Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની ચિંતા વચ્‍ચે સુરતમાં પોસ્‍ટ કોરોના બાદ એમઆઇએસસી બિમારીથી 2 બાળકોના મોતઃ 350 કેસ જોવા મળ્‍યાઃ તાવ આવે-પેટમાં દુઃખે-ઝાડા થાય-સાંધા દુઃખે તો તાબડતોબ ડોક્‍ટર પાસે પહોંચી જવુ

સુરત: એક બાજુ નિષ્ણાંતો દ્વારા ત્રીજી લહેરને બાળકો માટે ઘાતક જણાવ્યું છે ત્યારે એક જ મહિનામાં પોસ્ટ કોરોના બાદ થનાર MISC બીમારીથી બે બાળકોના મોત થયા છે. સુરતમાં અનેક બાળકોમાં કોરોના બાદ MISC બીમારી જોવા મળી હતી. આ બીમારીના સુરતમાં ગત વર્ષે 129 કેસ હતા અને આ વર્ષે તે કેસ વધીને 350 જેટલા કેસો સામે આવ્યા છે. પરંતુ આ વર્ષે આ બીમારીથી બે બાળકોના મોત થયા હતા. તબીબોના મતે આ એક ચિંતાનો વિષય કહી શકાય છે.

સુરતમાં એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે અને સુરતમાં બીજી લહેર દરમિયાન એક તબક્કે 2 હજારથી વધુ કેસો સામે આવતા હતા. પરંતુ હવે સુરતમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે. પરંતુ ખાસ કરીને બાળકોમાં એમ.આઈ.એસ.સી.નામની (MISC) બીમારી જોવા મળી રહી છે. આ બીમારીના ગયા વર્ષે એટલે કે વર્ષ 2020 માં 129 જેટલા કેસો હતા પરંતુ સદનસીબે એક પણ મોત થયું ન હતું.

આ વર્ષે આ બીમારીના કેસો વધીને 350 થયા છે અને આ વર્ષે બે બાળકોના મોત થયા છે. જે એક ચિતાનો વિષય કહી શકાય છે. સુરતમાં આ બીમારીથી એક સચિન વિસ્તારમાં રહેતી 6 વર્ષની બાળકી અને 9 વર્ષના બાળકનું મોત થયું છે. લીવર ફેલ્યર અને બ્લડ પ્રેસર ઓછું થતા બાળકોનું મોત થયું છે.

આ અંગે નાઈસ હોસ્પિટલના તબીબ આશિષ ગોટીએ જણાવ્યું હતું કે આ બીમારીના કેસો આ વર્ષે વધ્યા છે. પરંતુ આ બીમારીથી મોતનો આંક 0.05 એટલે છે. તેઓએ બે બાળકોના મોત અંગે જણાવ્યું હતું કે જો બાળકોમાં MISC ના લક્ષણો ઓળખવા ખુબ જ જરૂરી છે. લક્ષણો દેખાય અને મોડું કરે જેથી બાળકોના મોત થવાની શક્યતા રહેલી છે.

ડો.આશિષ ગોટીએ વાલીઓને અપીલ કરી હતી કે તેઓ એમ.આઈ.એસ.સી.બીમારીના લક્ષણો ઓળખે અને જો બાળકમાં કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા અપીલ કરી હતી. ડો.આશિષ ગોટીએ જણાવ્યું હતું કે આ બીમારી કોરોના થયા પછી એક બે મહિના પછી થઇ શકે છે. જેથી તકેદારીઓ રાખવી ખુબ જ જરૂરી છે.

ડો. નયન પટેલે જાણાવ્યું હતું કે એમ.આઈ.એસ.સી. બીમારી કોરોનાથી સંક્મિત થયેલા બાળકોને થવાની શક્યતા રહેલી છે. જન્મથી લઈને 18 વર્ષ સુધીના બાળકોને આ બીમારી થઇ શકે છે.  તેઓએ જાણાવ્યું હતું કે આ બીમારીથી ડરવાની જરૂર નથી. બસ તકેદારી રાખવાની જરૂર છે. અને જો બાળકોમાં કોઈ પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંર્પક કરવો જોઈએ.

બીમારીના લક્ષણો શું છે?

તાવ આવવો

પેટમાં દુખવું

ઝાડા થવા

સાંધા દુખવા

શરીર દુખવું

હોઠ અને આંખ લાલ થવી

શરીર પર ચાઠા પડવા

અમુક બાળકોને કમળો પણ થાય છે

(4:15 pm IST)