Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

વડોદરાના માંજલપુરની 20 વર્ષીય યુવતીની હત્યા, તિલકવાડા નજીક ખેતરમાંથી લાશ મળી આવતા અનેક અટકળો

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા: નર્મદા જીલ્લાના તિલકવાડા તાલુકાના કેસરપૂરા ગામ નજીકના એક ખેતરમાં ફેંકી દીધેલી હાલતમાં આશરે 20 વર્ષીય યુવતીની કરપીણ હત્યા કરી લાશ મળી આવતા ચકચાર મચી હતી. પોલીસ તપાસમાં એ લાશ વડોદરા વિસ્તારના માંજલપુરના બળિયા દેવ ચોકડી સામેના દરબાર ચોકડી ખાતે રહેતા નિલેશ રમણભાઈ સોલંકીની દીકરી મીરા સોલંકીની હોવાનું બહાર આવ્યું હતું. તિલકવાડા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.હાલ વડોદરા શહેરના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી 20 વર્ષીય યુવતીની લાશનું વડોદરા એસ.એસ.જી ખાતે પેનલ ડોકટરો દ્વારા પેનલ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી દરબાર ચોકડી પાસે બળીયાદેવ મંદિર સામે આવેલા ખેતરમાં રહેતી મીરા નિલેશ ભાઈ સોલંકી બે દિવસ પહેલા ઘરેથી નીકળી ગઈ હતી, મોડી રાત સુધી પરત ન ફરતા નિલેશભાઈ સોલંકીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. એ દરમિયાન જ નર્મદા જિલ્લાના તિલકવાડા નજીક કેસરપુરા ખેતરમાંથી મીરાની લાશ મળી આવી હતી.
સોશિયલ મીડિયા પર ફરતા થયેલા મીરાની લાશના ફોટા વાયરલ થતા એ ફોટા મીરાના પરિવારજનો અને માંજલપુર વિસ્તારના પૂર્વ કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ જોયા હતા.ચિરાગ ઝવેરી અને મીરાના પરિવારજનો તિલકવાડા પહોંચ્યા બાદ એ લાશ મીરાંની હોવાની ઓળખ થઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મીરાની હત્યા ગળું દબાવીને તેમજ ડામ આપીને કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.હવે મીરાંની હત્યા કેવી રીતે કરાઈ એ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ બહાર આવશે.
ઉલ્લેખનીય છે કે મૃતક મીરાએ તાજેતરમાં ધોરણ 12 ની પરીક્ષા પણ આપી હતી ત્યારે એની હત્યા કોણે કરી, ક્યાં કારણોસર કરી એ તપાસ નો વિષય છે.

(11:40 pm IST)