Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

કચ્છના અબડાસામાં કોંગ્રેસ ભાજપ વચ્ચેના સીધા જંગમાં બે મુસ્લિમ અપક્ષ ઉમેદવારો હાર-જીતની બાજી પલટશે?

૬૨ હજાર મુસ્લિમ, ૩૦ હજાર દલિત, ૩૨ હજાર પાટીદાર મતદારો વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર પાટીદાર, તો, ગત ચુંટણીમાં ભાજપ સાથે રહેલા અખિલ કચ્છ સુન્ની હિતરક્ષક સમિતિના પ્રમુખ ઈબ્રાહીમ હાલેપોત્રાએ સમાજના પ્રમુખ તરીકે રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૦: અબડાસા ચુંટણીને લઇને ગઈકાલે ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે ૯ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા હવે ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે. કુલ ૧૦ ઉમેદવારો હવે મેદાનમાં છે. ૩ જી તારીખે કોંગેસ, ભાજપના સીધા જંગ વચ્ચે કુલ ૧૦ ઉમેદવારો માટે મતદારો મતદાન કરશે. જોકે, અપક્ષ કે અન્ય રાજકીય પાર્ટીઓના બેનર હેઠળ ચુંટણીમાં જંપલાવનાર કેટલા સફળ થશે તે તો પરિણામ સમયે જ ખબર પડશે. પરંતુ ૬૨ હજાર મુસ્લિમ મતદારો ધરાવતી અબડાસા બેઠક ઉપર બે અપક્ષ મુસ્લિમ ઉમેદવારોની દાવેદારીથી ચુંટણીજંગની ચર્ચા ચોક્કસથી રસપ્રદ બની છે. ૬૨ હજાર મુસ્લિમ, ૩૦ હજાર દલિત અને ૩૨ હજાર પાટીદાર મતદારો ધરાવતી કોંગ્રેસની આ બેઠક ઉપર કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર ઉતાર્યા છે. તો, બે મુસ્લિમ અપક્ષ ઉમેદવાર ભાજપે મેદાને ઉતાર્યાની ચર્ચા છે. પણ, મુસ્લિમ સમાજે એક બેઠક યોજી એવી સ્પષ્ટતા કરી છે કે, મુસ્લિમ સમાજ વતી કોઈ ઉમેદવારો મેદાને નથી, પરંતુ વ્યકિતગત રીતે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી કરી છે. જોકે, ગત ચુંટણીમાં ભાજપ સાથે રહેલા ઈબ્રાહીમ હાલેપોત્રાની ઉમેદવારી સુચક મનાઈ રહી છે. અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ ઈબ્રાહીમ હાલેપોત્રાએ મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકે રાજીનામું આપીને અપક્ષ ઉમેદવારી કરી છે. તો, તે સાથે જ શ્રી હાલેપોત્રાએ સ્પષ્ટતા કરી છે, કે તેઓ સમાજના પ્રમુખ બન્યા ત્યારે તેમણે રાજકીય પક્ષ છોડી દીધો હતો. હવે, તેઓ સમાજમાંથી રાજીનામું આપીને ફરી વ્યકિતગત રીતે અપક્ષ ઉમેદવાર તરીકે જંપલાવી રહ્યા છે. તેમની અપક્ષ ઉમેદવારી સુચક મનાઈ રહી છે. ગુપ્તચર એજન્સીઓ સહિત ભાજપ-કોગ્રેસના રાજકીય નિષ્ણાંતો પણ તેમની અવગણના કર્યા વગર નવા રાજકીય ગણીત માંડવા બેઠા છે. જેમાં અપક્ષ ઉમેદવાર પૈકી હનીફ જાકબબાવા પડયાર અને ઇબ્રાહીમ જાફર હાલેપોત્રાની દાવેદારીથી ચુંટણીજંગમાં ચોક્કસ ટક્કર સર્જાશે એવું જાણકારો માની રહ્યા છે. હવે તમામ પ્રક્રિયાના અંતે રાષ્ટ્રીય પાર્ટીઓ સિવાયના ઉમેદવારને ચુંટણી ચિન્હ પણ ફાળવી દેવાયા છે.

આ છે અબડાસા બેઠકની ચુંટણીના મુરતિયાઓ

ગુજરાતની ૮ વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસનો ગઢ મનાતી અબડાસા બેઠકમાં ગાબડું પાડવા માટે ભાજપે અપક્ષ ઉમેદવારો મેદાને ઉતાર્યા હોવાના આક્ષેપો અને ચર્ચા પણ થઇ રહી છે. જોકે, કોંગ્રેસમાથી પક્ષપલટો કરી ભાજપમાં આવેલા પ્રધ્યુમનસિંહ જાડેજા અને કોંગ્રેસના ડો. શાંતિલાલ સેંદ્યાણી વચ્ચે સીધો જ જંગ છે. આ બેઠકના ચુંટણીજંગમાં રહેલા દસે દસ ઉમેદવારો આ પ્રમાણે છે. (૧) પદ્યુમનસિંહ જાડેજા-ભાજપ, (૨) શાંતિલાલ સેંધાણી-કોગ્રેસ, (૩) આકુબ આચર મુતવા- બહુજન મુકિત પાર્ટી, (૪) મહેશ્રરી રામજી આશા -ભારતીય જન પરિષદ, (૫) મેદ્યવાળ ભીમજી ભીખા -બહુજન મહા પાર્ટી ,(૬) અમૃત લધાભાઇ પટેલ - અપક્ષ,(૭) ઇબ્રાહીમ જાફર હાલેપોત્રા અપક્ષ, (૮) પડયાર હનીફ જાકબ અપક્ષ, (૯) બ્રહ્મક્ષત્રિય ભગવતીબેન ખેતસિંહ અપક્ષ, (૧૦) રમણીક શાંતિલાલ ગરવા અપક્ષ, તરીકે ચુંટણી લડશે દાવેદારોમાં છેક ગાંધીનગરના એક મહિલા ભગવતીબેને પણ ઝંપલાવ્યુ છે.

શું અપક્ષ ઉમેદવારો ભાજપ-કોગ્રેસ વચ્ચે નિર્ણાયક જંગમાં સફળ થશે?

અત્યાર સુધીની અબડાસામાં યોજાયેલી ૧૪ વિધાનસભા ચુંટણીઓ પૈકીની ૧૦ ચુંટણીઓમાં કોંગ્રેસે વિજય મેળવી પોતાનો હાથ ઉપર રાખ્યો છે. જયારે ૩ વાર ભાજપ અને એકવાર અપક્ષ અબડાસા વિધાનસભાની ચુંટણીમાં જીત મેળવી શકયા છે. જો કે દોઢ દાયકામાં બદલાયેલા સમીકરણમાં ભાજપ-કોગ્રેસના આંતરીક જુથવાદ અને અપક્ષ ઉમેદવારની રણનીતી થોડાદ્યણા અંશે સફળ પણ રહી છે. તેવામાં વર્તમાન ચુંટણીમાં પણ સ્વયંભુ કે રાજકીય કે અન્ય હિતો માટે ઉભેલા અપક્ષ ઉમેદવારો ચુંટણીના ગણિતમાં ચોક્કસ ફરક પાડશે તેવુ અત્યારની સ્થિતિ જોતા લાગી રહ્યુ છે. પણ, ૬૨ હજાર મુસ્લિમ અને ૩૦ હજાર દલિત મતદારોનું સમિકરણ અને ભૂતકાળના આંકડાઓ જોતા અત્યારની સ્થિતિમાં કોગ્રેસ વધુ મજબૂત જણાઇ રહી છે. પરંતુ મુસ્લિમ સમાજના બે અપક્ષ ઉમેદવારોએ ચુંટણી ચોક્કસ રસપ્રદ બનાવી છે. જોકે, રાજકીય નિષ્ણાંતો ભાજપ કોગ્રેસ વચ્ચે સીધો જ જંગ જોઇ રહ્યા છે.

કોરોના મહામારી વચ્ચે ચુંટણીજંગે ચોક્કસ લોકોમાં કોરોનાને ભુલાવીને ઉતેજના સર્જી છે. તેની સાથે-સાથે પક્ષપલ્ટુ ઉમેદવાર અને રાજકીય પાર્ટીઓના ગતકડા તેમ જ ભાષણો લોકોને હાસ્યરસ પણ પુરો પાડી રહ્યા છે. ૩ તારીખ સુધી અથાગ મહેનત અને વચનોની ભરમાર ઉમેદવારો આપશે પરંતુ એક દિવસના મતદાર રાજા મતદાનની તારીખે પોતાનો મત આપી પેટાચુંટણીના વિજેતા ઉમેદવાર પર મહોર મારશે. પણ ૧૦ ઉમેદવારમાંથી એ વિજેતા કોણ બને છે ? એ આવનારો સમય જ કહેશે.

(11:35 am IST)