Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

શાતીર દિમાગના નાનજી અને બહેન મંજુએ મર્ડરની ઘટનાને અકસ્માતમાં ખપાવવા પ્લાન ઘડયો પણ સફળ ન થયા!

જેતપુરના રમેશ પટેલ અને નિદોર્ષ ડ્રાઇવર અશ્વીન પરમારની મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો ખુલાસો : મૃતક રમેશ પાંચ ભાઇઓમાં અપરણિત હતો અને તેની જમીન તથા વિમાની રકમ માટે ભાઇ-બહેનના કાવત્રાનો શિકાર બની ગયો... : પકડાયેલ નાનજી અને ભાગી ગયેલ બહેન મંજુએ મુસ્લીમ ધર્મ અંગીકાર કર્યો'તોઃ મંજુ અગાઉ હનીટ્રેપમાં પોલીસ ચોપડે ચડી ચુકી છે

રાજકોટ તા. ૧૬ :.. ૭ વિઘા જમીન અને રપ લાખની વીમાની રકમ મેળવવા માટે જેતપુરના રમેશ કલાભાઇ બાલધા (પટેલ (ઉ.વ.૪૦) તથા નિર્દોષ ડ્રાઇવર અશ્વિન પ્રેમજીભાઇ પરમાર (ધોબી) (ઉ.૪પ) રે. જૂનાગઢને કાર સાથે ગોંડલના વેકરી પાસે તળાવમાં નાખી દઇ મોતને ઘાટ ઉતારવાના ડબલ મર્ડર મિસ્ટ્રીના બનાવમાં પકડાયેલ આરોપી નાનજીની પુછતાછમાં ચોંકાવનારી વિગતો ખુલ્લી રહી છે.

આરોપી ભાઇ-બહેનનો ડબલ મર્ડરની ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્લાન હતો પણ સફળ થયા ન હતાં.

ડબલ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલનાર જૂનાગઢ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પી. આઇ. આર. કે. ગોહીલે પકડાયેલ આરોપી નાનજી ઉર્ફે નાસીરખાન ભીખાભાઇ કાલરીયા રે. ખડીયા તા. જી. જૂનાગઢની આગવી ઢબે પુછતાછ કરતા તે પોલીસ સમક્ષ પોપટ બની ગયો હતો. પકડાયેલ નાનજીએ એવી કેફીયત આપી હતી કે, આજથી દોઢ વર્ષ પૂર્વ પ્રવિણા ઉર્ફે મધુ શામજીભાઇ રે. સુરતએ જેતપુરના રમેશ બાલધા સાથે ઓળખાણ કરાવી હતી. રમેશ પટેલ પાંચભાઇઓમાં અપરણિત હોવાનું અને તેના નામે ૭ વિઘા જમીન હોવાનું જાણમાં આવતા તેનો શાતીર દિમાગ સળવળ્યો હતો. બાદમાં જેતપુરના રમેશ પટેલ સાથે વધુ પરિચય કેળવ્યો હતો અને તેની બહેન મંજુ અપરણિત હોવાનું જણાવી રમેશ સાથે પ્રેમ લગ્ન કરાવી દિધા હતાં. લગ્ન બાદ નાનજી અને તેની બહેન મંજુએ રમેશ પટેલની ૭ વિઘા જમીન તથા બન્નેને વધુ રૂપિયા મળે તે માટે રમેશ પટેલના નામે રપ લાખની વિમાની પોલીસી લીધી હતી.

વિમાની પોલીસી ઉતરાવ્યા બાદ રમેશ પટેલને મોતને ઘાટ ઉતારવા નાનજી અને તેની બહેન મંજુએ પૂર્વયોજીત કાયત્રુ રચી ચોટીલા ફરવા સુરતની પ્રવિણા ઉર્ફે મધુને પણ સામેલ કરી હતી. ચોટીલાથી પરત ફરતી વેળાએ રસ્તામાં આરોપી નાનજીએ મૃતક રમેશ પટેલ તથા કારના ડ્રાઇવર અશ્વીન પરમારને નશાકારક દવા પીવડાવી હતી. વચ્ચે ગોંડલ ચોકડીએ મંજુ અને પ્રવિણાને ઉતારી દિધી હતી. બાદમાં નાનજી કાર ચલાવી બેભાન હાલતમાં રહેલ.

રમેશ પટેલ તથા તેના ડ્રાઇવર અશ્વીનને  કાર સાથે ગોંડલના વેકરી પાસે તળાવમાં નાખી દઇ મોતને ઘાટ ઉતારી દિધા હતા અને આ ડબલ મર્ડરની ઘટનાને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો. જો કે, ડ્રાઇવર અશ્વિનના પુત્ર નિર્સગએ તેના પિતા ગૂમ હોવાની જુનાગઢ પોલીસમાં જાણ કરતા અને જૂનાગઢ પોલીસે ભાડાની કાર માટે ફોન કરનાર નાનજીને ઉપાડી લઇ આકરી સરભર કરતા ડબલ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ખુલ્યો હતો.

આરોપી નાનજી અને તેની બહેન મંજુનો  રમેશ પટેલ અને નિર્દોષ ડ્રાઇવર અશ્વિનને મોતને ઘાટ ઉતારી મર્ડરની ઘટનાને અકસ્માતમાં ખપાવવા પ્લાન ઘડયો હતો પણ સફળ થયા ન હતાં. આરોપી નાનજી અને તેની બહેન મંજુ હિન્દુ છે પણ બન્નેએ મુસ્લીમ ધર્મ અંગીકાર કર્યો હતો.

આરોપી નાનજી ઉર્ફે નાસીરખાન સાથે અગાઉ જૂનાગઢમાં લૂંટ-ધમકી, જાહેરનામા ભંગના બે, અમદાવાદન વાડજમાં છેતરપીંડી - ધમકી તથા રાજકોટના માલવીયાનગર પોલીસ મથકમાં જૂગારના બે ગુન્હા નોંધાયા છે. તેની બહેન મંજુ ઉર્ફે મરીયમ સામે હનીટેપનો ગુન્હો નોંધાયો છે.

આ ડબલ મર્ડરની ઘટના ગોંડલ તાલુકામાં બની હોય વધુ તપાસ ગોંડલ તાલુકાના પી. એસ. આઇ. મહેન્દ્રસિંહ પરમાર ચલાવી રહ્યા છે.

(3:49 pm IST)