Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

પ્રજાસત્તાક પર્વ સંવિધાનને ગૌરવભેર યાદ કરવાનો દિવસ : ધર્મેન્દ્રસિંહ જાડેજા

અમરેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૨૭ : અમરેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે ૭૨મા ગણતંત્ર દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. રાજયકક્ષાના મંત્રીશ્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા રાષ્ટ્રભકિતના અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી.

ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવતા રાજયકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, ગણતંત્ર દિવસ એ સંવિધાનને ગૌરવભેર યાદ કરવાનો દિવસ છે. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦માં ભારતીય બંધારણને માન્યતા મળતાંની સાથે જ વિશ્વની સૌથી મોટી લોકશાહી અસ્તિત્વમાં આવી હતી. દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય, ન્યાય, વિચાર, અભિવ્યકિત, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતાની તક અને હક મળ્યા છે. લોકોથી, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી ગરીમાપૂર્ણ શાસન વ્યવસ્થાથી લોકશાહી ગૌરવવંતી બની છે.

એકતાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે એકતામાં અનેરી તાકાત છે. આપણા ગુજરાત સહીત સમગ્ર ભારત દેશએ એક થઈને કોરોના મહામારી સામે બાથ ભીડી છે. ધીમે ધીમે મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અને રિકવરી રેટ ૯૬%થી પણ વધુ થયો છે. આમ આપણે સૌએ એક થઈને મહામારીને નાથવાના પ્રયાસો સફળ રહ્યા છે. વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ખુબ જ ટૂંકા સમયગાળામાં કોરોનાની રસી શોધીને આપણા દેશના વૈજ્ઞાનિકોએ દુનિયાને નવો માર્ગ ચીંધ્યો છે. તબક્કાવાર આરોગ્ય કર્મીઓને, સુરક્ષા કર્મીઓને, વડીલોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લાના સર્વાંગી વિકાસની સાથે જિલ્લાના નાગરિકોને આરોગ્યલક્ષી તેમજ અન્ય સુવિધાઓ પૂરી પાડવા જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા સંનિષ્ઠ કાર્ય અને પ્રયત્નો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતુ. 

મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક અને જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાયએ પોલીસ પરેડ, માર્ચ પાસ્ટ અને ટેબ્લો નિદર્શન કર્યુ હતુ. મંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય સેનાનીનું સુતરની આંટી પહેરાવી તથા શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ.

આ તકે કોવીડ-૧૯ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આરોગ્યકર્મીઓ તથા રમત ગમત અને કલા ક્ષેત્રે રાષ્ટ્ર કક્ષાએ તેમજ રાજયકક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર રમતવીરોનું અને કલાવીરોનું મહાનુભાવોના હસ્તે પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉમદા કામગીરી કરનાર અધિકારી-કર્મચારીશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે આ કાર્યક્રમમાં સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયા, અધિક કલેકટર શ્રી એ.બી.પાંડોર તથા પ્રાંત અધિકારીશ્રી સી. કે. ઉંધાડ તથા જિલ્લા આયોજન અધિકારી શ્રી ડી.એ.ગોહિલ તેમજ પદાધિકારીશ્રી-અધિકારીશ્રી-કર્મચારીગણ અને વિદ્યાર્થીઓ તથા અમરેલીના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રભારીમંત્રીની અધ્યક્ષતામાં અભિયાન સેવા ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ કેમ્પ

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અમરેલી સોની જ્ઞાતિની વાડી ખાતે અભિયાન સેવા ટ્રસ્ટ દ્વારા રાજયકક્ષાના મંત્રીશ્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અને સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે રકતદાનની મહત્તા સમજાવતા મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે રકતદાન એ શ્રેષ્ઠદાન છે. જે કોઈ પણ લોકો રકતદાન કરી શકે છે તેઓએ અવશ્ય રકતદાન કરવું જ જોઈએ કારણકે તમે કરેલું રકતદાન કોઈ વ્યકિત માટે નવજીવન આપી શકે છે. આમ નવયુવાનોએ અને અન્ય બીમારીથી પીડિત ન હોય તેવા વ્યકિતઓને વધુમાં વધુ રકતદાન કરવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં તુષાર જોશી અને સમાજના આગેવાનો તેમજ અમરેલી શહેર રોટરી કલબ ગ્રુપ જેવી સંસ્થાઓ જોડાઇ હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વીર જવાનની સ્મૃતિમાં અને થેલેસેમિયાગ્રસ્ત ૧૮૮ જેટલા બાળકોના લાભાર્થે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અભિયાન સેવા ટ્રસ્ટના રફિકભાઈ ચૌહાણ, અજયભાઈ લાખાણી, અશ્વિનભાઈ ધનાણી અને ટ્રસ્ટની ટીમે ભારે જહેમત ઊઠાવી હતી.

(10:17 am IST)