Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

નાગપંચમીના દિવસે બનાસકાંઠાના પાલનપુરના નાગણેજી મંદિરે ભાવિકો ઉમટયાઃ જન્‍માષ્‍ટમી પર્વના નાગપંચમીના દિવસે જ મંદિરના દ્વાર ખુલે છે

અહીં આવવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે : લોકોની આસ્‍થા મંદિર સાથે અતૂટ જોડાયેલી

બનાસકાંઠા: આજે નાગપંચમીનો પવિત્ર તહેવાર છે, ત્યારે નાગદેવતાના દર્શન કરવા માટે સવારથી જ ભક્તોની ભીડ મંદિરોમાં જામી છે. દરેક ભક્ત નાગ દેવતાના દર્શન કરી પૂજા અર્ચના કરવા આતુર છે, ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા નાગણેજી માતાના મંદિરમાં સવારથી જ ભક્તો ઉમટી પડ્યા છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરના દરવાજા વર્ષમાં ફક્ત બે વાર જ ભક્તો માટે ખોલવામાં આવે છે. જેના કારણે આજે નાગપંચમીના દિવસે અહીં દૂર દૂરથી ભક્તો દર્શનાથે ઉમટી પડે છે.

બનાસકાંઠાના પાલનપુર શહેરના રાજગઢી વિસ્તારમાં નાગણેજી માતાનું મંદિર આવેલું છે. આ મંદિર વર્ષમાં ફક્ત બે વાર જ ખૂલે છે. એક શ્રવણ વદ પાંચમ (નાગપંચમી) અને નવરાત્રિના આસો સુદ આઠમના દિવસે તેના દરવાજા ખોલાય છે. આ મંદિરની વાત કરીએ તો, પાલનપુરના નવાબ સાહેબેને સપનામાં નાગણેશ્વરી માતા આવ્યા હતા. નવાબ સાહેબે માતાજી પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગ્યુ હતું. ત્યાર બાદ નવાબ સાહેબને ત્યાં પુત્રનો જન્મ થતા નવાબ સાહેબે 1628ની સાલમાં તેમના મહેલના રાણીવાસના એક ઓરડામાં નાગણેજી માતાની મૂર્તિની સ્થાપના કરી હતી. ત્યારથી લઈને આજ દિન સુધી અહીં નાગપંચમના દિવસે હવન યજ્ઞ થાય છે. તેમજ નવરાત્રિમાં મહાપુજા થાય છે. તેનો લાભ મોટા પ્રમાણમાં ભાવિ ભક્તો લે છે. વર્ષ માં બે વાર આ મંદિર ખૂલતું હોવાથી લોકો આતુરતાથી નાગપાંચમીની રાહ જોઈને બેસ્યા હોય છે. લોકોનું કેહવું છે કે, આ મંદિર ખૂબ જ ચમત્કારિક છે. અહીં આવવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે. લોકોની ભારે આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. 

આ મંદિર વિશે શરદભાઈ આચાર્યનું કહેવુ છે કે, આ મંદિર નવાબ સાહેબે 1628 માં બંધાવ્યું હતું અને મંદિર વર્ષમાં ફક્ત બે જ વખત ખોલવામાં આવે છે. આ ચમત્કારી મંદિરમાં બિરાજેલા નાગણેજી માતા ઉપર લોકોની ભારે શ્રદ્ધા છે. અહીં માતાજીના દર્શન કરવા માટે દૂરદૂરથી ભક્તો આવે છે અને નાગણેજી માતાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

આજે નાગપંચમી પર અમદાવાદથી આવેલા એક શ્રદ્ધાળુ મહેશભાઈ ઠક્કરે કહ્યું કે, મં વર્ષોથી પ્રથા પાળી છે. હું દર વર્ષે અમદાવાદથી અહીં મંદિરે દર્શન કરવા આવું છું. આ મંદિર ખૂબ જ ચમત્કારી છે. નાગણેશ્વરી માતા ભક્તો ઉપર ભારે કૃપા કરે  છે. આ મંદિર વર્ષમાં ફક્ત બે વાર જ ખુલે છે, તેથી હું દર વર્ષે નાગણેજી માતાના દર્શન કરવા આવું છે.

આ પ્રાચીન મંદિરમાં બિરાજેલા નાગણેજી માતાની અલૌકિક મૂર્તિ ભક્તોને ભાવવિભોર કરે છે. લોકો અહીં આવીને નાગ માતાના પૂજા પાઠ અને અર્ચના કરીને મનોકામના પૂર્ણ કરે છે. આજે નાગપંચમી હોવાથી ઠેર ઠેર નાગ દેવતાની પૂજા થાય છે. ત્યારે પાલનપુરમાં આ ચમત્કારી મંદિરમાં બિરાજેલ નાગ માતાના દર્શન માત્રથી દુઃખો દૂર થઈ જાય છે.

(5:14 pm IST)