Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં એનવીબીડીસીપી અંતર્ગત હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ હાથ ધરાશે

સર્વે દરમ્યાન જે ઘરોમાં શંકાસ્પદ મચ્છર ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરવામાં આવશે અને મચ્છરના બ્રિડિંગ મળે તો કર્મચારીઓ દ્વારા સ્થળ પર જ નાશ કરવામાં આવશે.

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :  ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે મેલેરીયા મુક્ત ગુજરાત ઉદેશ્યને સાકાર કરવા દર વર્ષે હાઉસ ટુ હાઉસ સર્વે દ્વારા સઘન ઝુંબેશ કરવામાં આવે છે. અમદાવાદ જીલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેશ પરમારના માર્ગદર્શ હેઠળ અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની મેલેરીયા શાખાના સંકલનમાં રહી 40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા વિરમગામ સહિત અમદાવાદ જીલ્લાના 464 ગામમાં 4 લાખથી વધુ ઘરોમાં એન.વી.બી.ડી.સી.પી. અંતર્ગત  તારીખઃ 22 થી 30 એપ્રિલ 2024 દરમ્યાન સઘન હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવશે. આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો દ્વારા વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જીલ્લામાં લોકોને વાહકજન્ય રોગ અટકાયતી પગલાઓ વિશે આઇ.ઇ.સી કરવામાં આવશે. સર્વે દરમ્યાન જે ઘરોમાં શંકાસ્પદ મચ્છર ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરવામાં આવશે અને મચ્છરના બ્રિડિંગ મળે તો કર્મચારીઓ દ્વારા સ્થળ પર જ નાશ કરવામાં આવશે. જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારીઓ દ્વારા નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કન્ટ્રોલ  પ્રોગ્રામ (એન.વી.બી.ડી.સી.પી) અંતર્ગત કામગીરી સઘન કરવામાં આવશે. અમદાવાદ જિલ્લામાં વાહનજન્ય રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે સફળતા મળી છે. જોકે હાલનું વાતાવરણ મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે સૌથી સાનુકૂળ હોવાથી પોરાનાશક કામગીરીને વેગવંતી બનાવવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોરાનાશક કામગીરી, ફોગીંગ, બીટીઆઇ છંટકાવ, દવાયુક્ત મચ્છરદાની, ડ્રાય ડે, સઘન સર્વેલન્સ સહિત જનજાગૃતિ કરવામાં આવશે. ઉલ્ટી ઉબકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિઃશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ. મેલેરીયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા. પાણીની ટાંકી, ફુલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરો. ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચીયા પુરી દો અથવા તો વહેવડાવી દો. કોઇ પણ તાવ મેલેરીયા હોય શકે છે. મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે તેમ અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ.

(7:41 pm IST)