Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

વિરમગામ તાલુકાના ઓગણ ગામમાં ફૂલ ગરબા સાથે શ્રદ્ધાળુઓ હર્ષ ઉલ્લાસથી ગરબે ઘુમ્યા

ચૈત્ર સુદ સાતમ એટલે ઓગણ ગામની બળિયા દેવ માટે આસ્થાનો દિવસ : આ દિવસે સમગ્ર ગામ ધામધુમ અપાર શ્રદ્ધાથી ઉજવણી કરે છે

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ઓગણ ગામમાં ઘણાં વર્ષો પુરાણી પરંપરા પ્રમાણે  ગુજરાતી મહિનાની ચૈત્ર સુદ સાતમ એટલે ઓગણ ગામની બળિયા દેવ માટે આસ્થાનો દિવસ. આ દિવસે સમગ્ર ગામ આ મહિમા ધામધુમથી ને અપાર શ્રદ્ધા થી ઉજવે છે. પ્રસંગની શુભ શરૂઆત ગામના મુખ્ય ફુલ ગરબાને કંકુ તિલક કરી ગામના કરશનભાઈ ગોવિંદભાઈ ચાવડા કરાવે છે ને ત્યારબાદ વ્યક્તિગત માનતા માનેલ હોય તેવા  ફૂલ ગરબા શ્રદ્ધાળુઓ હર્ષ ઉલ્લાસ સાથે ગરબે ઘૂમતા ઘૂમતા. આ મુખ્ય ફુલ ગરબાની પાછળ જોડાઈ મંદિરના પ્રાંગણમાં માં એકઠા થાય છે. દર વર્ષે આશરે ૧૫૦ ની આજુબાજુ જેટલા ફુલ ગરબા થતાં હોય છે , જે આ વર્ષે ૩૧૫ ની સંખ્યા થઈ છે.  છેલ્લા વર્ષથી  મહિમા ઘણો વધ્યો છે એટલે આજુબાજુના ગામડાના પણ માનતાં ના ફુલ ગરબા તેમજ સગા સંબંધીઓ પણ જોડાય છે.  આ દિવસે  દરેક સમાજ ના લોકો ,ગ્રામજનો આ પ્રસંગ ને એક શ્રદ્ધા અને ગામ ના પર્વ તરીકે  કોઈ પણ જાતના ભેદભાવ વિના ભાઈચારાની જેમ ઉજવે છે અને મંદિરે  ગ્રામજનો એકઠા થઇ ગરબે ઘુમવા તેમજ બાપાના પ્રસાદને વનભોજન તરિકે ઉજવણી કરે છે. આ ફુલ ગરબાનુ પ્રસ્થાન ૨૦૧૨ સુધી આજ ગામના ગોવિંદભાઈ ચાવડા ભુવા હોઈ આ શરૂઆત કરાવતા હતા. હાલ આ કાર્ય તેમના દિકરા કરશનભાઈ ગોવિંદભાઈ ચાવડા ગામના મુખ્ય ફુલ ગરબાને કંકુ તિલક કરી શરૂઆત કરાવે છે , ત્યારબાદ બાકીના માનતાના ફુલ ગરબા તે મુખ્ય ફુલ ગરબા ની પાછળ જોડાય છે. આ બધા ગરબા જ્યારે મંદિરે પહોંચે ત્યાં પણ તિલક કરી માનતા પુરી કરવામાં આવે છે  પછી એ ફુલ ગરબા માથે ઉચકી લોકો આનંદ કરતા હોય છે.

(8:23 pm IST)