Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

જામનગરમાં સહકારી પ્રવૃત્તિ દ્વારા આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતા વિષય પર સેમિનાર યોજાયો

જામનગર તા. ૨૪: નેશનલ કો-ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હીના સહયોગથી અને ગુજરાત રાજ્ય સહકારી સંઘની શિક્ષણ અને તાલીમ યોજના અન્વયે જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે 'સહકારી પ્રવૃત્તિ દ્વારા આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતા' વિષય પર અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને નાગરિક સહકારી બેંકો તથા ક્રેડિટ સોસાયટીઓ માટેનો જિલ્લાકક્ષાનો સેમિનાર યોજાયો હતો.

આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં સહકારી પ્રવૃત્તિનો પ્રારંભ ગુજરાતમાંથી સને ૧૯૦૪માં થયો હતો અને આજે સંપૂર્ણ ભારતમાં સહકારી પ્રવૃત્તિ લોકોના આર્થિક-સામાજિક વિકાસની એક મહત્વની પ્રવૃતિ સાબિત થઈ છે. ૧૧૭ વર્ષના ગાળામાં આ પ્રવૃત્તિએ અનેક ચડતી પડતી જોઈ, આજે ગુજરાતમાં લગભગ ૬૦ હજારથી વધુ જુદા જુદા પ્રકારની સહકારી સંસ્થાઓ આવેલી છે. જેમાં નાણા ધીરનારની સંસ્થાઓ જેવી કે જિલ્લા બેંકો, નાગરિક બેંકો, ધિરાણ મંડળીઓ, ક્રેડિટ સોસાયટીઓ આજે લોકોને સ્વનિર્ભર બનવામાં મદદરૂપ બની રહી છે.

 સહકારી સંસ્થાઓ લોકોના આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવી રહી છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સહકારી પ્રવૃત્તિઓને વધુ અસરકારક અને વેગવંતી બનાવવા તાજેતરમાં જ સહકાર વિભાગનું નિર્માણ કરવામાં આવ્યું છે, આ પહેલથી સહકારી ક્ષેત્રનો ઉત્તરોત્તર વિકાસ થશે. સહકારી ક્ષેત્રનો વહીવટ વધુ પારદર્શી બને અને લોકભોગી થાય તેવી અભ્યર્થના મંત્રીશ્રીએ વ્યકત કરી હતી.

આ પ્રસંગે જામનગરના સાંસદ શ્રી પૂનમબેન માડમે કહ્યું હતું કે, સહકારિતા અને સહભાગિતા થકી દેશના વિકાસની પગદંડી ઉપર આગળ વધવા પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં સહકારી વિભાગનું કેન્દ્રમાં ગઠન કરવામાં આવ્યું છે, અનેક જુના કાયદાઓ જે સમયની માંગ સાથે બદલવાનું કાર્ય પણ પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં થયું છે. સહકારી ક્ષેત્રમાં વધુ પારદર્શિતા આવે સહકારી ક્ષેત્ર વધુ સુદ્રઢ બને તે માટે આ ક્ષેત્રને મંત્રાલયમાં અલગથી સ્થાન આપી તેને વધુ કાયદાકીય પરિપ્રેક્ષ્યોમાં આગળ વધારવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.

 ભારતના ૨૮ કરોડથી વધુ નાગરિકો સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે ત્યારે 'સહકારથી સમૃદ્ધિ'ના અભિગમ સાથે આગળ વધવાનું છે. સહકારી બેંકોની વ્યવસ્થા પણ કાયદાકીય રીતે મજબૂત બને અને વ્યવસ્થા થકી લોકોને તેનો લાભ વધુ સુલભ બની રહે તે માટે આ પ્રકારના સેમિનાર થકી લોકો વધુ સજાગ, અપડેટ અને સહકાર ક્ષેત્રની વધુ પ્રગતિ માટે આગળ વધશે તેમ સાંસદશ્રીએ ઉમેર્યું હતું.

આ સેમિનારમાં ગુજરાત રાજ્ય સહકારી સંઘના માનદ મંત્રી શ્રી અરવિંદભાઈ તાગડીયા, નવાનગર કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડના મેનેજીંગ ડાયરેકટર શ્રી રમણીકભાઇ શાહ, જામનગર ડિસ્ટ્રિકટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના ચેરમેન અને ખેડૂત આગેવાન શ્રી પી.એસ જાડેજાએ સહકારી પ્રવૃત્તિઓ અને તેના વિકાસ સાથે સહકારી ક્ષેત્રમાં સગાવાદની નાબુદી અને સહકારી પ્રવૃત્તિઓને વધુ વેગ અપાવવા વિશે માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે જામનગરના મેયર શ્રી બીનાબેન કોઠારી,  જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, જામનગર જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા, એ.પી.એમ.સી જામનગરના ચેરમેન શ્રી પ્રવિણસિંહ ઝાલા, એ.પી.એમ.સી જામજોધપુરના ચેરમેન શ્રી બ્રિજરાજસિંહ જાડેજા, એ.પી.એમ.સી કાલાવડના ચેરમેન શ્રી યુવરાજસિંહ જાડેજા, એ.પી.એમ.સી જોડિયાના ચેરમેન શ્રી જીવણસંગ પરમાર, ધી  કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડના ચેરમેન શ્રી બીપીનભાઈ વાધર, જે.પી. બેંકના ચેરમેન શ્રી પ્રમોદભાઈ કોઠારી, જામનગર તાલુકાની પ્રાથમિક શિક્ષકોની ક્રેડિટ સોસાયટીના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા,  સરદાર પટેલ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શ્રી ડો.સોરઠીયા, સ્વામી વિવેકાનંદ ક્રેડિટ સોસાયટીના ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ કથીરિયા તથા જામનગર શહેર અને જિલ્લાના અલગ-અલગ સંસ્થાઓના  પદાધિકારીઓ, ડાયરેકટરશ્રીઓ,  કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન જામનગરના સહકારી ક્ષેત્રના અગ્રણી શ્રી છગનભાઈ તથા પરિવાર દ્વારા કરવામાં આવેલ હતું. 

(1:17 pm IST)