Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

સ્વાતંત્ર્ય સેનાની લક્ષ્મણભાઇ ચૌહાણની ફરિયાદનો સુખદ ઉકેલ : કલેકટર સંદિપ સાગલેએ તરત જ સિવિલ હોસ્પિટલમા ફોન જોડ્યો

માત્ર એક ફોનથી જ આટલી ઝડપી સારવાર મળતા લક્ષ્મણભાઈ અને તેમનો પરિવાર ખુબ જ ખુશ

અમદાવાદ : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઇને આપણા દેશને આઝાદી અપાવનારા સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવાની પરંપરા છે. સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ નવતર અભિગમના ભાગરૂપે અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા શહેરના બે સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘરે જઈને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં નરોડાના સંજયનગર વિસ્તારમાં રહેતા 98 વર્ષીય લક્ષ્મણભાઈ ચૌહાણના પરિવારમાં બે દીકરા અને ત્રણ દીકરીઓ છે. તેઓએ આઝાદીની લડતમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી. ભારત્ને મળેલ આઝાદીમા તેમનું યોગદાન અમૂલ્ય છે.

અમદાવાદ જીલ્લા કલેકટર સંદિપ સાગલેએ જ્યારે તેમના ઘરની મુલાકાત લઈને તેમનું સન્માન કર્યુ ત્યારે પરિવારજનોએ વાચીતમાં જણાવ્યું કે નાદુરસ્ત તબિયતાના કારણે હવે તેમને સાંભળવાની ખુબ મોટી તકલીફ થઈ છે અને જો તેમને સાંભળવાનું મશીન એટલે કે હિયરિંગ એઈડ કાનમાં બેસાડવામાં આવે તો તેમની તકલીફ દૂર થઈ શકે તેમ છે.

આ વાત સાંભળીને કલેકટર સંદિપ સાગલેએ તરત જ અસારવા સિવિલ હોસ્પિટલમા ફોન જોડ્યો અને સંલગ્ન ડોકટર સાથે વાત કરી અને તુંરત જ અહી આવીને કાર્યવાહી કરવા જણાવ્યું. જિલ્લા કલેકટર સંદિપ સાગલેના ફોન બાદ ગણતરીના કલાકોમાં જ સિવિલના તબીબો દ્વારા લક્ષ્મણભાઈ ચૌહાણના ઘેર જઈને ડિજિટલ હિયરિંગ એઇડ મશીન તેમના કાનમાં ફીટ કરવામં આવ્યું. માત્ર એક ફોનથી જ આટલી ઝડપી સારવાર મળતા લક્ષ્મણભાઈ અને તેમનો પરિવાર ખુબ જ ખુશ થયા અને જિલ્લા કલેકટરનો ખુબ ખુબ આભાર વ્યકત કર્યો હતો.

(8:44 pm IST)