Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

ઓખા - બેટ બ્રિજનું કામ ઓકટોબરમાં પૂર્ણ : ભૂપેન્‍દ્રભાઇ પટેલ

દેવભુમી દ્વારકા જિલ્લામાં દરિયાઇ પટ્ટીમાં કરાયેલ ડિમોલેશન બાદ મુખ્‍યમંત્રી અને ગૃહમંત્રીએ નિરીક્ષણ કર્યું : ભૂપેન્‍દ્રભાઇના નેતૃત્‍વમાં દરિયાઇ સલામતી માટે તમામ પગલા લેવાયા - શાંતિ - સલામતી અને સુરક્ષા માટે કડક કાર્યવાહી : હર્ષ સંઘવી

દેવભુમી દ્વારકા જિલ્લાની મુલાકાતે ગઇકાલે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી આવ્‍યા હતા અને બેટ દ્વારકા અને હર્ષદ માતાજીના દર્શન કર્યા હતા અને દબાણ હટાવ થયેલ તે જગ્‍યાઓનું તથા નવા બનતા સિગ્નચર બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર - અહેવાલ : વિનુભાઇ સામાણી, દિપેશ સામાણી - દ્વારકા, કૌશલ સવજાણી - ખંભાળીયા, ભરત બારાઇ - ઓખા)

(વિનુભાઇ સામાણી - કૌશલ સવજાણી - ભરત બારાઇ દ્વારા) દ્વારકા - ખંભાળીયા - ઓખા તા. ૨૯ : ગઇકાલે બપોર બાદ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દેવભુમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવ્‍યા હતા. તેઓએ બેટ દ્વારકા તથા હર્ષદ માતાજીના દર્શન કર્યા હતા.

આ તકે મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે ઓખા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું કામ ઓકટોબર મહિનામાં પૂર્ણ થઇ જશે તેમ જણાવ્‍યું હતું.

મુખ્‍યમંત્રીᅠભૂપેન્‍દ્રભાઈ પટેલ અને ગૃહરાજયમંત્રીᅠહર્ષ સંઘવીએ દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્‍વના એવાં બેટ દ્વારકાની રૂબરૂ મુલાકાત લઇ તંત્ર દ્વારા થયેલી ગેરકાયદે દબાણ દૂર કરવા અંગેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

મુખ્‍યમંત્રીશ્રી અને ગૃહ રાજયમંત્રીશ્રીએ ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરના દરિયા કાંઠા પર સુરક્ષાની દ્રષ્ટિએ મહત્‍વના અને એવા પોઇન્‍ટ અને તે વિસ્‍તારોમાં પોલીસ-રેવન્‍યુ ખાતાની કાર્યવાહીની સમીક્ષા પણ કરી હતી.

ઓખાથી બેટ દ્વારકા સુધીની દરિયાઈ સફર દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના ડ્રિમ પ્રોજેકટ સમા નિર્માણાધીન સિગ્નેચર બ્રિજના કામનું પણ નિરીક્ષણ તેમણે કર્યું હતું.ᅠ

સિગ્નેચર બ્રિજની કામગીરી સત્‍વરે પૂર્ણ કરાશે તેમ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

આ પ્રસંગે મુખ્‍યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સ્‍થાપેલા સુરક્ષા, શાંતિ, સલામતીના મજબૂત પાયાને વધુ સુદ્રઢ રાખવા રાજય સરકાર મક્કમ છે. વિકાસ કામોને આડે આવતી ગેરકાયદે દબાણ સહિતની ગેરકાયદે પ્રવૃતિઓ આગળ વધતી અટકાવાશે અને કાયદાકીય રીતે સખ્‍તાઈથી દૂર કરવામાં આવશે. લોકોની સલામતી અને સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ છે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા ઝુંબેશ ચાલુ જ રહેશે તેમ જણાવ્‍યું હતું.

સરકારી યોજનાઓના લાભ વિના અવરોધે છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે તે હેતુથી સરકાર દ્વારા આ પ્રકારની કામગીરી હાથ ધરાઈ રહી છે, તેમ તેમેણે ઉમેર્યું હતું.ᅠ

મુખ્‍યમંત્રીશ્રીએ વધુમાં સ્‍પષ્ટ કહ્યું હતું કે, ગુજરાતના ૧૬૦૦ કી.મી. લાંબા દરિયાઇ પટ્ટા પર કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં. આ તમામ દરિયા કિનારાને સજ્જડ સુરક્ષિત કરવાનો નિર્ધાર છે.ᅠ

આ મુલાકાત વેળાએ ગૃહરાજયમંત્રીᅠ હર્ષ સંઘવીએ જણાવ્‍યું હતું કે, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં સમુદ્ર તટીય વિસ્‍તારોની આંતરિક અને બાહ્ય સલામતી અને સુરક્ષા માટે આ કડક પગલાં લેવાઈ રહ્યા છે. ગેરકાયદેસર દબાણો પર લોકહિતમાં કાર્યવાહી કરવામાં આવી છે અને કડક પગલાં લેવામાં આવ્‍યા છે. દરિયાઈ પટ્ટી પર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં.

આ પ્રસંગે ધારાસભ્‍યᅠ પબુભા માણેક, પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય, જિલ્લા કલેક્‍ટરᅠ એમ.એ.પંડ્‍યા, પોલીસ અધિક્ષકᅠ નીતીશકુમાર, જિલ્લા ભાજપ પ્રમુખᅠ મયુર ગઢવી, મહામંત્રીᅠયુવરાજસિંહ વાઢેર વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:38 am IST)