Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

નડિયાદના ચકલાસીના દંપતિને સંતાનપ્રાપ્‍તિ માટે ભુવાનું શરણ લેવુ ભારે પડયુઃ ભુવાએ પરિણીતાને એક મહિના સુધી ઘરના ભોંયરામાં ગોંધી રાખી દુષ્‍કર્મ આચર્યુ

સંતાન ન થતા દંપતિએ આંકલાવના ખડોલ ગામના ભુવા નીતીશ મનુભાઇનો સંપર્ક કરી ફસાયા

આણંદ: સંતાન પ્રાપ્તિ માટે ભુવા જાગરિયાનું શરણું લેતા દંપતી માટે લાલબત્તી સમાન કિસ્સો આણંદ જિલ્લાના આંકલાવથી સામે આવ્યો છે. અહીં સંતાન પ્રાપ્તિ માટે આવેલ પરણીતાને ભુવાએ પોતાના ઘરના ભોંયરામાં ગોંધી રાખી એક મહિના સુધી દુષ્કર્મ આચર્યું છે. સામાન્ય રીતે સંતાન પ્રાપ્તિ માટે લોકો પથ્થર એટલા દેવ પૂજતા હોય છે અને આમ છતાં પણ સંતાન પ્રાપ્તિ ન થાય તો તેઓ ભુવા જાગરિયા કે તાંત્રિકના શરણે જતા હોય છે. નડિયાદના ચકલાસીના દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભુવાનું શરણું લેવું ભારે પડ્યું છે.

દંપતીના લગ્ન જીવનના નવ નવ વર્ષ બાદ પણ સંતાન પ્રાપ્ત નહિ થતા તેમણે પોતાના સંબંધીની ઓળખાણથી આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ખડોલ ગામમાં માતાજીના ભુવા નીતીશ મનુભાઈ સોલંકીનો સંપર્ક કર્યો હતો. ત્યારે બાદ પાખંડી ભુવા નિતિશે આ દંપતીને ત્રણ મહિના સુધી રવિવાર ભરવા જણાવ્યું હતું. જોકે સંતાન પ્રાપ્તિની પ્રબળ ઈચ્છા અને પાખંડી ભુવાની વાતમાં આવી આ દંપતી ભુવાની વાતમાં આવી તે કહે તેમ કરવા લાગ્યા હતા. બીજી તરફ પાખંડી ભુવાએ આ દંપતીનો વિશ્વાસ કેળવવા પરણીતાને પોતાની ધર્મની બહેન પણ બનાવી અને ત્યારબાદ અસલી ખેલ શરૂ થયો હતો.

પાખંડી ભુવાએ મહિના પહેલા પીડિતાને સંતાન પ્રાપ્તિની વિધી કરવાના બહાને બાઇક ઉપર પહેલા મહેમદાવાદ અને ત્યારબાદ ત્યાંથી પોતના ઘરે ખડોલ લઈ આવી ઘરમાં બનાવેલ મંદિરની નીચેના ભોંયરામાં લઈ જઈ સંતાન પ્રાપ્તિની વિધિ શરૂ કરી હતી. પરણીતાને નિર્વસ્ત્ર કરી તેની ઉપર કંકુ લગાવી પૂર્ણ વિધિ કરવાના બહાને પરણીતા ઉપર દુષ્કર્મ આચર્યું હતું.

એટલું જ નહીં સતત એક મહિનો આ પાખંડી ભુવો પરણીતા સાથે સંતાન પ્રાપ્તિની વિધિના બહાને દુષ્કર્મ અચરતો રહ્યો અને સમગ્ર કાંડમાં તેના પિતા મનુભાઈ સોલંકીએ તેને સાથ આપ્યો હતો. એટલું જ નહીં પાખંડી ભુવાના પિતાએ પણ પરણીતા ઉપર દુષ્કર્મ અચરવાનો પ્રયાસ કર્યો. આખરે મહિના બાદ પરણીતાને મુક્ત કરતા તેના પતિને તેણે હિંમત એકઠી કરી સમગ્ર ઘટના અંગે જાણ કરતા આખરે મામલો આંકલાવ પોલીસ મથક પહોંચ્યો હતો.

પોલીસે પીડિતાના નિવેદન આધારે ભુવા અને તેના પિતા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે પાખંડી ભુવા અને તેના પિતાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સંતાન પ્રાપ્તિ માટે ભગવાનને છોડી ભુવા જાગરિયા અને તાંત્રિકો ઉપર આંધળો વિશ્વાસ કરતા દંપતીઓ માટે આ કિસ્સો બોધપાઠ સમાન છે.

(5:55 pm IST)