Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

કાલે ગુજકેટની પરીક્ષા: 1.30 લાખ વિદ્યાર્થીઓનું એન્જીનીયરીંગ- ફાર્મસીનું ભાવી થશે નક્કિ: પરીક્ષા કેન્દ્રની આસપાસ કલમ 144 લાગુ

રાજ્યભરના 34 કેન્દ્રો પર 626 બિલ્ડિંગમાં 6,598 બ્લોકમાં સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધી ગુજકેટની પરીક્ષા લેવાશે: પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં રહેશે

અમદાવાદ: રાજ્યની ડીગ્રી એન્જીનીયરીંગ, ડીગ્રી/ ડિપ્લોમા ફાર્મસી કોલેજના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવાય છે.

રાજ્યભરમાં ગુજકેટ 2023ની પરીક્ષા લેવાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગૃપ એ, બે અને ગ્રૂપ એ.બી.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. રાજ્યભરમાં ગુજરાત બોર્ડના 1,15,135, CBSE ના 13,570 વિદ્યાર્થીઓ સહિત દેશભરના જુદા જુદા બોર્ડમાં અભ્યાસકર્તા કુલ 1 લાખ 30 હજાર 516 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે.

 રાજ્યભરના 34 કેન્દ્રો પર 626 બિલ્ડિંગમાં 6,598 બ્લોકમાં ગુજકેટની પરીક્ષા લેવાશે. સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધી ગુજકેટની પરીક્ષા લેવાશે. ભૌતિકવિજ્ઞાન, રસાયનવિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ગણિત વિષયોની પરીક્ષા લેવાશે. 

 

સવારે 10 થી 12 દરમિયાન 120 મિનિટની ભૌતિક અને રસાયનવિજ્ઞાનની પરીક્ષા રહેશે, જેમાં 40 - 40 માર્કના પેપરમાં 40 - 40 પ્રશ્નો પુછાશે. બપોરે 1 થી 2 વાગ્યા દરમિયાન જીવવિજ્ઞાનની પરીક્ષા 60 મિનિટની રહેશે, 40 પ્રશ્નો પુછાશે, 40 માર્કની પરીક્ષા હશે. બપોરે 3 થી 4 વાગ્યા દરમિયાન ગણિતની પરીક્ષામાં પણ 40 પ્રશ્નો રહેશે, 40 માર્કનું પેપર 60 મિનિટનું રહેશે. MCQ બેઝડ પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં રહેશે.

 તમામ પરીક્ષા કેન્દ્રનું CCTV દ્વારા મોનીટરીંગ કરાશે. પરીક્ષા કેન્દ્રની આસપાસ કલમ 144 લાગુ રહેશે, ઝેરોક્ષ સેન્ટર બંધ રાખવા પડશે. પરીક્ષામાં સાદા કેલક્યુલેટરનો ઉપયોગ કરી શકાશે, સાયન્ટિફિક કેલક્યુલેટર પર પ્રતિબંધ રહેશે. મોબાઈલ કે લોગ ટેબલ પણ પરીક્ષા સમયે પ્રતિબંધિત રહેશે.

(9:17 pm IST)