Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

મોરબીના ટાઉન હોલમાં સુશાસનના પાંચ વર્ષ અંતર્ગત શહેરી જનસુખાકારી દિવસ ઉજવાયો.

રૂ.૧૫૮ કરોડના કામોનું લોકાર્પણ અને રૂ.૪.૨૭ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું.

મોરબી :  સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ ‘‘સુશાસનના પાંચ વર્ષ’’ અંતર્ગત મોરબી જિલ્લામાં ‘‘શહેરી જન સુખાકારી દિવસ’’ નિમિતે મોરબીના ટાઉનહોલ ખાતે સાંસદ મોહનભાઇ કુંડારીયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબીમાં રૂ.૧૫૮ કરોડના કામોનું અને લોકાર્પણ અને રૂ.૪.૨૭ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને જિલ્લાની ચાર નગરપાલિકાને માળખાગત સુવિધાઓ માટે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રૂ.૫ કરોડ ફાળવાયા હતા.
આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા સાસંદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે, સરકારના પાંચ વર્ષના હિસાબના લેખા જોખા જોવા માટે આપણે ભેગા થયા છીએ. માની ભૂમિકા અને નગરપાલીકાની ભૂમિકા એક સમાન જ છે. આપણી તમામ અપેક્ષા પુર્ણ કરવાની જવાબદારી નગરપાલીકાની છે. આપણે પણ નગરપાલીકામાં આપણાપણાનો ભાવ રાખવો જોઇએ. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નાગરીકોના વિચારને આધારે મન કી બાત કહે છે. કાઉન્સીલોએ પણ પ્રજાના વિશ્વાનસને સાર્થક કરવો જોઇએ.
મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતુ કે આપણે સૌનો સાથ સૌનો સહકાર માટે ભેગા થયા છીએ. લોકોના કામને વિકાસ આપવા માટે અને પડતર કામોના હિસાબ માટે આ કાર્યક્રમ યોજાયો છે.
શહેરી જન સુખાકારી દિન નિમિત્તે મોરબી જિલ્લાની તમામ નગરપાલીકાને જી.એમ.એફ.બી. ની ગ્રાન્ટ પેટે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને હુકમ અને ચાવી એનાયત, તેમજ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ અને કેનાલ રોડ ઉપર ફૂટપાથ, સાઇકલ ટ્રેક અને બસ શેલ્ટરનું પણ ખાતમુહુર્ત કરવામા આવ્યું હતુ.
કાર્યક્રમના પ્રારંભે મોરબી ચીફ ઓફીસર ગીરીશકુમાર સરૈયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ મોરબી નગરપાલીકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું. અને અંતે હળવદ ચીફ ઓફીસર સંદિપસિંહ ઝાલાએ આભારવિધિ કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાનારા વર્ચ્યુઅલ કાર્યક્રમનું પણ ઉપરોક્ત સ્થળોએથી જીવંત પ્રસારણ કરાયું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી નગર પાલીકાના પ્રમુખ કુસુમબેન પરમાર, હળવદ નગરપાલીકાના પ્રમુખ રમેશભાઇ,  જિલ્લા કલેકટ જે.બી.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા,  હળવદ ચીફ ઓફીસર સંદિપસિંહ ઝાલા, અગ્રણી સર્વે અરવિદભાઇ વાંસદડીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારિયા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા સહિત સબંધિત વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ કોવીડ-૧૯ની માર્ગદર્શીકા અનુસાર લાભાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા

(10:09 pm IST)