Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ઇઝરાયેલથી ‘બર્નિયા' જાતના ઓલિવના છોડ વાવ્‍યા પરંતુ 11 વર્ષ થવા છતાં પણ હજુ સુધી ફુલ કે ફળ ન આવતા છોડ શોભાના ગાંઠીયા બન્‍યા

બનાસકાંઠા: દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં સને 2010/11 માં ઈઝરાયેલથી આયાત કરી લાવેલા 10 હજાર જેટલા "બર્નિયા "જાતના ઓલિવના છોડને પ્લાન્ટેશન કરી બે મોટા પ્લોટમાં વાવણી કરીને ઉછેર કરવામાં આવ્યો હતો. જેમાં એક આસેડા ખાતે અને બીજો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ઓલિવના છોડવાઓની વાવણી કરાઈ હતી.  જોકે નવાઈની વાત તો એ છે કે, અગિયાર વર્ષ જેટલો સમય વીતવા આવ્યા છે, છતાં આ ઓલિવના છોડવાઓ પર ફૂલ પણ આવ્યા નથી. તેમજ દર વર્ષે યુનિવર્સિટી આ પ્લાન્ટેશન પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરી સમય અને નાણાં બરબાદ કરી રહી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલમાં તો આ તમામ ઓલિવના છોડ શોભાના ગાંઠિયા બન્યા છે.

10 વર્ષ અગાઉ ઇઝરાયેલથી 353 રૂપિયાના એક છોડ લેખે એમ કુલ 6000 છોડ દાંતીવાડા સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટીમાં લાવવામાં આવ્યા હતા. ઓલિવ છોડવાઓની અલગ અલગ પ્લોટમાં વાવણી કરવામાં આવી હતી. આ ઓલિવના 10 હજાર છોડ પાછળ વર્ષે 15-20 લાખનો ખર્ચ કરાઈ રહ્યો છે. ત્યારે આમ જોઈએ તો ઓલિવના છોડને પાંચ વર્ષ ઉછેર કર્યા બાદ તેને ફૂલ અને ફળ આવવાના શરૂ થઈ જતા હોય છે. પરંતુ અહીં 11 વર્ષ થવા આવ્યા છે પણ આ ઓલિવના છોડ પર પાંદડા સિવાય કોઈ દેખાતું નથી. ત્યારે આટલા મોટા પ્રમાણમાં વાવણી કરી છતાં એક પણ છોડને ફૂલ કે ફળ ન આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

દર વર્ષે અહીં બંને પ્લોટમાં ઓલિવના છોડની માવજત માટે 15-20  લાખ રૂપિયા ખર્ચ કરાય છે. આ તમામની પાછળ આટલા વર્ષોમાં યુનિવર્સિટીના કરોડો રૂપિયા વેડફાઈ ગયા છે. છતાં પરિણામ શૂન્ય છે. છતાં યુનિવર્સિટીમાં આની સાથે સમય અને નાણાંનો વેડફાટ કરતી હોય તેવું દેખાઈ આવે છે. ત્યારે અહીં જવાબદાર અધિકારીઓ વાતાવરણ અનુકૂળ ન આવતું હોવાના રટણ રટી રહ્યા છે.

જોકે જે તે વખતે રિચર્ચ માટે અખતરા માટે આટલા બધા છોડ એક સાથે લાવવાની જરૂર ન હતી. રિચર્ચ તો થોડાઘણા છોડમાં પણ થઈ શકતું હતું. છતાં આજ દિન સુધી હજારો છોડની માવજત પાછળ કરોડો રૂપિયાનો ખર્ચાઈ ગયા છે.

70 હેક્ટર જમીન રિચર્ચમાં માત્ર બે વૈજ્ઞાનિકોના સહારે

મળતી માહિતી મુજબ, જ્યાં ઓલિવ ફાર્મ આવેલ છે, ત્યાં યુનિવર્સિટીના અલગ અલગ રિચર્ચ માટે 70 હેક્ટર જેટલી જમીન પણ આવેલી છે. આ રિસર્ચ સેન્ટર હાલમાં ફક્ત બે વૈજ્ઞાનિકોના ભરોસે ચાલી રહ્યું છે. આ રિસર્ચ સેન્ટરમાં સ્ટાફની 70 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે, અને માંડ 30 ટકા સ્ટાફથી કામ ચાલી રહ્યું છે. જેના લીધે યુનિવર્સિટીનો આખો આ વિભાગ રામ ભરોસો છે.

ઓલિવના છોડ પાંચ વર્ષ પછી ફળ આપે છે

ઓલિવ ફાર્મિંગ સાથે સંકળાયેલા જાણકારોના જણાવ્યા અનુસાર, ઓલિવ વૃક્ષો વાવેતરના પાંચ વર્ષ પછી ફળ આપવાનું શરૂ કરે છે. આ પાંચ વર્ષમાં લણણી બેથી ત્રણ વખત થાય છે, જેના કારણે ઓલિવ છોડનો વિકાસ દર વધે છે. ઓલિવ તેલનો ઉપયોગ ખોરાક અને કોસ્મેટિક ઉત્પાદનોમાં થાય છે. આ સાથે, તેમની ટ્વિગ્સમાં તેલનું પ્રમાણ પણ છે, જે લણણી પછી બર્ન કરવા માટે ઉપયોગી છે. નિષ્ણાતો કહે છે કે ઓલિવના પાંદડા સૂકવીને પણ ચા બનાવવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

ઓલિવ તેલ અને તેના પાંદડા અનેક ઉપયોગી

જાણકારોના મતે ઓલિવનું તેલ સહિત તેના પાંદડા પણ અતિ મહત્વ ધરાવે છે. જેમાં જે અનેક રોગોમાં અકસીર કામ કરે છે. ત્યારે અહીં કૃષિ યુનિવર્સિટીમાં ઓલિવના પાંદડા પણ જાણે કચરાના ઢગ પડ્યા હોય તેવી રીતે ફેંકી દેવામાં આવ્યા છે.

(4:52 pm IST)