચે પડી

પાટણના શંખેશ્વર પાસે આજે માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. સૌરાષ્ટ્રથી યાત્રા કરી ભાભર જઈ રહેલી ઈકો ગાડીને અકસ્માત નડ્યો હતો. આ ગાડીમાં 10થી વધુ લોકો સવાર હતા. જેમાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે. જ્યારે અન્ય 8 લોકોને ઈજા થતા તેમને શંખેશ્વર સરકાર હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, ભાભરનો માળી પરિવાર સૌરાષ્ટ્રની જાત્રા પર ગયો હતો. પરિવારના 10 જેટલા સભ્યો સૌરાષ્ટ્ર ફરવા ગયા હતા. મોડી રાત્રે સૌરાષ્ટ્ર દર્શન કરીને તેઓ પરત ફરી રહ્યા હતા, શંખેશ્વરની રૂપેણ નદી પર પુલ પર આ બનાવ બન્યો હતો. મુસાફરોથી ભરેલી ઈકો કાર પસાર થઈ રહી હતી તે વેળા ગાડી દિવાલ સાથે ધડાકાભારે અથડાઈને નીચે પડી હતી. આ અકસ્માતમાં એકજ પરિવારના બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા અને 8 લોકોને ભારે ઈજા પહોંચી હતી. તમામ ઈજોગ્રસ્તોને સારવાર માટે શંખેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જોકે, રૂપેણ નદીનો પુલ સાંકડો હોઈ આ અકસ્માત સર્જાયો હોવાનું સ્થાનિકોનું કહેવુ છે.

મૃતકોના નામ

અરજણભાઈ રામજીભાઈ માળી
ધુળીબેન શામજી માળી

ઈજાગ્રસ્તોના નામ

નયનાબેન નરેશભાઈ માળી
નરેશભાઈ અરજણભાઈ માળી
માલતી ભરતભાઈ માળી
કૌશિક મગનભાઈ માળી
દેવશી મગનભાઈ માળી
જેઠીબેન કાનજીભાઈ માળી
મોની અરજણભાઈ માળી
ધાર્મિક મેઘાભાઈ માળી
હંસરાજભાઈ બારોટ
મેઘા સાવજીભાઈ માળી

(7:41 pm IST)