Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

મરીશુ ત્‍યાં સુધી લડીશુ, ભાજપ પાસે પ્રેશર ટેકનીકઃ ઈશુદાન ગઢવી

વિજય સુવાળા અને મહેશ સવાણીએ ‘આપ'ને છોડયુ તે તેમનો વ્‍યકિતગત નિર્ણયઃ બન્નેએ આમ આદમી પાર્ટી માટે ખૂબ જ મહેનત કરી'તી : અમને ગુજરાતની જનતા ઉપર પૂર્ણ વિશ્વાસઃ આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમારા કાર્યકરો વિજેતા થઈને શપથ લેશેઃ કૌભાંડથી ધ્‍યાન ભટકાવવા અમારા નેતાઓને ફોડયાઃ અમે બમણા જોરથી લડીશુઃ ‘આપ'ના નેતાનો આક્રોશ : ઈશુદાનનો ધ્રુજારો- કહ્યું વિજયભાઈ અને સી.આર.પાટીલ વચ્‍ચે ગજગ્રાહ હતો એટલે વિજયભાઈને ઘરે બેસાડી દીધા, એવા અનેક નેતાઓને ઘરે બેસાડી દીધા છે :‘આપ' વીરોની પાર્ટી, ઘણા આવશે ને જશે પણ અમારી લડાઈ ચાલુ રહેશેઃ અમારી સરકાર હશે અને ભાજપ વિરોધ માટે આવશે તો અમે તેમની વાત સાંભળી ચા પણ પીવડાવીશુઃ મા મોગલના સોગંધ ખાઉં છું, મારા પ્રાણના સોગંધ ખાઉ છું કે મેં દારૂ નથી પીધો, છતાં તમે મને બદનામ કર્યોઃ મારૂ હૈયું ભરાઈ આવ્‍યું છે, ભાજપને ડર લાગ્‍યો છે અને તેના કારણે અમને બદનામ કરે છે : ઈસુદાને કહ્યું કે ભાજપ અને પાટીલ ભાઉની સરકારે અમને જેલમાં પૂર્યા છેઃ મને દારૂના કેસમાં ફસાવવાની કોશિશ કરવામાં આવીઃ ૧૨ દિવસ પછી રિપોર્ટ આપવામાં આવે છે

રાજકોટ, તા. ૧૮ :. આમ આદમી પાર્ટીના વિજય સુવાળા અને ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીએ રાજીનામુ આપી દીધા બાદ આમ આદમી પાર્ટીના ગુજરાતના અગ્રણી નેતા ઈશુદાન ગઢવીએ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી અને ભાજપ સામે પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્‍યુ હતુ કે મરીશુ ત્‍યાં સુધી લડીશુ, ભાજપ પાસે પ્રેશર ટેકનીક છે, ડરાવવા-ધમકાવવા અને ફસાવવા એ ભાજપની રાજનીતિ છે. તે રૂપિયાથી ખરીદી લે છે, પરંતુ અમે બમણા જોરથી લડવાના છીએ.
ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્‍યુ કે પેપર કૌભાંડ સહિતની બાબતોથી ધ્‍યાન ભટકાવવા માટે અમારા નેતાઓને ભાજપે ફોડયા છે પરંતુ ટાઈગર અભી જીંદા હૈ...ની જેમ અમે બમણા જોરથી ભાજપ સામે લડીશુ. આપના ક્રાંતિવીરો ૧૦૦ - ૧૦૦ લોકોને પાર્ટીમાં જોડે તે જરૂરી છે. પેપર ફોડ ભાજપ પાર્ટી વિરોધ કરવા જનારને પણ ફસાવે છે. અમે જ્‍યારે પેપર ફોડ મુદ્દે રજૂઆત કરવા ગયા તો દારૂ, છેડતી સહિતના કેસમાં ફસાવી દીધા. તેમ છતા પણ ૧૦ લાખથી વધુ લોકો આપ સાથે જોડાયા છે. આવડુ મોટું કૌભાંડ થયુ તે છતા આસિત વોરાને કેમ બચાવાઈ છે?
આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્‍યુ કે, આમ આદમી પાર્ટી તૂટી નથી, આ જનઆંદોલન છે તેમા અનેક લોકો આવે છે અને અનેક લોકો જાય છે. તેમ છતા ક્રાંતિકારી પક્ષ તરીકે આમ આદમી પાર્ટી આગળ વધતી રહેશે. વિરોધ પક્ષને વિરોધ કરવાનો અધિકાર છે છતાં પણ ભાજપ સરકાર વિરોધ કરનારા સામે બળપ્રયોગ કરે છે.
ઈશુદાન ગઢવીએ જણાવ્‍યું હતું કે, આ લડાઈ છે બીજા સ્‍વરાજની કે બીજી આઝાદીની છે. આમ આદમી પાર્ટીની શરૂઆત દિલ્‍હીથી થઈ છે, કામની રાજનીતિ સિવાલ આમ આદમી પાર્ટી કશું આવડતું નથી. ન રાજકારણ અમને આવડે છે કે ભવિષ્‍યમાં આવડશે. અમે રાજનીતિના માણસો નથી. એટલે જ અમે કહીએ છીએ કે અમે રાજનીતિને બદલવા આવ્‍યા છીએ. આજે ૫૦ લાખ યુવાનો છે, તેઓ તો આંદોલન કરવાના નથી, તેમના માતા પિતા પણ નથી કરવાના.. જે પણ યુવાનોના દિકરા દીકરીઓ ભણે છે તેમના માતા પિતાને ચિંતા થાય છે કે ભાજપ પેપર ફોડી પેપર ફોડ પાર્ટી છે. પોતાના લોકોને મીલીભગતથી ચઢાવે છે.
તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા ૧૦ વર્ષમાં ૫ મોટા પેપર ફોડ્‍યા છે. અને કોઈ મોટી માછલી પકડાઈ નથી. જેના કારણે અમારી પાર્ટીના સિમ્‍બોલિક તરીકે અમારી પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ કમલમમાં જવું પડ્‍યું હતું. તો ત્‍યાં અમારી સાથે શું શું કર્યું તે તો બધાને ખબર જ છે. જેલ મોકલી દીધા,  આજ સુધીનો ઈતિહાસ છે કે વિરોધ કરવા ગયો હોય અને તેને જેલમાં નાંખી દીધો હોય. અમારા દરેક કાર્યકરોને ડરાવવા, ધમકાવવા અને ખોટી રીતે ફસાવવાની કોશિશ કરી છે. અમે ગુજરાતની જનતાને કહીએ છીએ કે  અમે લડીશું, પરંતુ તમારો સાથ એટલો જરૂરી છે. અમે તમારા માટે લડવા નીકળ્‍યા છીએ. અમે એવું પણ નથી કહેતા કે તમે રસ્‍તા પર આવો, પરંતુ મતદાનનો દિવસ  આવે ત્‍યારે એટલું યાદ રાખજો કે તમારા માટે કોણ લડતું હતું.
તેમણે જણાવ્‍યું કે, ભૂતકાળમાં ભાજપે અમારા કોર્પોરેટરોને પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો. હું હજું પણ મા મોગલના સોગંદ ખવ છું, મારા પ્રાણના સોગંદ ખવ છું કે મેં દારૂ નથી પીધો. છતાં તમે મને બદનામ કર્યો. મારુ હૈયું ભરાઈ આવ્‍યું છે. અમારી પાર્ટી છોડનારા બંને નેતાઓનો આ વ્‍યક્‍તિગત નિર્ણય છે. હું સ્‍પષ્ટ પણે માનું છું કે, ભાજપે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી છે. હવે અમે બમણો સંઘર્ષ કરીશું અને લડાઈ લડીશું. આમ આદમી પાર્ટી ક્રાંતિ વીરોની પાર્ટી છે. ઘણા આવશે અને જશે પણ અમારી લડાઈ ચાલુ રહેશે.
સુવાળા અને સવાણીના રાજીનામાની હેટ્રિક બાદ ઇસુદાન ગઢવીએ જણાવ્‍યું હતું કે, પાર્ટીમાં તો બધા આવતા અને જતા રહેતા હોય છે. કેટલાકને શ્વાસ ચઢે છે, કેટલાકની તબિયત ખરાબ થાય છે. અમારા કાર્યકર્તાઓને ડરાવવા ધમકાવવાની કોશિશ કરવામાં આવી છે. અમારા બે સાથી મિત્રો ગયા એ તેમનો વ્‍યક્‍તિગત નિર્ણય હશે. એ બંને ક્રાંતિવીરોની મહેનતનો આભાર વ્‍યક્‍ત કરીએ છીએ. ભાજપની ટેકનિક છે રૂપિયાથી ખરીદી લે છે. ભૂતકાળમાં ભાજપે અમારા કોર્પોરેટરોને પ્રલોભન આપ્‍યાં છે. તમે સાથ આપજો નહીં તો ઇતિહાસ માફ નહીં કરે. આજે મારું હૈયું ભરાઇ ગયું છે.
તેમણે ઉમેર્યું હતું કે, અમે બંને નેતાઓનો આભાર માનીએ છીએ. ભાજપે પ્રજાને કહેવું છે કે ભાજપે ૬૦૦૦ સ્‍કૂલો બંધ કરી છે. પેપર ફોડ કૌભાંડ થયું અને હજી પણ આસીત વોરાનું રાજીનામું ન લેવાયું. અમારી લડાઈ પરિવર્તન લાવવાની છે. હવે લડાઈ પરિવર્તન માટે બધા લોકો જોડાઈ ગયા છે. ૧૦ લાખથી વધારે જોડાયા છે. તેમાં કેટલાયે લોકો આવ્‍યા છે. આજે મારે દુખ સાથે કહેવું પડે છે કે અમારા બન્ને સાથી મિત્રોએ પાર્ટી છોડવાનું નક્કી કર્યું, તે તેમના વ્‍યક્‍તિગત નિર્ણય હોઈ શકે છે. પરંતુ તે બન્ને ક્રાંતિવીરોએ સમય આપ્‍યો છે, સાથ આપ્‍યો છે. તન, મન અને ધનથી પાર્ટીમાં ખુબ મહેનત કરી છે. તેમને લાખ લાખ શુક્રિયા અદા કરીએ છીએ.
તેમણે ઉમેર્યું હતું કે, મહેશભાઈ સવાણીએ સાવરકુંડલામાં આઇસોલેશન શરૂ કરાવ્‍યું હતું અને ભાજપે આ આઇસોલેશન બંધ કરાવ્‍યું હતું. ૫ હજાર ઈન્‍જેકશન પાટીલ ભાઉ લઇ ગયાં હતાં. આ ગુનેગારો સામે લડવાની આ નેમ છે. ભાજપ અમારા નેતાઓને તોડશે એટલું નુકસાન ભાજપને જ નડશે. ડેમેજ કંટ્રોલ કરવા બાબતે ઇસુદાન ગઢવીએ જણાવ્‍યું હતું કે અમે આમ આદમીના કાર્યકર્તાઓને કહીશું કે તમે હિંમત રાખો. પહેલી ગોળી અમે ખાઈશું. તમે આમ આદમીમાં રહો, ટાઇગર અભી જીંદા હે. ભાજપમાં પણ ભડકો છે, વિજયભાઈ અને સી આર પાટીલ વચ્‍ચે લડાઈ ચાલું જ છે અને તેના કારણે વિજયભાઈને ઘરે બેસાડી દીધા, એટલું જ નહીં ભાજપમાં એવા બીજા ઘણા નેતાને ઘરે બેસાડ્‍યા છે.
ઈશુદાન ગઢવીએ આડકતરી રીતે પ્રહારો કરતા જણાવ્‍યું હતું કે આમ આદમી પાર્ટી ક્રાંતિ વીરોની પાર્ટી છે. ઘણા આવશે અને જશે પણ અમારી લડાઈ ચાલુ રહેશે. આમ આદમી પાર્ટીની સરકાર હશે અને ભાજપ વિરોધ માટે આવશે તો અમે ચા પીવડાવીશું અને સાંભળીશું. ભાજપ બધાને પ્રલોભનો આપે છે. પરંતુ એક વાત જાણી લેજો કે જાન્‍યુઆરી ૨૦૨૩માં આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા/નેતા શપથ લેશે. આ સંઘર્ષનો રસ્‍તો છે. પરંતુ ભાજપ યાદ રાખે અમે સત્‍યના રસ્‍તે ચાલીએ છીએ.
સુવાળા અને સવાણીએ આપમાંથી રાજીનામું આપતાં ઈશુદાન ગઢવીએ જણાવ્‍યું હતું કે, લોકો સાથ નહીં આપે તો અમારું શું જવાનું છું, સરકાર નહીં બને બીજું શું થશે.
યુવરાજસિંહ જાડેજા પર ઈશુદાન ગઢવીએ જણાવ્‍યું હતું કે, યુવરાજસિંહ વિદ્યાર્થીઓના મુદ્દા ઉઠાવે છે અને ઉઠાવશે. યુવરાજસિંહ જો આપના નેતા તરીકે જાય તો સરકાર ન સાંભળેઁ...એટલા માટે જ વિદ્યાર્થી નેતા તરીકે અમે આગળ કરીએ છીએ.
રાજીનામાઓના દોર વચ્‍ચે ઇસુદાન ગઢવીએ ફેસબુક પોસ્‍ટ કરીને લખ્‍યું હતું કે હું ‘આપ'માં નથી, પરંતુ આપ મારામાં છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કાલે પત્રકાર પરિષદ કરીને આમ આદમી પાર્ટી વિરૂદ્ધ ચાલી રહેલા પ્રોપેગેંડા અંગે સ્‍પષ્ટતા કરશે. આ ઉપરાંત જે પણ નેતાઓ ગયા છે તેઓ પક્ષમાં અસંતોષ હોવાને કારણે નથી ગયા, પરંતુ પોતાની અંગત તકલીફોને ધ્‍યાનમાં રાખીને જ તેઓ ગયા છે. અત્રે નોંધનીય છે કે આ રાજીનામા બાદ કાર્યકર્તાઓ પણ હતોત્‍સાહ થઇ ચૂકયા છે. નોંધનીય છે કે હાલ ‘આપ'પાસે દિગ્‍ગજ નેતાઓમાં ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી સિવાય કોઇ રહ્યું નથી.(તસ્‍વીરઃ ગૌરવ ખત્રી, અમદાવાદ)

૫ લાખમાં શૂટર મળે છે, મને મરાવી નાખોઃ ઈશુદાન ગઢવી ભાવુક થયા
રાજકોટઃ. પેપર ફોડ કૌભાંડ બાદ કમલમ્‌માં રજૂઆત કરવા ગયેલા ઈશુદાન ગઢવી સામે દારૂ અને છેડતીની ફરીયાદ થયા અંગે ભાજપ સરકાર સામે ઈશુદાન ગઢવીએ આક્રોશ ઠાલવ્‍યો હતો અને ભજનનુ મુખડુ ગાતા જણાવ્‍યુ હતુ કે જુઠી રે કાયારાણી.. જુઠા ન બોલો...
તેમણે જણાવ્‍યું કે, દારૂનો આરોપ કર્તા શૂટર સસ્‍તા મળે છે મને ગોળીઓ મરાવી દો. પેપર ફોળના અમારા ખુલાસાથી ભાજપ ડરી ગઈ છે. તે જાણે છે કે અમે એક દિવસે તળિયા સુધી જઈશું, પરંતુ એક વાત ફાઈનલ છે કે મરીશું ત્‍યાં સુધી લડીશું. ઇસુદાન ગઢવી એટલે સુધી બોલી ગયા કે, પાંચ પાંચ લાખમાં શૂટરો મળે છે , મને મરાવી નાંખો. તેમણે તો એવો પણ દાવો કર્યો કે, ભાજપના કેટલાક નેતાઓએ મને કહ્યું કે, ઇસુદાનભાઈ હિંમત ન હારતા.

પાટીલ ભાઉ લખીને રાખજો, જેની પાર્ટી તોડવામાં આવી તેને ગુજરાતની જનતા બહુમત આપે છેઃ ઈશુદાન ગઢવી
રાજકોટઃ. આપના નેતા ઈશુદાન ગઢવીએ આજે ભાજપ સામે પ્રહારો કર્યા હતા અને ભાજપ અમારા નેતાઓને પોતાના પક્ષમાં લેવાની નીતિ અપનાવી રહી હોવાનો આક્ષેપ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સામે કર્યો હતો.
ઈશુદાન ગઢવીએ જણાવ્‍યુ કે પાટીલ ભાઉ લખીને રાખજો, જેની પાર્ટી તોડવામાં આવી તેમને ગુજરાતની જનતા સહાનુભૂતિથી બહુમત આપે છે.
ડરાવવા અને ધમકાવવા તે ભાજપની રાજનીતિ છે. અમે રાજનીતિ માટે નહિ પરંતુ લોકોને ન્‍યાય મળે તે માટે પ્રયત્‍નો કરીએ છીએ તેમાં જનતા સહયોગ પણ આપે છે.


 

(3:32 pm IST)