Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

આણંદ જિલ્લામાં સર્જાયેલ જુદા જુદા 5 ગમખ્વાર અકસ્માતમાં પાંચ શખ્સોના કરુણ મોત નિપજ્યા

આણંદ : આણંદ જિલ્લામાં વિતેલા દિવસો દરમ્યાન કિંખલોડ, સુંદણ પાટિયા, તારાપુર-વટામણ હાઈવે માર્ગ, દેદરડા બસસ્ટેન્ડ નજીક તેમજ વાસદ હાઈવે ઉપર સર્જાયેલ પાંચ અલગ-અલગ માર્ગ અકસ્માતના બનાવોમાં પાંચ વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા હતા. આ બનાવો અંગે પોલીસે અકસ્માતના ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોરસદ તાલુકાના કિંખલોડ ગામે રહેતા મફતભાઈ રામાભાઈ વાળંદ ગઈકાલ સાંજના સુમારે કિંખલોડ-ગંભીરા રોડ પર આવેલ હનુમાન મંદિરવાળા ફળીયા તરફ જવાના માર્ગેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન અજાણ્યા મોટરસાયકલ ચાલકે પોતાની મોટરસાયકલ પૂરઝડપે હંકારી લાવી મફતભાઈ વાળંદને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. મોટરસાયકલની ટક્કરે ગંભીર રીતે ઘવાયેલ મફતભાઈને ૧૦૮ મારફતે વડોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં રાત્રિના સુમારે તેઓનું કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ભાદરણ પોલીસે મોટરસાયકલ ચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવની વિગતમાં ગત તા. ૭મી મેના રોજ સમી સાંજના સુમારે આંકલાવ તાલુકાના જોશીકુવા ગામે રહેતા સુનિલભાઈ પોતાની મોટરસાયકલ લઈને આસોદર-વાસદ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન સુંદણ ગામના પાટિયા નજીક અજાણ્યા વાહનચાલકે મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા સુનિલભાઈએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને તેઓ રોડ પર પટકાયા હતા. તેઓને સારવાર માટે તુરત જ નજીકની હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં તેઓનું કરૂણ મોત નિપજ્યું હતું. આ અંગે આંકલાવ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(6:44 pm IST)