Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

મોરબીમાં ગેસના ભાવવધારા સહિતના પરિબળોને પગલે સિરામિકની માઠી, વોલ ટાઈલ્સ યુનિટો એક માસ માટે બંધ

સોમવારથી એક માસ સુધી યુનિટો બંધ રખાશે 1 માસ બાદ ભાવવધારા સાથે શરુ કરવા નિર્ણય

મોરબી : તાજેતરમાં ગેસ કંપની દ્વારા રાતોરાત કમરતોડ ભાવવધારો ઝીંકી દેવામાં આવ્યો હોય જેથી સિરામિક ઉદ્યોગપતિઓ મુશ્કેલીમાં મુકાયા છે ગેસના ભાવ ઉપરાંત રો મટીરીયલ્સના ભાવ, કન્ટેનર અછત અને ભાડામાં વધારા સહિતના પરિબળોને પગલે હાલ મોરબીના ૧૮૦ જેટલા વોલ ટાઈલ્સ યુનિટો એક માસ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

મોરબી વોલ ટાઈલ્સ એસોની તાજેતરમાં મીટીંગ મળી હતી જેમાં હાલના ગેસના ભાવવધારા સહિતના મુદે ચર્ચા કરવામાં આવી હતી અને તા. ૩૦ ઓગસ્ટથી એક માસ માટે ૧૮૦ જેટલા યુનિટો બંધ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે જે અંગે એસો પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા જણાવે છે કે ગેસ કંપનીએ તાજેતરમાં રૂ ૫ નો ભાવવધારો કર્યો છે જે ભાવવધારો ઇન્ટરનેશનલ તેમજ ડોમેસ્ટિક માર્કેટમાં સેટલ થઇ સકે તેમ નથી તે ઉપરાંત કન્ટેનર ભાડા વધારો અને સ્થાનિક લેવલે ઓર્ડર ના હોય જેથી ૧૮૦ જેટલા વોલ ટાઈલ્સ બનાવતા યુનિટો એક માસ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ માંગ અને પુરવઠાના નિયમને બેલેન્સ કરવામાં આવ્યા બાદ એક માસ બાદ ટાઈલ્સના ભાવોમાં ૧૦ થી ૧૫ ટકાના ભાવવધારા સાથે પુનઃ યુનિટો શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
ગેસના ભાવવધારો કરતા પૂર્વે જાણ કરાય તે જરૂરી
સિરામિક એસો પ્રમુખ નીલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે ગેસ કંપની ભાવવધારો કરે તે પૂર્વે એક માસ પહેલા નોટીસ આપી અથવા પત્રથી જાણ કરે તે જરૂરી છે ઓર્ડર વહેલા લેવાતા હોય છે અને ઓચિંતા ભાવવધારાને પગલે ફેક્ટરીને નુકશાની સહન કરવાનો વારો આવે છે જેથી ગેસ કંપની જયારે પણ ભાવવધારો કરે તે પૂર્વે જાણ કરે તે ઉદ્યોગના હિતમાં હોવાનું જણાવ્યું હતું.

(11:24 pm IST)