Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

વિંછીયા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરોની માંગ સાથે ખેડૂતોએ રેલી યોજી : આંદોલન સમેટાયુ

જિલ્લા કલેકટરે ૧૦ ઇંચ વરસાદ પડયો હોવાના આંકડા જાહેર કરતા ખેડૂતો રોષે ભરાયા હતા

(નરેશ ચોહલીયા) જસદણ તા. ૭ :  રાજકોટ કલેકટર દ્વારા રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં ચાલુ ચોમાસાની સીઝન દરમિયાન ૧૦ ઈંચ વરસાદ પડ્યો હોવાની બે દિવસ પહેલા જાહેરાત કરવામાં આવી હતી. જોકે વિંછીયા પંથકમાં આજદિન સુધીમાં માત્ર ૫ ઈંચ જેટલો જ વરસાદ પડ્યો હોવાથી જિલ્લા કલેકટરે વિંછીયા તાલુકાના ખેડૂતો અને લોકો સાથે અન્યાય કર્યો હોવાના આક્ષેપો સાથે રોષે ભરાયા હતા અને વિંછીયા તાલુકાને વહેલી તકે અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહેલની આગેવાની હેઠળ વિંછીયાના મોઢુકા રોડ પરથી આંબલીચોક સુધી પગપાળા રેલી યોજવામાં આવી હતી. બાદમાં કોંગ્રેસ સમિતિના આગેવાનો અને ખેડૂત આગેવાનો દ્વારા વિંછીયાના આંબલીચોક ખાતે ઉપવાસ આંદોલન છેડવામાં આવ્યું હતું. આ ઉપવાસ આંદોલનમાં જસદણ-વિંછીયાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહેલ, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસરભાઈ નાકીયા સહિતના જસદણ-વિંછીયા તાલુકાના કોંગ્રેસ સમિતિના આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ ઉપવાસ આંદોલન દરમિયાન વિંછીયા મામલતદાર પી.એમ.ભેસાણીયાએ વિંછીયામાં પડેલા ૫ ઈંચ વરસાદના આંકડા જાહેર કરી સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય ન્યાય આપવામાં આવશે તેવો વિશ્વાસ આપતા આંદોલન સમેટાયું હતું.

રાજકોટ કલેકટરે બે દિવસ પહેલા જાહેરાત કરી હતી કે રાજકોટ જિલ્લાની અંદર એકપણ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહી આવે. તેમણે જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં ૮ થી ૧૦ ઈંચ વરસાદ નોંધાયેલો છે. જોકે વિંછીયામાં માત્ર ૫ ઈંચ વરસાદ જ નોંધાયેલો છે. જેથી જસદણ-વિંછીયા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો. મામલતદારે વરસાદનો સાંચો આંકડો કલેકટરને આપી આ વિસ્તારનો અછતમાં સમાવેશ થશે તેવો વિશ્વાસ અને ખાતરી આપતા આંદોલન સમેટી લીધું છે.

આ વિસ્તારના કેબીનેટ મંત્રી સરકારમાં બેઠા છે. છતાં કેમ આવું થાય છે તે સમજાતું નથી. શા માટે કુંવરજીભાઈ બાવળીયાને ખેડૂતોની ચિંતા નથી. હાલ આ વિસ્તારમાં પીવાનું પાણી ૧૫ દિવસે મળે છે. જો વિંછીયા તાલુકાને સરકાર દ્વારા વહેલી તકે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહી આવે તો જસદણ-વિંછીયા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

વિંછીયા તાલુકામાં આ મોસમનો કુલ વરસાદ ૫ ઈંચ નોંધાયેલો છે. જોકે રાજકોટની શાખામાં પણ ૫ ઈંચ વરસાદ જ નોંધાયેલો છે. હવે સરકાર તરફથી અછત અંગે અમને જે પરિપત્ર અને સુચના મળશે તેની અમલવારી અમે ચોક્કસપણે કરીશું. હવે જે પાણીનો પ્રશ્ન છે તે અંગે હું સબંધિત વિભાગના અધિકારીઓને પણ જાણ કરીશ. તેમ ઇન્ચાર્જ મામલતદાર પી.એમ.ભેંસાણીયાએ જણાવ્યું છે.

(10:34 am IST)