Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

સાઉથના સુપરસ્‍ટાર રજનીકાંતની દીકરી ઐશ્વર્યાના ઘરમાંથી 100 કિલો સોનુ, ચાર કિલો ચાંદીના દાગીનાની ચોરીઃ ચોરી કરનાર ડ્રાઇવર અને કામવાળી નીકળ્‍યા

ઐશ્વર્યાએ છેલ્લે 2019માં પોતાની બહેન સૌંદર્યાના લગ્નમાં પહેર્યા હતા બાદમાં લોકરમાં રાખ્‍યા હતા

મુંબઇઃ સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની દીકરી અને ફિલ્મ ડિરેક્ટર એશ્વર્યા રજનીકાંત હાલ ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ છે તેના ઘરમાં થયેલી મોટી ચોરી. એશ્વર્યાના ઘરમાં 21 માર્ચે મોટી ચોરી થઈ છે. આ મામલે એશ્વર્યાએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કર્યા બાદ ઘરમાં જ કામ કરતા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

મંગળવારે સામે આવ્યું હતું કે રજનીકાંતની દીકરી એશ્વર્યા રજનીકાંતના ઘરમાં ચોરી થઈ છે. એશ્વર્યાના ઘરમાંથી 100 તોલા સોનુ અને ચાર કિલો ચાંદીના દાગીના ચોરાયા હતા. પોલીસ ફરિયાદ બાદ પોલીસે તપાસ કરતા ચોરીના કેસમાં તેનો ડ્રાઇવર અને કામવાળી સંડોવાયેલા નીકળ્યા.

ચોરીના આ કેસમાં પોલીસે ઐશ્વર્યાની 18 વર્ષ જૂની કામવાળી ઈશ્વરીની ધરપકડ કરી છે. જેણે તેના ડ્રાઇવર વેંકટેશના કહેવા પર ચોરી કરી હતી. મહત્વનું છે કે ઈશ્વરી છેલ્લા 18 વર્ષથી ઐશ્વર્યાના ઘરમાં કામ કરતી હતી અને ઐશ્વર્યાને તેના પર વિશ્વાસ હતો. એશ્વર્યા લોકરની ચાવી ક્યાં રાખે છે તે પણ કામવાળીને ખબર હતી. તે છેલ્લા ઘણા સમયથી લોકર ખોલીને એક એક કરીને સોના ચાંદીના ઘરેણા ચોરી કરતી હતી. ઘરેણા વેંચીને તેણે ઘર પણ ખરીદી લીધું હતું. આ મામલે ખુલાસો થયા બાદ પોલીસે તેના મકાનના દસ્તાવેજ પણ જપ્ત કરી લીધા છે.

એશ્વર્યાએ પોલીસમાં ફરિયાદ ગયા મહિને કરી હતી. ચોરાયેલા ઘરેણામાં એક ડાયમંડ સેટ, એક નવરત્ન સેટ, નેકલેસ, બંગડી અને જુનવાણી ઘરેણાનો સમાવેશ થાય છે. એશ્વર્યાએ ફરિયાદમાં લખાવ્યું હતું કે આ ઘરેણા તેણે છેલ્લી વખત 2019 માં પોતાની બહેન સૌંદર્યના લગ્નમાં પહેર્યા હતા ત્યાર પછી તેણે લોકરમાં રાખી દીધા હતા.

(6:12 pm IST)