News of Friday, 27th August 2021
સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના ચતુર્થ વારસદાર આર્ષદ્રષ્ટા યુગદ્રષ્ટા શ્રી મુક્તજીવન સ્વામીબાપા આજથી બરાબર ૭૮ વર્ષ પહેલાં વિક્રમ સંવત ૧૯૯૯ ના શ્રાવણ વદ પાંચમ - નાગપાંચમ, તારીખ ૨૦-૦૮-૧૯૪૩ ને શુક્રવારના શુભદિને મણિનગર પધાર્યા.
શ્રાવણ વદ પાંચમના તા. ર૭ ઓગષ્ટ શુક્રવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યો હતો. યોગાનુયોગ આજે તિથિ અને વાર પણ એ જ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચાર અને પ્રસાર માટે શ્રી મુકતજીવન સ્વામીબાપા સંવત ૧૯૯૯ શ્રાવણ વદ પાંચમ, તા. ર૦-૮-૧૯૪૩ ને શુક્રવારના રોજ એટલે કે આજથી ૭૮ વર્ષ પૂર્વે મણિનગર પધાર્યા હતા. ત્યારે મણિનગરમાં વેરાન જગ્યામાં માત્ર ત્રણ ઓરડી જ હતી. આ પાવન ધરા પર કારણ સત્સંગના પાયા નાંખવા માટે શ્રી મુકતજીવન સ્વામીબાપાએ કમરકસી હતી. એ સમયે કોઈ સુવિધા ન હતી. ભગવાનના થાળ બનાવવા માટે વાસણ પણ ન હતાં. અરે! રસોઈ કરવા માટે કોલસાના કોથળામાં સંતે હાથ નાંખ્યો તો વિંછી હાથમાં આવ્યા. તે પણ એક બે નહીં, પણ વીંછીની લાઈન ચાલી હતી. રસોઈ માટે વાસણ પણ ન હતાં, તેથી કેરોસીનનો ડબ્બો કાપ્યો અને ખીચડી બનાવી અને ભગવાનને થાળ ધરાવ્યો હતો. ખીચડી શ્રી સ્વામિનારાયણ ભગવાનને ધરાવવા માટે સોના ચાંદીના થાળ નહોતા, તેથી પતરાવળામાં ખીચડી ભગવાનને ધરાવી. "રૂડી રાંધી મેં રસિયાજી ખાંતે ખીચડી રે... ꠶ ચોખા દાળ જતન કરી જોઈ, નિર્મળ નીરે ધીરે ધોઈ; મધુરે મધુરે તાપે માખણ શી ચડી રે... રૂડી꠶ "
...અને કારણ સત્સંગના પાયા નાંખ્યા હતા. ત્યારબાદ તેમની આ લોકકલ્યાણ પરિશ્રમના ફળ સ્વરુપે તો હાલ આફ્રિકા, યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા આદિ અનેક દેશોમાં હજારો સત્સંગીઓ બન્યા છે. અને તેઓ ભારતીય સંસ્કારોને સાચવી રહયા છે.
આપણી સૌની ફરજ બને છે કે, શ્રી મુકતજીવન સ્વામીબાપા અને વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના જે આપણી ઉપર ઉપકારો છે, તેને આજે યાદ કરવા જોઈએ અને તેમણે જે નિયમ ધર્મ આપેલા છે તે પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ.
શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે કારણ સત્સંગના ઐતિહાસિક શુભ દિને શ્રી સ્વામિનારાયણ ભગવાનને પરમ પૂજય આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે ખીચડી ધરાવી હતી. અને ઐતિહાસિક અવિસ્મરણીય સ્મૃતિનાં દર્શન કરાવ્યાં હતાં.
આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ હાલતાં – ચાલતાં પાવર હાઉસ છે. જે સર્વના જીવનમાં ભગવાનની ઉર્જા ભરી દે છે અને અનેકના જીવનનો પલટો કરી દે છે. તેમની જાયગામાં જે આવે છે તે સત્સંગના રંગે રંગાઈ જાય છે. અનેક વ્યકિતઓ પોતાના જીવતરની કેડીને રચનાત્મક માર્ગે કંડારી શકયા છે. અનેક પરિવારોની નિરાશાઓ દૂર થઈ છે. પરિવારમાં સ્નેહ - સંપના દીપક પ્રગટયા છે. અનેક યુવાનોમાં સેવાના ધબકાર ઉઠયા છે. વિદેશમાં પણ જને - જને સત્સંગના તેજરશ્મિ ફેલાયાં છે. યુગ દ્રષ્ટા જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ કારણ સત્સંગનું કેન્દ્ર સ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરનું શૂન્યમાંથી વિરાટ સર્જન કર્યું હતું જેને આજકાલ કરતાં ૭૮ વર્ષો પસાર થઈ ગયાં.