Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

સોરઠિયા-જેતાણી પરિવારના પિતૃઓના મોક્ષાર્થે કોટડા સાંગાણીમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ઉત્સાહભેર સંપન્ન

કુળદેવી આઈ શ્રી ખોડિયાર માતાજી મંદિર આયોજિત જ્ઞાનયજ્ઞનો અલૌકિક લ્હાવો મેળવી ધર્મપ્રેમી લોકો ભાવવિભોર

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી ગામ ખાતે સોરઠિયા-જેતાણી પરિવારના સર્વે પિતૃઓના મોક્ષાર્થે કુળદેવી આઈ શ્રી ખોડિયાર માતાજી મંદિર આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો ગત તા.૯મી એપ્રિલથી સરદાર પાર્ટી પ્લોટ, ભાડવા રોડ ખાતે અનેરા ધાર્મિક માહોલમાં કથાનો શુભારંભ થયો હતો. આ જ્ઞાનયજ્ઞનુ ગત તા.૯થી સતત તા.૧૫-૪-૨૦૨૪ના સુધીનુ ભવ્ય આયોજન કરાયુ હતુ.જે ધાર્મિક કાર્યક્રમ અનેરા ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.

સોરઠીયા-જેતાણી પરિવારના કુળદેવી શ્રી ખોડિયાર માતાજી તથા શ્રી રાંદલ માતાજી તથા શ્રી સુરાપુરા દાદાની અનહદ કૃપાથી શ્રી ખોડીયાર માતાજીના આંગણે, પિતૃ મોક્ષાર્થે તથા પિતૃકૃપા અર્થે ભવ્ય ભગીરથ કાર્ય, સર્વ ભવ રોગ નિવારક, સકલ જગ પાવની 'શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ’નું ભવ્યાતિભવ્ય સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. પ્રારંભ સંવત્ ૨૦૮૦ ચૈત્ર સુદ-૧ ને મંગળવાર તા. ૯-૪-૨૦૨૪ ના રોજ થયો હતો. કથા વિરામ ચૈત્ર સુદ-૭ ને સોમવાર તા. ૧૫-૪-૨૦૨૪ના રોજ થયો હતો. પૂજ્ય વ્યાસપીઠ વકતાશ્રી આ કથાના વ્યાસાસને જૂનાગઢના સુપ્રસિદ્ધ કથાકાર ૫.પૂ. પુરાણાચાર્ય શાસ્ત્રી શ્રી રવીન્દ્રભાઇ જોશી બીરાજી તેઓની ભાવવાહી સંગીતમયી શૈલીમાં કથા રસપાન કરાવ્યુ હતુ.  ચિત્ત અને પરમ તત્વના મિલનના માર્ગનો પ્રેરણા પથ લેવા, યુગયુગાંતર સદ્ભાવનું સિંચન કરતી જ્ઞાન સરિતાનું આચમન લેવા, તમસનાં અંધકારને ભેદી દિવ્ય પ્રકાશનો આલોક રચવા, ધર્મની સૂક્ષ્મ પ્રણાલીને અસ્તિત્વગત અનુભવી બનાવવા આ મંગલ અવસરે સૌ સહ પરિવાર મિત્ર-મંડળ સહીત સંસ્કાર અને સંસ્કૃતિના મંગલ અભિયાનમાં જ્ઞાનરૂપી ભાગવત ભાગીરથીમાં પાવન થવા હાજર રહ્યા હતા અને જ્ઞાનયજ્ઞનુ રસપાન કર્યુ હતુ. આ પ્રસંગે સંતો શ્રી શ્રી ૧૦૦૮ શ્રી મહંત શ્રી ઘનશ્યામદાસબાપુ રામ દરબાર - જુના રાજપીપળા. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર ડો. નિરંજન રાજયગુરૂ-આનંદ આશ્રમ, ઘોઘાવદર, પ.પૂ. શ્રી મસ્તરામબાપુ - આનંદી આશ્રમ શાપર, ૫.પૂ. શ્રી ત્રિભોવનદાસબાપુ - સીતારામ સેવા આશ્રમ - સતાપર, ૫.પૂ. શ્રી જગદીશબાપુ - વિશ્રામ સાહેબની જગ્યા કોટડા સાંગાણી સહિત પૂજ્યનિય સંતોએ હાજરી આપી દર્શન-આશીર્વચન આપ્યા હતા. આ પ્રસંગે જય નારાયણ ભજન મંડળ, સરઢવ - અમદાવાદ (ગુજરાતનુ જૂનુ અને જાણીતુ વેશભુષા સાથે પ્રખ્યાત ભજન મંડળ),  રાસ ઉત્સવ, લોક ડાયરો કલાકારો: અલ્પાબેન પટેલ, ભીખાભાઇ બુસા (સાહિત્યકાર)નો કાર્યક્રમ યોજાયો હતો.
પાવન ઉત્સવ પ્રસંગની ઝાંખી સ્વરૂપ દેવસ્થાપના પૂજા, શોભાયાત્રા, માહાત્મ્ય કથા, શ્રીરામ પ્રાગટ્ય, શ્રીકૃષ્ણ પ્રાગટ્ય, શ્રી ગોપીગીત, રુકમણી વિવાહ, શ્રી સુદામા ચરિત્ર સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
દશાંશ હોમ(યજ્ઞ), નવચંડી યજ્ઞ, હેમાદ્રી, બીડુ હોમવાની ધાર્મિક પ્રક્રિયા,મહાપ્રસાદ સહીતના આયોજન કરાયા હતા.આ પાવન પ્રસંગે કથા શ્રવણ માટે પધારેલા તમામ શ્રોતાજનો માટે કથા શ્રવણ દરમ્યાન બપોરે તથા સાંજે ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખેલ હતી. આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ લક્ષ્ય ટીવી ચેનલ તથા કથા એન્ડ કિર્તન ચેનલ પર લાઈવ પ્રસારણ કરાયુ હતુ. આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞને સફળ બનાવવા સોરઠીયા-જેતાણી પરિવારના સર્વે વડીલોના માર્ગદર્શન હેઠળ પરિવારના યુવાન ભાઈ-બહેનો અથાગ જહેમત ઉઠાવી હતી

   
(11:09 pm IST)