Gujarati News

Gujarati News

News of Monday, 14th March 2022

સુરતમાં પર્યાવરણલક્ષી વૈદિક હોળી ઉજવવા પાંજરાપોળમાં તૈયારીઃ તરછોડાયેલ ગીર ગાય સહિત ગૌમાતાના છાણમાંથી તૈયાર કરેલ 17000 કિલો ગૌકાષ્‍ટની હોળી પ્રગટશે

ગોબર સ્‍ટીક તરફ લોકોને વાળવા 60થી 70 ટકા ગોબર સ્‍ટીક બનાવાઇ

સુરત: દર વર્ષે હોળીના પર્વમાં લાકડા બાળવામાં આવે છે. જો કે આ વર્ષે પર્યાવરણને પ્રદુષણ મુક્ત રાખવા માટે સુરત પાંજળાપોળ દ્વારા અનોખી પહેલ શરૂ કરી છે. પાજળાપોર દ્વારા ગાયના ગોબરમાંથી સ્ટીક બનાવવામાં આવી છે. આ વર્ષે 60 થી 70 ટન ગોબર સ્ટીક બનાવવામાં આવી છે. લોકો ગોબર સ્ટીક તરફ લોકો વળે તે માટે આ વખતે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી લોકોને જાગૃત કરાઈ રહ્યા છે.

હોળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પર્યાવરણલક્ષી એવી વૈદિક હોળી ઉજવવા માટે સુરત પાંજરાપોળમાં તૈયારીઓ થઈ રહી છે. સુરતમાં તરછોડાયેલી ગીર ગાય સહિતની ગાયોના છાણમાંથી 17000 કિલો ગૌ-કાષ્ટ બનાવાઈ છે. વૈદિક હોળીથી વાતાવરણમાં આરોગ્યને માટે નુકશાનકારક વાયુનો નાશ થાય છે. તો બીજી તરફ ગૌ માતા પ્રત્યે ભાવના જાગે અને તેમની સેવા પણ થાય એ માટે સમાજમાં વૈદિક હોળી વિશે જાગૃતતા પણ આવી છે.

સુરત પાંજરાપોળ દ્વારા પણ ગાયના છાણાંનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી છાણ અને વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી ગૌ-કાષ્ટ બનાવાઈ રહી છે. તરછોડાયેલી કુલ 8500 ગાયના છાણમાંથી ગૌ-કાષ્ટ બનાવાઈ છે. એટલું જ નહીં તરછોડાયેલી ગીર ગાયોના છાણમાંથી પણ ગૌ-કાષ્ટ બનાવાઈ છે. લોકો લાકડાને બદલે ગૌ-કાષ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરી શકે અને હજારો વૃક્ષોને કપાતા બચાવી શકાય એ હેતુથી ફરી વખત વૈદિક હોળીનો વ્યાપ વધી રહ્યો છે.

સુરત પાંજરાપોળના મેનેજીંગ ટ્રસ્ટી નયનભાઈ ભરતીયાએ કહ્યું કે, ગત વર્ષે 9000 કિલો ગૌ-કાષ્ટનું વેચાણ કરાયું હતું . જો કે આ વર્ષે 17000 કિલો ગૌ-કાષ્ટ તૈયાર કરી છે. જેમાં ગીર ગાયોના છાણનો પણ ઉપયોગ કર્યો છે. ઓનલાઈન વેચાણ થાય એ માટે પણ પ્રયાસ કર્યો છીએ. ગૌ કાષ્ટ માત્ર રૂ.15 પ્રતિ કિલો છે. સુરત સહિત ગુજરાતના અન્ય શહેરોમાં પણ ડિમાન્ડ છે. તેનાથી જે કંઈ પણ આવક થશે, તેનો ઉપયોગ ગાયો માટે અને તેમના સ્વાસ્થ્ય માટે ખર્ચ કરાશે.

(5:07 pm IST)