Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

રાણાવાવમાં પૈસાની લેતી દેતીના પ્રશ્‍ને ઘરને આગ ચાંપીઃ ૪ હજારનું નુકશાન

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૭: રાણાવાવમાં મિત્રએ આપેલા ઉછીના પૈસાની લેતી દેતી પ્રશ્‍ને મન દુઃખથી મિત્રતા તોડીને ઘરને આગ ચાંપી દેતા અને આગ રસોડા સુધી ફેલાયેલ અને રસોડાનો સામાન બળી જતાં અંદાજે ૪ હજારનું કુશાન થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

રાણાવાવના આંબેડકર નગરમાં રહેતા અને ઘર કામ કરતાં સરલાબેન સંદીપ સોલંકીએ રાણાવાવ પોલીસે સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ સંદીપ સુરેશ સોલંકી મંડપ સર્વિસનું કામ કરે છે અને રાણાવાવમાં તેના મિત્ર અબુ ઉર્ફે અબ્‍દુલ ઇબ્રાહિમ સમા સાથે દોસ્‍તી હોવાથી ગત જન્‍માષ્‍ટમીના તહેવાર ઉપર ર૦ હજાર રૂપિયા હાથ ઉછીના લીધા હતા અને દસેક દિવસ પછી આપી દેવાનો વાયદો કર્યો હતો. પરંતુ દસ દિવસમાં રૂપિયા આપી શકયા ન હતા તેથી અબુ એ સંદીપ સાથેની મિત્રતા તોડી નાખી હતી અને ગમે તેમ કરીને રૂપિયા આપી દેજે તેમ જણાવતા સંદીપે એકાદ મહિનામાં અબુને ર૦,૦૦૦ રૂપિયા પાછા આપી દીધા હતા પરંતુ રૂપિયાની લેતી દેતીમાં બન્‍ને વચ્‍ચે મનદુઃખ થયું હતું. આ દરમિયાન વહેલી સવારે ઘરની ઓસરીમાં આગ ચાંપી દેનાર આરોપી અબુ ઉર્ફે અબ્‍દુલ ઇબ્રાહીમ સામે રાણાવાવ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ આગ રસોડા સુધી ફેલાતા રસોડામાં માલ સામાન બળીને ખાખ થતાં અંદાજે ૪૦ હજારનું નુકસાન થયું છે. નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેર વધુ તપાસ ચલાવી રહ્યાં છે.

(1:27 pm IST)