Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

ભાજપના દરેક કાર્યકર્તા જનતાની સેવા માટે સમર્પિત છે : ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં 'ઇમરજન્સી મેડિકલ ડે' નિમિત્તે અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ ખાતે ભારતીય જનતા પાર્ટી - કર્ણાવતી મહાનગર દ્વારા 'કાર્યકર્તા CPR ટ્રેનિંગ અભિયાન'નું આયોજન થયું

અમદાવાદ: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં 'ઇમરજન્સી મેડિકલ ડે' નિમિત્તે અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ ખાતે ભારતીય જનતા પાર્ટી - કર્ણાવતી મહાનગર દ્વારા 'કાર્યકર્તા CPR ટ્રેનિંગ અભિયાન'નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ અવસરે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આપણે સૌએ તાજેતરમાં અનેક એવા કિસ્સાઓ જોયા છે કે કોવિડની મહામારી બાદ નાની વયે હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. સમાન્ય રીતે હાર્ટ એટેકના કિસ્સામાં ૧૦ થી ૨૦ મિનિટના 'ગોલ્ડન ઓવર'માં જો દર્દીને પ્રાથમિક સારવાર મળી રહે તો તેનો જીવ બચી શકે છે ત્યારે આ અંગેની જાગૃતિ લાવવા માટે રાજ્ય સરકાર, ભારતીય જનતા પાર્ટી તેમજ ડોક્ટર સેલ દ્વારા 'કાર્યકર્તા CPR ટ્રેનિંગ અભિયાન'નું આયોજન કરવામાં આવ્યું છે. 

 

મુખ્યમંત્રી શ્રીએ વધુમાં કહ્યું કે, આજે રાજ્યની ૩૮ મેડિકલ કોલેજોમાં ૧૨૦૦ થી વધુ તબીબો દ્વારા ગુજરાતના અંદાજિત ૭૦ હાજરથી વધુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે જેનો એક વર્લ્ડ રેકોર્ડ નોંધાવા પણ જઈ રહ્યો છે.

 

ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની કટિબદ્ધતા અંગે મુખ્યમંત્રી શ્રી એ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગમે તેવી મુશ્કેલી હોય ત્યારે સેવાના કામમાં જરૂર આવીને ઉભો રહે છે. ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા જનતાની સેવા માટે સમર્પિત છે. સમર્પિત કાર્યકર્તાઓને કારણે જ દરેક અભિયાન શક્ય અને સફળ બનતું હોય છે.

 

ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જનતાની વચ્ચે રહીને હર હંમેશથી સેવા કરતો આવ્યો છે. લોકોની વચ્ચે રહીને દરેક મુશ્કેલીના સમયમાં નાગરિકોની સેવા કરવી એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની કાર્યપધ્ધતિ રહી છે એવો મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 

 ભૂપેન્દ્રભાઈ  પટેલે કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના દરેક નાગરિકોને અહેસાસ થયો છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર તેમની દરકાર કરે છે આ વિશ્વાસનું પરિણામ જનતાએ જોયું છે. આમ ભારતીય જનતા પાર્ટીની જીત એ જ આ વિશ્વાસનું પરિણામ છે.

 

'જે કહેવું એ કરવું' અને જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી પ્રયાસો કરતા રહેવું એવી કાર્ય પદ્ધતિ શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દરેક કાર્યકર્તાએ અપનાવી છે. રાજ્ય સરકારે પણ ૫ લાખનું વીમા કવચ વધારીને ૧૦ લાખ કર્યું છે. એટલું જ નહીં દરેક તાલુકા લેવલે ડાયાલિસિસ સેન્ટર પણ ઉભા કરવામાં આવ્યા છે. આ બધું 'જે કહેવું એ કરવું' તેનું ઉદાહરણ છે એમ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું. 

 

આ અવસરે મુખ્યમંત્રીશ્રી દ્વારા ૧૦૮ ના ૧૦ કર્મચારીઓને 'ગોલ્ડન ઓવર'માં લોકોના જીવ બચાવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

આ અવસરે અમદાવાદ શહેર અધ્યક્ષ અને એલિસબ્રિજના ધારાસભ્યશ્રી અમિતભાઈ શાહે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી અને ડોક્ટરસેલના ઉપક્રમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે CPR ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યકર્તાઓ આ ટ્રેનિંગ થકી ઘણા લોકોના જીવન બચાવી શકશે તેઓ વિશ્વાસ તેમને વ્યક્ત કર્યો હતો અને આ અભિયાનને સફળ બનાવવા માટે સિવિલ હોસ્પિટલની ટીમને જે સહયોગ મળ્યો તેના બદલ તેમણે આભાર પણ વ્યક્ત કર્યો હતો.

 

આ અવસરે અસારવા વિધાનસભાના ધારાસભ્ય  દર્શનાબેન વાઘેલા, નરોડાના ધારાસભ્ય  પાયલ કુકરાણી, ધારાસભ્ય બાબુભાઈ પટેલ, મહામંત્રી, પ્રદેશ ડોક્ટર સેલના સંયોજક શ્રી ધર્મેન્દ્રભાઈ ગજ્જર, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડીન અને સુપ્રિટેન્ડેન્ટ તેમજ મેડિકલના વિદ્યાર્થીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(7:23 pm IST)