Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

સાઉથની ફિલ્‍મમાં ઉત્‍કૃષ્‍ટ અભિનયના ઓજસ પાથરનાર મૂળ સુરતની અભિનેત્રી નમિતા વાંકાવાલા

અભિનેત્રીને દેવી ગણતા સાઉથના લોકોઃ સાઉથના ત્રણ મંદિરોમાં નમિતાના નામની મુર્તિઓ

આ દિવસોમાં સાઉથની ફિલ્મો દુનિયા પર છવાયેલી છે. સોમવારે, એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત જુનિયર એનટીઆર-રામ ચરણ સ્ટારર ફિલ્મ આરઆરઆરના ગીત 'નાતુ નાતુ'એ ઓસ્કાર એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો. દક્ષિણમાં ફિલ્મ કલાકારોને તેમના ચાહકો ભગવાનની જેમ પૂજતા હોય છે, પરંતુ કેમ ન હોય, તેમની ફિલ્મો આજે દુનિયામાં ધૂમ મચાવી રહી છે. જો કે, ચાહકો માત્ર તેમના મનપસંદ સ્ટાર્સની પૂજા કરતા નથી, પરંતુ તેમના નામ પર મંદિરો પણ બનાવે છે. આજે અમે તમને ગુજરાતની એ અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના સાઉથમાં એક કે બે નહિ પરંતુ ત્રણ મંદિર છે. 10 મે, 1981ના રોજ ગુજરાતના સુરતમાં જન્મેલી અભિનેત્રી નમિતા વાંકાવાલા ઉર્ફે ભૈરવી ઘણીવાર પોતાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે. નમિતા વાંકાવાલા આજે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે, તેના અભિનયના ચાહકો દુનિયાના ખૂણે ખૂણે છે.

દક્ષિણમાં નમિતાના ત્રણ મંદિરો-
નમિતા વાંકાવાલાની ફેન ફોલોઈંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સાઉથમાં તેના નામ પર ત્રણ મંદિરો બનાવવામાં આવ્યા છે, જ્યાં અભિનેત્રીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. નમિતાએ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ જેવી ઘણી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. સોન્થમ તેની કારકિર્દીની પ્રથમ ફિલ્મ હતી.

'કટપ્પા' સાથે રોમાન્સ-
ગુજરાતની હોવા છતાં નમિતા દક્ષિણમાં ધમાલ મચાવી રહી છે. સાઉથ ઈન્ડસ્ટ્રીમાં તે એકમાત્ર એવી અભિનેત્રી છે, જેને દેવીની જેમ પૂજવામાં આવે છે. અભિનેત્રીનું પહેલું મંદિર તમિલનાડુના તિરુવનલવેલીમાં છે, જ્યાં તેના ચાહકો તેને ખૂબ પ્રેમ કરે છે. તમને 'બાહુબલી'નો 'કટપ્પા' તો યાદ જ હશે. નમિતાએ કટપ્પાની ભૂમિકા ભજવનાર અભિનેતા સત્યરાજ સાથે એક ફિલ્મ કરી હતી, જેમાં તેણે ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા. તે દિવસોમાં સત્યરાજની ઉંમર નમિતા કરતાં બમણી હતી, છતાં અભિનેત્રીને તેમના પર ક્રશ હતો.

ફેને અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો-
સત્યરાજ સિવાય નમિતાએ સાઉથના ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું, પરંતુ તેણે પોતાના અભિનયથી બધાના સ્ટારડમને ઝાંખા પાડી દીધા. નમિતા પણ બિગ બોસનો ભાગ રહી ચૂકી છે. તમને જાણીને નવાઈ લાગશે કે નમિતાના ફેન્સ તેના માટે એટલા ક્રેઝી છે કે એકવાર તેનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હા, નમિતાનો એક ચાહક તેનું અપહરણ કરવા માંગતો હતો, પરંતુ તે આ પ્રયાસમાં નિષ્ફળ ગયો અને પોલીસે તેની ધરપકડ કરી. કારણ પૂછવા પર, વ્યક્તિએ કહ્યું કે તે મનીતા માટે પાગલ છે અને તેને તેની સાથે લઈ જવા માંગે છે. ચાહકોનો આ ક્રેઝ જોઈને નમિતાએ તેને પોલીસમાંથી છોડાવી લીધો.

 

(6:12 pm IST)