Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ભાવનગરમાં બેકારીથી કંટાળીને રત્નકલાકાર વિક્રમ મકવાણાનો આપઘાત

પોતાના ઘરે કેરોસીન છાંટી દઇને જીવી દીધો

ભાવનગર, તા. ૧૧ : ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રત્નકલાકાર યુવાને જાતે સળગી જઇ આપઘાત વહોરી લીધો હતો. ઘરમાં સળગી જતા ઘરમાં આગ લાગતા ઘરવખરી સળગી ગઇ હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે દોડી આવી આગને કાબુમાં લીધી હતી. બેકારીથી કંટાળી આ પગલુ ભર્યું હોવાનું ખૂલવા પામ્યું છે.

આજે સવારે છ વાગ્યે બનેલા આ બનાવની વિગત એવી છે શહેરના સુભાષનગર વિસ્તારમાં વર્ષા સોસાયટી સામે પ્લોટ નં. ર૩ર૯માં ભાડાના મકાનમાં રહેતો અને હિરાના કારખાનામાં કામ કરતા હિરાઘસુ યુવાન વિક્રમભાઇ રવજીભાઇ મકવાણા ઉ.વ. રપ એ આજે સવારે છ વાગ્યે તેના ઘરે જાતેથી કેરોસીન છાંટી સળગી જઇ આત્મહત્યા વહોરી લીધી હતી. આ બનાવને પગલે ઘરમાં આગ લાગતા ઘરવખરી સળગી જવા પામી હતી.

આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી અને મકાનમાં પડેલ મૃતદેહને બહાર કાઢયો હતો. બી-ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. બેકારીથી કંટાળી આ પગલુ ભર્યું હોવાનું ખૂલવા પામ્યું છે.

(11:25 am IST)