Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

આખરે ભરૂચ જિલ્લાએ અશક્‍યને શક્‍ય કરી બતાવ્‍યુઃ ભરૂચની જબ્‍બર કામગીરીની નોંધ ખુદ વડાપ્રધાન અને મુખ્‍યમંત્રીએ લેવી પડી

સરકારની 4 યોજનાઓનો ભરૂચના 100 ટકા લોકોએ લાભ લીધોઃ વડાપ્રધાનની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમાં લાભોનું વિતરણ કરવામાં આવશે

ભરૂચઃ ભરૂચ જિલ્લામાં સરકારની 4 યોજનાઓનો 100 ટકા લાભાર્થીઓએ લાભ લીધો છે. આવુ કરનાર ભરૂચ દેશનો પ્રથમ જિલ્લો છે. જેમાં સરકારની ગંગા સ્‍વરૂપા, રાષ્‍ટ્રીય વૃદ્ધ સહાય, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય અને રાષ્‍ટ્રીય પરીવાર સહાય યોજનામાં 100 ટકા સિદ્ધિ પ્રાપ્‍ત થઇ છે. જેને લઇ આગામી 12મી મેના રોજ દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને રાજ્‍યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં લાભોનું વિતરણ કરવામાં આવશે.

જિલ્લાએ એવું તે કર્યું કામ કે PM અને CMને નોંધ લેવી પડી છે. 4 યોજનામાં 100% લાભાર્થીઓને લાભ આપવામાં દેશનો પ્રથમ જિલ્લો બન્યો છે. જેમાં સરકારની ગંગા સ્વરૂપા, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનામાં સો ટકા સિદ્ધિ હાંસલ કરી છે.

સમગ્ર ગુજરાત માટે ગૌરવ ગણી શકાય એવી ઘટના ભરૂચમાં આકાર લેવા જઇ રહી છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ તેની ઉત્કર્ષ પહેલ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રાયોજિત ચાર મુખ્ય યોજનામાં સો ટકા લાભાર્થીઓને આવરી લીધા છે. દેશના અન્ય કોઇ જિલ્લામાં આવી કામગીરી કરવામાં આવી નથી. આ 4 યોજનામાં કુલ 13,000 કરતા પણ વધુ લાભાર્થીઓને આગામી 12મી મેના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લાભોનું વિતરણ કરવામાં આવશે.

ઉત્કર્ષ પહેલ અભિયાન અંગે સમૂહ માધ્યમો સાથે વાતચીત કરતા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું કે રાજ્ય સરકારની ગંગા સ્વરૂપા બહેનોને નાણાંકીય સહાય યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનાનો લાભ પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને આપવા માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ રમેશ ગાબાણી સહિત અન્ય ઉધોગકારોના સહયોગથી ઉત્કર્ષ પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં સર્વ પ્રથમ સોશ્યલ મીડિયા ઉપર હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. જેના માધ્યમથી પાત્રતા ધરાવતા નાગરિકોને ઓળખી કાઢવામાં આવ્યા હતા.

બાદમાં સ્થળ ઉપર જ કેમ્પ રાખી યોજનામાં જરૂરી તમામ આધાર પૂરાવાઓ કાઢી આપવામાં આવ્યા હતા. ફોર્મ ભરવાની વિધિ કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્રના અથાક પ્રયત્નોને પરિણામ સ્વરૂપ માત્ર ત્રણ માસમાં 13,000 કરતા વધુ લાભાર્થીઓને તેમાં આવરી લેવામાં આવ્યા હતા. આટલું જ નહીં, હેલ્પલાઇન ઉપરાંત ગ્રામપંચાયતના પદાધિકારીઓ અને સરકારી કર્મયોગી થકી ગામોમાં ફરી સર્વે હાથ ધરવામાં આવ્યા હતા અને બાકી રહી ગયેલા લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી હતી.

એ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા લાભાર્થીઓને શોધી આપી, તેના લાભો મંજૂર કરાવવાની કાર્યવાહીમાં મદદ કરે તે મદદગાર વ્યક્તિને ₹250 ઇનામ આપવાની યોજના શરૂ કરવામાં આવી હતી. આવા મદદગારોને ₹8 લાખના ઇનામો આપવામાં આવ્યા હતા. એ બાદ એક સપ્તાહ માટે ઇનામની રાશી બમણી કરી ₹500 જાહેર કરવામાં આવી પણ, એક પણ લાભાર્થી મળ્યા નહી. મતલબ કે સો ટકા લાભાર્થીઓને આવરી લેવામાં સફળતા મળી છે.

દેશના અન્ય કોઇ જિલ્લામાં આવી રીતે સો ટકા લાભાર્થીઓને કવર કરવામાં આવ્યા નથી. PM નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વખતે આહ્વાન કર્યું હતું કે સરકારની યોજનાનો લાભ સો ટકા લાભાર્થીઓને આપવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવે. તેના પ્રતિસાદરૂપે આ ઉત્કર્ષ પહેલ શરૂ કરવામાં આવી હતી. આ પહેલની સાથે આ તમામ લાભાર્થીઓને એનએફએસએના રાશન કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે.

કલેક્ટર સુમેરાએ ઉમેર્યું કે, ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં MRF ટાયરના સીએસઆર સહયોગથી જિલ્લામાં પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કાર્ડ કાઢી આપનાર ઓપરેટરને ₹30 નું ઇન્સેન્ટિવ આપવામાં આવશે. આરોગ્ય ઉત્કર્ષ પહેલમાં સો ટકા કામગીરી કરવાનો લક્ષ્યાંક છે.

જિલ્લા સેવા સદન ખાતે દાખલ કરવામાં આવનાર વિઝીટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ બાબતે કલેક્ટરે કહ્યું કે, હવે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોતાના પશ્નો લઇ રજૂઆત કરવા આવતા મુલાકાતીઓ માટે ઉક્ત વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. જેમાં મુલાકાતી અને તેની રજૂઆતને ઓનલાઇન નોંધવામાં આવશે. બાદમાં 20 જેટલા નાયબ મામલતદારો દ્વારા તેનું ફોલોઅપ લેવામાં આવશે. આવા પ્રશ્નોને વિવિધ શ્રેણીમાં વિભાજીત કરી સરળતાથી ઉકેલી શકાય તેવા, સ્થાનિક, રાજ્યકક્ષાએ અને ઉકેલી ના શકાય એવી શ્રેણીમાં વિભાજીત કરી તેની સ્થિતિની અરજદારને જાણ કરવામાં આવશે.

દર માસના ત્રીજા શનિવારે મળતી સંકલન સમિતિની બેઠકમાં પણ ટેક્નોલોજીનો વિનિયોગ કરી ઇ-સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં જનપ્રતિનિધિઓ પોતાની રજૂઆત ઓનલાઇન કરશે અને તેનું નિરાકરણ કરી જવાબ પણ ઓનલાઇન કરવામાં આવશે. આવી પહેલ કરનાર ભરૂચ જિલ્લો દેશમાં પ્રથમ છે.

(5:48 pm IST)