Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

ટંકારાના નેકનામમાં પરિણીતાને આપઘાત માટે મજબૂર કરનારા પતિ હસમુખ લોરીયા સામે ગુનો

પતિ અવારનવાર દારૂ પી ઝઘડો કરતા પરિણીતાએ ગળાફાંસો ખાઇ લીધો હતો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૮ : ટંકારામાં ૯ વર્ષના લગ્નજીવનમાં સંતાનમાં બે દીકરીઓ અવતરતા પુત્ર પ્રાપ્તિના મોહમાં પતિએ પત્‍નીને શારીરીક માનસીક દુઃખત્રાસ આપતા બે ᅠદીકરીઓની માતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. આ મામલે મૃતકના ᅠમાતાએ પોતના જમાઈ વિરૂદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે.

જેમાં ૫૫ વર્ષીય વેલુબેન લાભુભાઈ પરમારે નેકનામ ખાતે રહેતા હસમુખ ઉર્ફે અશોક મનજીભાઈ લોરીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતાં જણાવ્‍યું હતું કે,ᅠતેમની દીકરી આરૂણાબેનના લગ્ન આજથી નવ વર્ષ પૂર્વે હસમુખભાઇ ઉર્ફે અશોકભાઇ સાથે થયા હતા. આ લગ્નજીવનમા તેમને સંતાનમા બે દિકરીઓ છે. જયારે જયારે અરૂણાબેન તેમના ઘરે વાર તહેવારે આટો દેવા આવતી ત્‍યારે કહેતા હતા કે,ᅠસાસરીમાં તેમનો પતિ દારૂ પી ને અવાર નવાર ઝઘડા કરતો હતો. અને માર મારતો હતો. તેમને સંતાન માત્ર બે દિકરીઓ જ હોય અને દિકરો ન હોય જેથી અવાર નવાર આ બાબતે મેણા ટોણા મારતો હતો. . તથા ઘરના કામકાજ બાબતે પણ બોલાચાલી કરી ઝગડો કરીને માનસીક દુઃખ ત્રાસ આપતો હતો.

એ સમયે વેલુબેને દીકરી અરૂણાબેનને એવું સમજાવ્‍યું હતું કે,સાસરીમાં ચાલ્‍યા કરે જે સહન કરી લેવાનું' ᅠતેમ કહી તેને સમજાવીને તેની સાસરીમાં મોકલી આપતા હતા. જે બાદ પણ અરૂણાબેને બે વખત તેમના પતી સાથે ઝગડો થતા વેલુબેન પાસે આવી ગયા હતા. પોતાની આપવીતી જણાવીને અરૂણાબેને કહ્યું હતું કે, હું મારા પતીના ત્રાસથી એકદમ કંટાળી ગઈ છુ અને તે મને નાની નાની વાતોમાં ઝગડો કરી માર મારી મને માનસીક દુખ ત્રાસ આપે છે અને જેથી મને હવે મરી જ વાના વિચારો આવ્‍યા કરે છે'ᅠએ સમયે પણ વેલુબેને દિલાસો આપતીનેᅠ‘અમો તારા પતી હસમુખને સમજાવીશુ તેમ કહી'ᅠસમજાવી હતી. જે બાદ નેકનામ ગામના સરપંચ મારફતે ઘરમેળે મારી દિકરી અરૂણાબેનને અમારો જમાઈ ત્રાસ આપતો હોય જે બાબતે રજૂઆત કરી ઘર મેળે સમાધાન કરી તેની સાસરી નેકનામ ગામે મોકલી આપી હતી. ᅠજે બાદ ગત તારીખ ૧૪/૦૩/૨૦૨૩ના રોજ અરૂણાબેને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાના સમાચાર વેલુબેનને મળ્‍યા હતા. જેને પગલે વેલુબેને જણાવ્‍યું હતું કે ᅠપતિ હસમુખે અવાર નવાર મેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપી અરૂણાબેનને મરવા મજબુર કર્યા હતા. જેથી અરુણાબેને ગળેફાંસો ખાધો હતો. ᅠ

આ ફરિયાદના આધારે પોલીસે ઇ.પી.કો કલમ ૩૦૬,૪૯૮(ક) મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:38 pm IST)