Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

સત્તાનો દુરુપયોગ કરીને તડીપારના આદેશ આપનારા સામે હાઈકોર્ટની લાલ આંખ, ચાર ડેપ્યુટી કલેકટરને ૧૦-૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે તડીપારના અનેક આદેશને રદ્દ કર્યાઃ હાઈકોર્ટે સત્તાનો દુરુપયોગ કરીને બેફામ તડીપારના આદેશ આપવા બાબતે ટીકા કરી

અમદાવાદ, તા.૨૭: ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. તેમણે ટકોર કરી છે કે તડીપાર કરવાના આદેશોનો દુરુપયોગ થઈ રહ્યો છે અને ૨૦ કેસમાં રાજય સરકારના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા તડીપારના આદેશોને રદ્દ કર્યા છે. મોટાભાગના કેસમાં બેફામ આદેશો કરતાં ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીઓ વિરુદ્ઘ કાર્યવાહી કરવાની સૂચના પણ રાજય સરકારને આપી છે. ઉના, વલસાડ, વેરાવળ સહિતના ચાર ડેપ્યુટી કલેકટરને ૧૦-૧૦ હજારનો દંડ પણ હાઈકોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા એનઆરસી અને સીએએનો દેશભરમાં વિરોધ થયો હતો. આ વિરોધ કરનારા નાગરિકોને તડીપાર કરવાનો આદેશ રદ્દ કરતાં ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે, અરજદાર ભીડમાં એનઆરસી-સીએએ વિરુદ્ઘ પ્રદર્શન કરતા હતા અને તેમને તડીપાર કરવાના આદેશ કરવામાં આવ્યા છે. નાગરિકો સરકારના કોઈ નિર્ણયનો વિરોધ કરતા હોય તો તેમને આ પ્રકારની સજા સંભળાવી શકાય નહીં. હાઈકોર્ટે આ પ્રકારના ૨૦ કેસ રદ્દ કર્યા છે. નોંધનીય છે કે આ પ્રકારના સૌથી વધારે આદેશો મહુવા, ઊના, બોટાદ, વલસાડ અને વ્યારામાંથી આવ્યા છે.

આટલું જ નહીં, એક કેસમાં વેરાવળના ડેપ્યુટી કલેકટરે આરોપીને દીવથી તડીપાર કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમને રદ્દ કરતાં હાઈકોર્ટે પ્રશ્ન કયો કે, કેન્દ્ર શાસિત પ્રદેશથી તડીપાર કરવાનો આદેશ કેમ કરવામાં આવ્યો. આના જવાબમાં અધિકારીએ જણાવ્યું કે, આરોપીએ વિવિધ ગુના કર્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ તેમની સત્તામાં નથી, પરંતુ જો આરોપીને દીવથી તડીપાર કરવામાં નહીં આવે તો તે ગીર-સોમનાથમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરશે. માટે તેને દીવથી તડીપાર કરવામાં આવ્યો છે. જો કે, સત્તાની બહાર જઈને આદેશો કરી શકાય નહીં માટે તેને રદ્દ કરવામાં આવે છે.

તડીપારના આદેશનો એક કેસ રાજકોટમાં પણ નોંધાયો છે. આ આદેશને રદ્દ કરતાં હોઈકોર્ટે નોંધ્યું કે, રાજકોટમાંથી આવા કેસ દ્યણાં ઓછા સામે આવે છે, પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે અહીં આરોપીને રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, બોટાદ, ભાવનગર, ગીર-સોમનાથ એમ ૧૧ જિલ્લામાંથી તડીપાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અધિકારીને દંડ ફટકારવામાં નથી આવતો, પરંતુ તેમની સામે પગલાં લેવાનું સૂચન કરવામાં આવે છે.

(10:24 am IST)