Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ગોહિલવાડમાં પુત્ર-પુત્રીને ફાંસો આપી પિતાનો આપઘાત પ્રકરણમાં ઘરકંકાસ કારણભૂત : પત્નિ રિસામણે છે !

ભાવનગરના વરતેજ પાસેના નવાગામ ગામે ચૌહાણ પરિવારમાં બનેલી કરૂણ ઘટનાથી અરેરાટી

ભાવનગર તા. ૧૬ : ભાવનગરમાં યુવાને તેના ત્રણ વર્ષના પુત્ર અને પાંચ વર્ષની પુત્રીને ગળેફાંસો આપી પોતે પણ ફાંસો ખાઇ આપઘાત વહોરી લેતા પોલીસ બનાવ સ્થળે દોડી ગઇ હતી. પત્ની રિસામણે ચાલી જતા પુત્ર, પુત્રી સાથે સામૂહિક આપઘાત કરવા આ પગલુ ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.

વિગતો મુજબ વરતેજ પાસેના નવાગામે મોડી સાંજે આ બનાવ બનવા પામ્યો હતો. નવાગામમાં રહેતા લાલાભાઇ નાગજીભાઇ ચૌહાણ (ઉ.૩૦) નામના યુવાને તેના ત્રણ વર્ષના પુત્ર માનવ અને પાંચ વર્ષની પુત્રી પ્રતિજ્ઞા સાથે પોતે પણ ગળાફાંસો ખાઇ સામૂહિક આપઘાત વહોરી લીધો હતો.

આજે રાત્રે આ બનાવની જાણ થતાં જ વરતેજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. જાડેજા તથા પોલીસ સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

સામૂહિક આપઘાતના આ બનાવમાં યુવાનની પત્ની ઘરકંકાસ બાદ પિયરે રિસામણે ચાલી જતા લાલાભાઇએ આવેશમાં આવી જઇ સંતાનો સાથે જીવનનો અંત લાવવા આ પગલુ ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. આ અંગે વરતેજ પોલીસે બનાવ સ્થળે જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી તપાસ હાથ ધરી છે.

(10:28 am IST)