Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

સ્લમ એરીયા નજીક જ આરોગ્ય સુવિધા મળે તે માટે ૧૭ મીથી દિનદયાળ ઔષધાલયનો પ્રારંભ કરાશે : વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં રાજ્યનાં મહાનગરોનાં મેયર-સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન-કમિશ્નરોની બેઠક યોજાઇ

ગાંધીનગર,તા.૧૦:  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના મહાનગરોના મેયરઓ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને મ્યૂનિસિપલ કમિશનરોની સંયુકત બેઠકમાં આગામી ર૦રરના અંત સુધીમાં મહાનગરોમાં ૧૦૦ ટકા નલ સે જલ, રિયુઝ ઓફ ટ્રિટેડ વોટર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ટી.પી સ્કિમોના કામો, આવાસ યોજનાઓ ઝડપથી પૂર્ણ કરવા આહવાન કર્યુ છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયમાં નગરો-મહાનગરો સહિત જિલ્લાઓમાં આગામી તા.૧૭મી સપ્ટેમ્બરે ગરીબોના બેલી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની રાજયભરમાં ૪૦૦થી વધુ સ્થળોએ ગરીબ કલ્યાણ લોકહિત કામોથી ઉજવણી કરાશે તેની પણ વિસ્તૃત વિગતો આ તકે આપી હતી.

મુખ્યમંત્રીએ આ ઉજવણીની વિગતો આપતાં કહ્યું કે, રાજયના મહાનગરોમાં સ્લમ વિસ્તારોમાં ૩ હજારથી વધુ વસ્તીએ પોતાના ઘરઆંગણે સ્લમ એરિયા નજીક જ આરોગ્ય સુવિધા મળી રહે તે માટે દીનદયાળ ઔષધાલય તા.૧૭મી સપ્ટેમ્બર શરૂ કરાશે.

દરરોજ સાંજે પાંચથી રાત્રે નવ વાગ્યા સુધી આ ઔષધાલયો દ્વારા સ્લમ એરિયાના શ્રમિકો-શ્રમજીવીઓને વિનામૂલ્યે દવા અને તબીબી સારવાર-સેવા મળતી થશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશની માતા-બહેનોને પરંપરાગત ચૂલા-સગડીમાંથી નિકળતા ધૂમાડામાંથી મૂકિત અપાવવા અને રસોઇદ્યરમાં આરોગ્યપ્રદ વાતાવરણ જાળવી રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉજ્જવલા યોજનાની શરૂઆત ૨૦૧૬માં કરી હતી.

તેમણે કહ્યું કે, વડાપ્રધાનના જન્મદિવસે તેમની આ ફલેગશીપ સ્કિમ ઉજ્જવલા યોજના-૨.૦ અંતર્ગત રાજયમાં ૩ લાખથી વધુ પરિવારોને રાંધણ ગેસ કનેકશન અને સિલિન્ડર આપવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં સમગ્ર દેશે કોવિડની બે-બે લહેર સામે મક્કમતાપૂર્વક લડત આપી છે. ભારતમાં પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સહિત દેશભરમાં શરૂ થયેલું કોવિડ રસીકરણ અભિયાન સમગ્ર વિશ્વનું સૌથી ઝડપી અને વ્યાપકપણે ચાલી રહેલું રસીકરણ અભિયાન સાબિત થયું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના જન્મદિવસે રાજયના એવા ૭૧૦૦ ગામો જયાં ૧૦૦ ટકા કોરોના રસીકરણ પૂર્ણ થયું છે તે ગામોના સરપંચોનું પ્રમાણપત્રથી સન્માન કરાશે.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં મહાનગરોના મ્યૂનિસીપલ કમિશનરોએ પોતાના મહાનગરમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના, લેગેસી વેસ્ટ નિકાલ, રેગપીકર્સ શ્રમજીવી આર્થિક વિકાસ યોજના, એસ.ટી.પી., નલ લે જલ, ટી.પી સ્કિમ અને ફાટકમુકત ગુજરાત તહેત રેલ્વે ઓવરબ્રીજ, રેલ્વે અંડરબ્રીજની હાથ ધરાઇ રહેલી કામગીરીના પ્રેઝન્ટેશન કર્યા હતા.

શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીએ બેઠકનો ઉદેશ્ય સ્પષ્ટ કર્યો હતો.

આ બેઠકમાં ગુજરાત મ્યૂનિસીપલ ફાયનાન્સ બોર્ડ અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગરના મેયરઓ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનઓ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઓ.એસ.ડી. કમલ શાહ તેમજ વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા. 

(10:18 am IST)