Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

કાલે ટંકારામાં રામનવમી ઉત્‍સવ : ઘરે ઘરે દિવડા પ્રગટાવાશે - ભગવા ધ્‍વજ લહેરાશે

આસોપાલવના તોરણ લગાવાશે : દયાનંદ ચોક ખાતે મહાઆરતી બાદ કાલે બપોરે સમુહ ફરાળ કાર્યક્રમ

(જયેશ ભટ્ટાસણા - ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા તા. ૧૬ : ટંકારા સમસ્‍ત હિન્‍દુ સમાજના નેજા હેઠળ આગામી ૧૭ એપ્રિલે  રામનવમી નિમિત્તે શોભાયાત્રા યોજાશે. પ્રાગટય દિવસની પુર્વ સંધ્‍યાએ બાઈક રેલી અને રાત્રે ચોક ખાતે રામ રાસ ગરબાનું આયોજન. ઘરે ઘરે દિવડા પ્રગટાવી ભગવા ધ્‍વજને લહેરાવી આશોપાલવના તોરણીયા લગાવી કાર્યક્રમ માં જોડાવવા જાહેર આમંત્રણ બપોરે  દયાનંદ ચોક ખાતે મહાઆરતી બાદ સમુહ ફરાળ યોજાશે જેનો દરેકે લાભ લેવા અનુરોધ કરાયો છે.

ટંકારામાં સમસ્‍ત હિન્‍દુ સમાજના નેજા હેઠળ એકઠા થઈને આગામી૧૭ એપ્રિલને બુધવારે ભગવાન શ્રી રામના જન્‍મોત્‍સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં શહેરને ધ્‍વજા પતાકાથી સજાવી છે ચોક ખાતે અયોધ્‍યા નિજ મંદિર થિમ પર પંડાલ ઉભો થયો છે. સાથે પ્રાગટય દિવસની પુર્વ સંધ્‍યાએ રાત્રે તમામ ઘરોમાં દિવડા પ્રગટાવી નોમની સવારે એટલે કે રામનવમીના ઘરના આંગણે આસોપાલવ તોરણિયા, ભગવી ધ્‍વજા બાંધી વિશાળ શોભાયાત્રામાં નગરજનો જોડાશે. શોભાયાત્રામાં જોડાનાર ભકત સમુદાય માટે ફળાહારની વ્‍યવસ્‍થા ઉપરાંત ઠેર ઠેર પાણી ઠંડા પિણાનુ આયોજન કરવામાં આવશે.

રામ જન્‍મોત્‍સવ ઉજવવા ઉત્‍સવ સમિતિના કાર્યકરો દ્વારા તાલુકા અને નગરના તમામ હિંદુ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી જેમાં નગરમાં ઉત્‍સવ મનાવવાનુ નક્કી કરવામાં આવ્‍યું હતું. સમગ્ર શહેરને ધ્‍વજા પતાકા લહેરાવી બજારો, માર્ગો ઉપર રામ જન્‍મોત્‍સવ ઉજવવાના બેનરો લગાવી, સુશોભિત કરવામાં આવતા અયોધ્‍યા નગરી જેવો માહોલ ઉભો કરી દેવાયો છે. બેઠકમાં રામના જયઘોષ સાથે શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન માટે એક સુર વ્‍યક્‍ત કરાયો હતો. શોભાયાત્રા ૧૭ તારીખે સવારે ૯ :૦૦ વાગ્‍યે શ્રી લક્ષ્મીનારાયણ સોસાયટીના સાર્વજનિક પ્‍લોટથી ભગવાન રામની સવારીનો પ્રારંભ થશે. જે દેરીનાકા મેઈન રોડથી દયાનંદ ચોક, મેઈન બજાર, ત્રણ હાટડી, ઉગમણા દરવાજા, શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે બપોરે ૧૨ ના ટકોરે મહાઆરતી બાદ દયાનંદ સરસ્‍વતી ચોક ખાતે પંડાલ માં સમુહ આરતી કરી શોભાયાત્રા પૂર્ણ થશે. શોભાયાત્રા રૂટમાં પંડાલ, ઠંડાપીણા, સરબત સહિતની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. શોભાયાત્રામાં જોડાનાર તમામ ભકત સમુદાય માટે ફળાહારની વ્‍યવસ્‍થા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ શિવાભાઇ અંદરપા પરિવાર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્‍સવ સમિતિના કાયમી દાતાશ્રીઓ દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા ખુબ આર્થિક અને શ્રમ દાન સહયોગ પુરો પાડયો છે.

 મહોત્‍સવની પુર્વ સંધ્‍યાએ એટલે કે આવતી કાલે ૧૬ એપ્રિલ મંગળવારે બાઈક રેર્લીં સાંજે ૫.૧૫ મિનિટ દેરીનાકાથી નિકળી આર્ય નગર સોસાયટી વિસ્‍તારથી દેવિપુજક વિસ્‍તારથી ગાયત્રીનગરથી ઘેટીયા વાસ અને બાદમાં ચોક ખાતે પુર્ણ થશે.

રાત્રે મહિલાઓ માટે રામ રાસ ગરબાનું આયોજન

ટંકારા ઉત્‍સવ સમિતિ દ્વારા આવતીકાલે રાત્રે ૮.૩૦ વાગ્‍યે દયાનંદ સરસ્‍વતી ચોક ખાતે મહિલા માટે રાસ ગરબાનુ આયોજન કરવામાં આવ્‍યું છે અત્રે ઉલ્લેખનીય છે કે અયોધ્‍યા નિજ મંદિર થિમ પર ચોકમાં પંડાલ તૈયાર કર્યો છે ત્‍યારે ૧૬ તારીખે વિશેષ કાર્યકમ યોજાશે.

(10:42 am IST)