Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

સોમનાથ મહાદેવ-દરિયાદેવની ભવ્‍ય મશાલ આરતી

પુર્ણેશ મોદી, અરવિંદ રૈયાણી સહિતના જોડાયા : માયાભાઇ આહીર ,કિર્તીદાન ગઢવી, આદિત્‍ય ગઢવી, અરવિંદ વેગડા, ઉર્વશી રાદડિયા, કિંજલ રાજપ્રિય, ‘તારક મહેતા કા'ના કલાકારો સુંદરમામા, બાઘાએ જમાવટ કરી

વેરાવળ-પ્રભાસ પાટણ,તા. ૨૧ : યાત્રાધામ સોમનાથ મંદિરના સમુદ્રકિનારે માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, અરવિંદ ભાઈ રૈયાણી, સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સહિતના મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં સોમનાથ મહાદેવ અને દરિયાદેવની અગિયારસો દીવડા અને મસાલ સાથે ભવ્‍ય મહાઆરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે જાણીતા ગાયક કલાકાર શ્રી કિર્તીદાન ગઢવી અને તેમના સંગીત વૃંદ સાથે ભગવાન સોમનાથ મહાદેવની સ્‍તુતિ ની સંગીતમય પ્રસ્‍તુતિ રજૂ કરી હતી. લોકસાહિત્‍યકાર શ્રી માયાભાઈ આહિરે પ્રાસંગિક વક્‍તવ્‍ય કરી સરકારની સાંસ્‍કૃતિક વિરાસતની ઉજાગર કરવાની કામગીરીને બિરદાવી હતી.
આ સાથે સમુદ્રમાં આઝાદી કા અમૃત મહોત્‍સવને અનુલક્ષીને ૭૫ બોટના માધ્‍યમથી પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી.
પ્રવાસન અને યાત્રાધામ મંત્રી પુર્ણેશભાઇ મોદીએ સોમનાથ સમુદ્રદર્શન વોક-વે ખાતે દરિયાદેવ ની તેમજ સોમનાથ મંદિરની મહા આરતી કરી હતી.
આ તકે મંત્રીશ્રી મોદીએ જણાવ્‍યું કે, વિશ્વ નેતા અને ભારતના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીની દીર્દ્યદ્રષ્ટિથી સોમનાથ તીર્થનો કાયાકલ્‍પ થયો છે. સોમનાથ મહાદેવના ચરણોમાં કેન્‍દ્ર સરકારની પ્રસાદ યોજનામાં બનાવાયેલ સમુદ્ર દર્શન પથ આજે સરકારની દીર્દ્યદ્રષ્ટિનું ઉત્‍કૃષ્ઠ ઉદાહરણ જોવા મળે છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજયના યાત્રાધામોને ઉત્તમ માળખાકીય સુવિધાઓ પુરી પાડીને તીર્થ પ્રવાસનને વેગવંતુ બનાવ્‍યું છે. વૈશ્વિક સ્‍તરની સુવિધાઓ પૂરી પાડતું સોમનાથ સર્કિટ હાઉસએ સરકારના સુશાસનનું પ્રતીક છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા તીર્થના કાયાકલ્‍પ માટે અનેકવિધ વિકાસાત્‍મક કાર્યો પ્રભાસ તીર્થમાં કર્યા છે.
આ મહાઆરતી બાદ મંત્રી શ્રી પૂર્ણેશ ભાઈ મોદી સહિતના મહાનભાવોએ સોમનાથ ટ્રસ્‍ટ અને નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સાથે ભોજન ગ્રહણ કર્યું હતું
આ પ્રસંગે સંગઠનના પદાધિકારીઓ સર્વે શ્રી ઝવેરીભાઈ ઠકરાર, શ્રી માનસિંગભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્‍ય શ્રી જશાભાઇ બારડ, શ્રી રાજશીભાઇ જોટવા, શ્રી પિયુષભાઈ ફોફંડી તેમજ માયાભાઈ આહીર, કિર્તીદાન ગઢવી, આદિત્‍ય ગઢવી, અરવિંદ વેગડા, ઉર્વશી રાદડિયા, કિંજલ રાજપ્રિય જેવા નામાંકિત કલાકારો ઉપરાંત તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા ફેમ મયુર વાકાણી (સુંદર મામા) અને તન્‍મય વેકરિયા (બાઘા ) ઉપસ્‍થિત રહ્યા હતા.
માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ સોમનાથ મંદિરના સમુદ્ર તટે ખ્‍યાતનામ કલાકારો સાથે સંવાદ કર્યો હતો.
મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, સમાજ નિર્માણમાં સરકારની સાથે સાહિત્‍યકાર, સંગીતકાર, ગીતકાર કલાકારો વગેરેનું મહત્ત્વ રહેલું છે. કલાકારો સમાજ ઉત્‍થાન માટે ઘણી મોટી ભૂમિકા હોય છે. આ તકે તેમણે કલાકારોને સંસ્‍કૃતિના પ્રચાર-પ્રસારની સાથે સોમનાથની ગરિમા વધુ પ્રબળ બને તે દિશામાં પ્રયાસ કરવા જણાવ્‍યું હતું. આ સાથે તેમણે રાજયમાં યાત્રાધામ વિકાસ માટે રાજય સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોની માહિતી આપી હતી. (તસ્‍વીર-અહેવાલ : દિપક કક્કડ- વેરાવળ, દેવાભાઇ રાઠોડ-પ્રભાસપાટણ)

 

(10:36 am IST)