Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

આણંદ જિલ્લાના ચિખોદરા ગામની સીમમાં ટેન્કરનું ટાયર ફાટતા ડ્રાઈવરે બેને હડફેટે લેતા કમકમાટીભર્યા મોત

આણંદ : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલ આણંદ જિલ્લાના ચિખોદરા ગામની સીમમાં આજે વહેલી સવારના સુમારે પંચર પડેલ એક ટેન્કરનું ટાયર બદલવામાં મદદગારી કરી રહેલ એક વ્યક્તિનું અજાણી કારની અડફેટે ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ મુંબઈ ખાતે રહેતા વંશ બહાદૂરસિંગ ઠાકુર વડોદરાની એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા હતા. ગત રોજ વંશ બહાદુરસિંગ ઠાકુર એક ટેન્કરમાં દિવેલ ભરી પાલનપુર ખાતેથી વડોદરા આવવા નીકળ્યા હતા. તેઓની સાથે ટ્રાન્સપોર્ટની અન્ય એક ટેન્કર પણ પાલનપુરથી વડોદરા આવવા નીકળી હતી. આ બન્ને ટેન્કર આજે વહેલી સવારના સુમારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ ટોલનાકુ પસાર કરી વડોદરા તરફ જઈ રહી હતી ત્યારે ચીખોદરા ગામની સીમમાં એક ટેન્કરમાં ટેન્કર પડયું હતું. જેથી આ ટેન્કર સર્વીસ માર્ગ ઉપર ઉભુ રખાયું હતું તેની મદદગારી અર્થે વંશ બહાદુરસિંગે પણ પોતાની ટેન્કર નજીકમાં થંભાવી હતી. દરમ્યાન આ બન્ને ટેન્કરના ચાલકો ટાયર બદલવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે વંશ બહાદુરસિંગ ટાયર બદલવાનો સામાન લેવા જતા અમદાવાદ તરફથી પૂરપાટ ઝડપે આવી ચડેલ અજાણ્યા કાર ચાલકે તેઓને જોરદાર ટક્કર મારી હતી. જેને લઈ વંશ બહાદુરસિંગ રોડ પર પટકાયા હતા. બીજી તરફ અજાણ્યો કારચાલક અકસ્માત સર્જી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માત અંગે ૧૦૮ને જાણ કરવામાં આવતા ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વંશ બહાદુરસિંગ ઠાકુરને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગૌરીશંકર સત્યનારાયણ પાલની ફરીયાદના આધારે અજાણ્યા કાર ચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

(5:30 pm IST)