Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

ચિલ્‍ડ્રન્‍સ યુનિવર્સિટી દ્વારા બીજો પદવીદાન સમારોહઃ પ્રતિભા શોધવા ભારત જ્ઞાન પરીક્ષા

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૮: ચિલ્‍ડ્રન્‍સ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારંભ કુલાધિપતિ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્‍યક્ષસ્‍થાને ર૧મી એપ્રિલે નેશનલ ફોરેન્‍સિક સાયન્‍સ યુનિવર્સિટીના હોલમાં યોજાશે. તેવું ચિલ્‍ડ્રન્‍સ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ શ્રી હર્ષદભાઇ શાહ જણાવે છે. આ પદવીદાન સમારંભમાં યુનિવર્સિટીના વિવિધ અભ્‍યાસક્રમોમાં અભ્‍યાસ કરતા ૧૦૧ વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે. જયારે આઠ છાત્રોને ગોલ્‍ડ મેડલ અપાશે. આ પદવીદાન સમારંભ માટે ગુજરાતના માનનીય મુખ્‍યમંત્રીશ્રી શિક્ષણમંત્રીશ્રી સહિતના મહાનુભાવોને આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

તેમણે પત્રકારોને જણાવેલ કે ચિલ્‍ડ્રન્‍સ યુનિવર્સિટી બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ગર્ભસંસ્‍કારના માધ્‍યમ દ્વારા તેજસ્‍વી બાળકના જન્‍મથી તેજસ્‍વી ભારતના નિર્માણના ઉદ્દેશ્‍ય સાથે આ યુનિવર્સિટી કાર્ય કરી રહી છે. વિશ્‍વની આ એકમાત્ર અનોખી યુનિવર્સિટીની સ્‍થાપના ભારતના યશસ્‍વી વડાપ્રધાન અને તત્‍કાલીન મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના વિચારબીજથી થઇ છે બાળકોમાં રહેલી ક્ષમતાઓ, તેજસ્‍વિતાને પારખીને તેને વિકસાવવાનું, સંવર્ધન કરવાનું કામ પણ ચિલ્‍ડ્રન્‍સ યુનિવર્સિટી કરે છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં વસતાં તેજસ્‍વી બાળકોને શોધીને તેના હીરને વધુ નિખાવાના હેતુથી ચિલ્‍ડ્રન્‍સ યુનિવર્સિટી દ્વારા આજથી ૮મી એપ્રિલથી ‘ભારત જ્ઞાન પરીક્ષા' લોન્‍ચ કરવામાં આવી રહી છે. આ પરીક્ષામાં ધોરણ ૬ થી ૧રના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ૯મી એપ્રિલથી તેના માટે રજિસ્‍ટ્રેશન શરૂ થશે. જે એક મહિના સુધી ચાલશે. ભારતનો ઇતિહાસ, ભૂગોળ, પર્યાવરણ, ભાષા-સાહિત્‍ય, વર્તમાન પ્રવાહો, રમત-જગત, નાગરિક શાષા અને બંધારણ સહિતના વિષયો આ પરીક્ષામાં હશે. તેના માટે અભ્‍યાસસામગ્રી રજિસ્‍ટ્રેશન સાથે જ આપવામાં આવશે. આ પરીક્ષાનો હેતુ તેજસ્‍વી છાત્રોને શોધીને તેમની ક્ષમતાઓને વધુ વિકસાવવાનો છે.

તેઓ વધુમાં જણાવે છે કે, ચિલ્‍ડ્રન્‍સ યુનિવર્સિટી વિશ્‍વનો સૌથી મોટા ઓનલાઇન સમર કેમ્‍પ કલામૃતમ્‌-ર૦રર યોજવા જઇ રહી છે. ૧૧થી ૧પ મે દરમિયાન આ સમર કેમ્‍પ યોજાશે. જેમાં ૧૦ લાખ બાળકોને જોડવાનું આયોજન છે. આ સમર કેમ્‍પમાં નાના બાળકથી લઇને ધોરણ ૧ર સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. આ કેમ્‍પમાં રૂપિયા બે લાખ સુધીનાં ઇનામો આપવામાં આવશે. આ સમર કેમ્‍પમાં ગીત સંગીત, ચિત્રકળા, વેસ્‍ટમાંથી બેસ્‍ટ, પપેટ તેમજ જાદુના ખેલ ઓનલાઇન શીખવવામાં આવશે.

(4:15 pm IST)