Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

ચોટીલાનાં શેખલીયા ગામે માનસીક દિવ્‍યાંગ યુવતી ઉપર દુષ્‍કર્મ આચરીને સગર્ભા કરનાર ૩ની શોધખોળ

કાના રામા બાવળીયા, આંબા ધરમશી પરમાર અને માઘા રાણા ગોળીયા સામે ગુન્‍હોઃ નાસ્‍તો આપવાની લાલચ આપીને શાળાએ લઇ જતા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ર૦ :.. સુરેન્‍દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના શેખલીયા ગામે માનસીક દિવ્‍યાંગ યુવતી ઉપર દુષ્‍કર્મ આચરવાની ઘટનામાં પોલીસે ત્રણેય શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે.
નાની મોલડી પોલીસ મથકેથી મળતી માહીતી મુજબ શેખલીયા ગામે રહેતા અને મજુરી કામ કરતા દંપતીને ૬ પુત્રી અને ૧ પુત્ર છે.  જેમાંથી ૩ પુત્રીઓ પર કુદરતનો કહેર વરસ્‍યો છે. જેમાં એક પુત્રી અપંગ છે, બીજી પુત્રી મંદબુધ્‍ધીની છે અને ત્રીજી પુત્રી અંધ છે. પરીવારની ત્રણ પુત્રીઓને સાસરે વળાવી દીધી છે. જેમાં લાખચોકીયા ગામે પરણાવેલી પુત્રી ઉત્તરાયણ કરવા પીયર આવી હતી. આ સમયે મંદબુધ્‍ધીની બહેનનુ પેટ થોડુ મોટુ દેખાતા તેણે માતાને જાણ કરી હતી. તો માતાએ તે માટી ખાતી હોવાથી પેટ મોટુ હોવાનું કહી વાત ટાળી દીધી હતી. તેમ છતાં પીયર આવેલી પુત્રીએ દબાણ કરતા હોસ્‍પીટલ તપાસ કરાવાતા મંદબુધ્‍ધીની યુવતીને ૮ માસનો ગર્ભ હોવાની વિગતો બહાર આવી હતી. આથી પરીવાર પર આભ તૂટી પડયુ હતુ.
જ્‍યારે મંદબુધ્‍ધીની યુવતીને પરીવારે ફોસલાવી પુછતા તેણે જણાવ્‍યુ કે, માતા-પીતા ખેતરે મજુરી કામ કરતા જતા હતા ત્‍યારે દિવસના સમયે શેખલીયામાં જ રહેતા કાના રામાભાઈ બાવળીયા, આંબા ધરમશીભાઈ પરમાર, માધા રાણાભાઈ ગોળીયા સહીતનાઓ તેને નાસ્‍તો આપવાની લાલચ આપી ગામની બહાર આવેલી શાળામાં લઈ જતા હતા. જયાં તેની સાથે ખરાબ કળત્‍ય કરતા હતા. આથી આ બનાવની નાની મોલડી પોલીસ મથકે છેલ્લા એક વર્ષથી દુષ્‍કર્મ આચરતા ત્રણેય  આરોપીઓ ૫૦ થી વધુ ઉંમરના હોવાની હાલ વીગતો મળી છે.
સરસ્‍વતીના મંદીર એવી શાળામાં દુષ્‍કર્મની ઘટનાથી ચકચાર
શાળાએ સરસ્‍વતીનું મંદીર કહેવાય છે. શાળામાં વિદ્યાર્થીઓને વિદ્યાદાન અપાય છે. ત્‍યારે શેખલીયા ગામની શાળામાં દુષ્‍કર્મના બનાવની ઘટનાથી ચકચાર ફેલાઈ છે. આ બનાવમાં મળતી માહીતી મુજબ શાળા છુટયા બાદ કે રજાના સમયે જયારે શાળા બંધ હોય ત્‍યારે આ નરાધમો મંદબુધ્‍ધીની યુવતીને ત્‍યાં નાસ્‍તો આપવાના બહાને લઈ જતા હતા અને દુષ્‍કર્મ આચરતા હતા.


 

(10:14 am IST)