Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ગોંડલમાં પત્ની અને સાસરીયાના ત્રાસથી કંટાળી કુલદીપ પોરીયાનો ગળેફાંસો ખાઇ આપઘાત

ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપતા હોવાની સ્યુસાઇડ નોટ લખીઃ આપઘાત માટે મજબુર કરનાર રાજકોટ સ્થિત પત્ની અક્ષીતા સહીત ૩ પોલીસના સકંજામા

રાજકોટ, તા., ૧૭: ગોંડલમાં પત્ની અને સાસરીયાના ત્રાસથી કંટાળી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આપઘાત માટે મજબુર કરનાર રાજકોટ સ્થિત પત્ની સહીત ત્રણને પોલીસે સકંજામાં લઇ લીધા છે.

મળતી વિગતો મુજબ ગોંડલ રામજી મંદિર ચોકમાં રહેતા કુલદીપભાઇ વિનોદભાઇ પોરીયાએ ગઇકાલે સાંજે તેના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પીએસઆઇ આર.ડી.ચૌહાણ તથા રાઇટર રાજદીપસિંહ ચુડાસમા સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતક કુલદીપ પોરીયાએ લખેલ સ્યુસાઇડ નોટ મળતા પોલીસે તે કબ્જે કરી હતી. આ સ્યુસાઇડ નોટમાં કુલદીપે લખ્યું હતું કે પત્ની અક્ષીતા તથા તેના કુટુંબીજનો રૂબરુમાં તથા ટેલીફોન દ્વારા ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપતા હોય કંટાળી જઇ આપઘાત કરૂ છું.

દરમિયાન આ બનાવ અંગે મૃતક કુલદીપના માતા રમાબેન વિનોદભાઇ પોરીયાએ પોતાના પુત્રને આપઘાત માટે મજબુર કરનાર પત્ની અક્ષીતા, સાસુ નીશાબેન વિરેન્દ્રભાઇ ચોટલીયા, સસરા વિરેન્દ્ર મોહનભાઇ ચોટલીયા,રે. ત્રણેય રાજકોટ તથા સાળો મોહીત રે. ગાંધીનગર મોહીતના સસરા કૌશીકભાઇ ટાંક રે. ગાયત્રીનગર મેઇન રોડ રાજકોટ તથા મોહીતના સાઢુભાઇ કમલનયન ભાઇલાલ સોલંકી રે. વડોદરા સામે ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ કરતા પોલીસે આઇપીસી કલમ ૩૦૬, ૧૧૪ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. પીએસઆઇ આર.ડી.ચૌહાણ તથા રાજદીપસિંહ ચુડાસમા સહીતના સ્ટાફે કુલદીપને આપઘાત માટે મજબુર કરનાર પત્ની અક્ષીતા સાસુ નિશાબેન તથા સસરા વિરેન્દ્રને સકંજામાં લઇ કોવીડ ટેસ્ટ બાદ ધરપકડની કાર્યવાહી કરી છે.

(11:45 am IST)