Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

સુરત સહિત ગુજરાતના મીલ માલિકો ક્રિભકો પાસેથી તેમની જ જેટી ઉપરથી કોલસાની ખરીદી કરી શકે તેવુ આયોજન કરાશેઃ ભાવના 15 ટકા જેટલી રાહત થશે

સુરતની અંદાજીત 400થી વધુ કાપડની મીલોના માલિકોને ફાયદો થશે

સુરત: દક્ષિણ ગુજરાત ઇન્ડસ્ટ્રીને કોઈની નજર લાગી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. કોરોના બાદ માંડ-માંડ ઉભી થયેલી કાપડ ઇન્ડસ્ટ્રીને હવે કોલસો રડાવી રહ્યું છે. ત્યારે મિલ માલિકો દ્વારા કોલસો સસ્તા ભાવે મળી રહે તે માટે પૂરતું આયોજન કરી રહ્યું છે. અત્યાર સુધી અદાણી, સ્પ્રેક્ટમ સહિતની કંપનીઓ પાસેથી ઊંચા ભાવે અને તેમની શરતો મિલમાલિકો કોલસો ખરીદવા મજબૂર બની રહ્યા હતા. જોકે હવે મિલમાલિકો ક્રિભકો પાસેથી અને તેમની જ જેટી ઉપરથી કોલસો ખરીદી કરશે તેવુ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેનાથી મિલ માલિકોને 15 ટકા જેટલી કોલસાના ભાવમાં રાહત પણ મળી રહેશે.

સુરતની વાત કરીએ તો, અંદાજીત 400 થી વધુ કાપડની મિલો આવેલી છે. છેલ્લા છ મહિનામાં જે રીતે કોલસાના ભાવોમાં વધારો થયો છે ત્યારબાદ મિલમાલિકોની કમર તૂટી ગઈ છે. દૈનિકની જો વાત કરીએ તો, મિલ માલિકોને ૧૨ થી ૧૫ હજાર ટન જેટલો કોલસાની જરૂરિયાત છે. જેની સામે મિલમાલિકો પહેલા અદાણી અને સ્પેક્ટ્રમ જેવી કંપનીઓ પાસેથી તેમના રેટ અને શરત મુજબ તેમની પાસેથી કોલસો ખરીદવાની ફરજ પડતી હતી. જે કોલસો રૂપિયા 5,000 થી ખરીદતા હતા, તેનો સીધો ભાવ 12 થી 15 હજાર રૂપિયા કરી દેવામાં આવ્યો હતો. જેને કારણે મિલમાલિકોની હાલત અત્યંત કફોડી બની ગઇ હતી. જેથી કોલસો સસ્તા ભાવે મળી રહે અને મિલ માલિકોને રોજેરોજ કોલસો પૂરતા પ્રમાણમાં મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્યાર સુધી મિલ માલિકોને કોલસો દેશની બહારથી મંગાવવો પડતો હતો. જો કે હવેથી મિલમાલિકો ક્રિભકો પાસેથી જ આ કોલસો ખરીદવાનો નિર્ણય કર્યો છે. જેમાં મિલ માલિકોને ૧૫ ટકા જેટલો કોલસાના ભાવમાં રાહત પણ થઈ જશે. આ સાથે આસામ, બિહાર જેવા રાજ્યોમાંથી બાય ટ્રેન ક્રિભકોના ગોડાઉન પર કોલસો ડાયરેક્ટ ઉતારી પણ શકાશે. હાલ ક્રિભકોના ડાયરેક્ટર સાથે મિલમાલિકોની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આ જેટીનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને ત્યારબાદ મિલમાલિકો જાતે જ ક્રિભકો પાસેથી કોલસો ખરીદી શકશે.

જોકે આ વચ્ચે જે મિલમાલિકોએ એવી પણ શરત મૂકી છે કે જે જેન્યુન મિલ માલિક હશે, તેમને જ કોલસો આપવામાં આવશે. અન્ય ટ્રેડર્સને આ કોલસો આપવામાં નહિ આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. બહારની કંપની પાસેથી જે કોલસો મંગાવવામાં આવતો તે રેટ મુજબની ક્વોલિટી જળવાતી ન હતી. હવેથી ક્રિભકોમાં જે ભાવ આપવામાં આવશે તેનું લેબમાં ટેસ્ટીંગ કરી કોલસો જે તે મિલમાલિકોને આપવામાં આવશે. જેથી મિલ માલિકોને રેટ મુજબનો કોલસો મળી રહે.

(5:53 pm IST)