Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન સમગ્ર રૂટ ઉપર સવારે ૭ થી ૧૨ સુધી કર્ફયુ રહેશે : હાથી - ટ્રક અને અખાડા નહિં જોડાય : મામાના ઘેર ભાવિકોનું ભોજન પણ નહિં થાય : ૪ થી ૫ કલાકમાં જ યાત્રા પૂર્ણ કરવી પડશે

અષાઢી બીજના પવિત્ર દિવસે રાજય સરકાર દ્વારા રથયાત્રા યોજવા મંજૂરી આપવામાં આવી છે ત્યારે આ અંગે આજે બપોરે ૩ વાગ્યે ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે અમદાવાદમાં રથયાત્રાને શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે. રથયાત્રા દરમિયાન માત્ર ૫ વાહનોને જ મંજૂરી અપાશે. રથયાત્રા દરમિયાન સમગ્ર અમદાવાદ શહેરમાં કર્ફયુ લાદી દેવામાં આવશે. આ રથયાત્રામાં હાથી - ટ્રક અને કોઈપણ જાતના અખાડા નહિં જોડાય. મામાના ઘેર ભોજન પણ યોજવામાં નહિં આવે. ૪ થી ૫ કલાકની અંદર જ આ રથયાત્રા પૂર્ણ કરી દેવી પડશે. પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવેલ કે કોઈપણ જગ્યાએ સ્વાગત માટે મંજૂરી આપવામાં આવશે નહિં. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પહિંદવિધિ થશે. કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે. નીજમંદિરમાં પણ મર્યાદીત માત્રામાં ભંડારો કરવામાં આવશે. હવે પોલીસ તંત્ર દ્વારા પોતાના વિવિધ પ્લાન મુજબ અમલ થશે. રથયાત્રા દરમિયાન સમગ્ર રૂટ ઉપર સવારના ૭ થી બપોરના ૧૨ વાગ્યા સુધી કર્ફયુનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જેનું જાહેરનામું હવે પ્રસિદ્ધ થશે.

(3:06 pm IST)