Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

જસદણ શ્રીનાથજી હવેલીમાં સોમવારે યમુનાજી પ્રાગટય મહોત્‍સવ ઉજવાશે

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૨૫: સમગ્ર સૌરાષ્‍ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની શ્રીનાથજીની હવેલીમાં સોમવારે શ્રીયમુના મહારાણીજીનો પ્રાગટય મહોત્‍સવ ભવ્‍યતાથી ઉજવાશે.

પુષ્ટિ માર્ગિય વૈષ્‍ણવ સમાજ ટ્રસ્‍ટ સંચાલિત શ્રીનાથજીની હવેલી જસદણનાં પ્રમુખ કિરીટભાઈ પટેલની યાદીમાં જણાવ્‍યા મુજબ શ્રીનાથજીની હવેલી જસદણ ખાતે હિરાબેન ચંદુલાલ પટેલ યમુનાજી પ્રાગટય મહોત્‍સવ ફંડના ઉપક્રમે તા.૨૭-૩-૨૦૨૩ને સોમવારે શ્રીયમુના મહારાણીજીનો પ્રાગટય મહોત્‍સવ ઉજવાશે. જસદણ હવેલીના યમુના મહિલા મંડળમાં સભ્‍ય થયેલા તમામ બહેનો માટે  મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે. હવેલી ખાતે બપોરે ૧૨ કલાકે નંદમહોત્‍સવ, રાજભોગ, તિલક દર્શન વગેરે યોજાશે. નંદ મહોત્‍સવ સમયે કીર્તનીયાઓ કીર્તનની રમઝટ બોલાવશે. મુખ્‍ય હજી ઘનશ્‍યામભાઈ જોશી દ્વારા ઠાકોરજીને તિલક કરવામાં આવશે તેમજ સુંદર શ્રુગાર  કરવામાં આવશે. ત્‍યાર બાદ બહેનો માટે મહાપ્રસાદ યોજાશે. સાંજે હવેલીના સત્‍સંગ મંડળના બહેનો દ્વારા હવેલી ખાતે યમુનાષ્ટકના પાઠ તેમજ સત્‍સંગ યોજાશે.

(12:00 pm IST)