Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

‘જયેશભાઈ જોરદાર'નું ટ્રેલર રિલીઝઃ ફેન્‍સને પસંદ આવશે રણવીર સિંહનો ગુજરાતી અંદાજ

ફિલ્‍મમાં રણવીર સિંહ ગુજરાતી વ્‍યક્‍તિના પાત્રમાં છેઃ જે તેની પત્‍નીના ગર્ભમાં રહેલી દીકરીને બચાવવા માટે પરિવાર સામે લડ઼ી જાય છેઃ જયેશભાઈ જોરદાર એવી ફિલ્‍મ છે, જે દર્શકોને રડાવશે નહીં તો પૈસા પરતઃ રણવીર સિંહ

મુંબઇ, તા.૧૯: યશરાજ ફિલ્‍મ્‍સના બેનર હેઠળ બનેલી રણવીર સિંહ સ્‍ટારર ફિલ્‍મ ‘જયેશભાઇ જોરદાર'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્‍મમાં દર્શકોને એક્‍ટર એકદમ અલગ જ અંદાજમાં જોવા મળશે. ‘જયેશભાઇ જોરદાર'માં રણવીર સિંહ જયેશભાઈના પાત્રમાં છે, જેણે મુદ્રા (શાલિની પાંડે) સાથે લગ્ન કર્યા છે અને એક દીકરીનો પિતા છે. ફિલ્‍મમાં બોમન ઈરાની રણવીર સિંહના પિતાના પાત્રમાં છે, જેઓ ગામના સરપંચ છે જયારે રત્‍ના પાઠક તેમના પત્‍નીના રોલમાં છે. ગામમાં સરપંચનું પદ વારસાગત રીતે આપવાની પ્રથા છે. ફિલ્‍મમાં પિતા બાદ સરપંચનું પદ રણવીર સિંહના પાત્ર જયેશભાઈને મળવાનું હોય છે. આ સમયે જ તેની પત્‍ની પ્રેગ્નેન્‍ટ હોય છે તેથી તેના બાદ સરપંચ બનવાનો વારો કોનો આવશે તેની ચિંતા જયેશભાઈને થાય છે.
કેટલાક સમાજમાં આજે પણ દીકરાના જન્‍મને મહત્‍વ આપવામાં આવે છે. ફિલ્‍મમાં રણવીર સિંહના પરિવારને પણ તેવો દેખાડવામાં આવ્‍યો છે. તેઓ ગર્ભ પરીક્ષણ કરાવે છે અને જો દીકરી હોય તો ગર્ભપાત કરાવવાનું નક્કી કરે છે. પરીક્ષણ દરમિયાન દીકરી હોવાની જાણ થતાં જ જયેશભાઈનો પરિવાર વિફરે છે. પરંતુ તે દીકરીને જન્‍મ આપવા માટે મક્કમ હોય છે. પત્‍ની અને આવનારા બાળકને બચાવવા માટે તે તેમને લઈને કાર લઈને ઘરેથી ભાગી જાય છે. જે બાદ જયેશભાઈના જીવનમાં અસલી મુશ્‍કેલીઓ શરૂ થાય છે. આ જ ‘જયેશભાઇ જોરદાર'ની કહાણી છે.‘જયેશભાઇ જોરદાર'ના ટ્રેલર લોન્‍ચ વખતે રણવીર સિંહે કહ્યું હતું કે, તેનું પાત્ર મોટી સ્‍ક્રીન પર ‘હીરોઇઝમ'ની (વીરતા) વ્‍યાખ્‍યાને બદલી નાખશે અને ફિલ્‍મ જોઈને દર્શકોને મહત્‍વનો મેસેજ પણ મળશે તેવી તેને આશા છે. ‘ફિલ્‍મ લોકોને હસાવશે, રડાવશે અને હકીકતનો સામનો કરાવશે'.રણવીર સિંહે જણાવ્‍યું હતું કે, ‘આ એવી ફિલ્‍મ છે, જો રડાવે નહીં તો પૈસા પરત'.ફિલ્‍મ ૧૩ મે, ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે. અગાઉ ફિલ્‍મ ફેબ્રુઆરી મહિનામાં રિલીઝ થવાની હતી. જો કે, ઓમિક્રોનના કારણે તેની તારીખ પાછળ કરવામાં આવી હતી

 

(4:05 pm IST)