Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

રાજ્ય સરકારના ૫ વર્ષ : વિકાસ દિવસની સૌરાષ્ટ્ર - કચ્છમાં ઉજવણી

પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ : જિલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્રમો

રાજકોટ તા. ૭ : રાજ્ય સરકારના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની આગેવાનીમાં ૫ વર્ષની ઉજવણી શરૂ કરવામાં આવી છે. આજે વિકાસ દિવસની ઉજવણી સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા છે.

જે અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાએ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં વિવિધ કાર્યક્રમો યોજાયા છે.

જુનાગઢ

જૂનાગઢ : સમગ્ર રાજયમાં લોકહિતના ચાલી રહેલ સેવા યજ્ઞ અન્વયે જૂનાગઢ જિલ્લામાં તા.૧ થી ૯ ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્વ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં સાતમાં દિવસે વિકાસ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.

૭ ઓગષ્ટ વિકાસ દિવસ અન્વયે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બીએલસી ઘટકના લાભાર્થીઓને સ્મૃતિ પત્રક તથા આવાસની પ્રતિકાત્મક ચાવી એનાયત કરવામાં આવેલ. આ ઉપરાંત કોરોના વોરિયર્સનું સન્માન તેમજ મેડીકલ સાધનોનું લોકાપર્ણ કરવામાં આવેલ. આ કાર્યક્રમ સવારે ૯.૩૦ કલાકે શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

શહેરના વોર્ડ નં.૧૧ તીરૂપતિ સોસાયટીમાં બ્રીજનું લોકાપર્ણ,વોર્ડ નં.૧માં સક્કરબાગથી લઇ માર્કેટીંગ યાર્ડ,આંબેડકર ચોક સુધી બનાવેલ સીસીરોડનું લોકાપર્ણ સાંજે ૪-૦૦ કલાકે યોજાયું હતું.

અમરેલી

અમરેલી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની વર્તમાન રાજય સરકારના પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થતાં રાજયભરમાં ઉજવાઇ રહેલ'પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસના'કાર્યક્રમના સાતમા દિવસે  વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે અમરેલીના દિલીપભાઈ સંઘાણી હોલ ખાતે ઠક્કરબાપાનગર વિસ્તારના ધારાસભ્ય અને પુર્વમંત્રી વલ્લભભાઈ કાકડીયાની પ્રેરક ઉપસ્થિતિ કાર્યક્રમ યોજાયો હતો.

ખંભાળીયા

ખંભાળીયા : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મહાત્મા મંદિર ખાતે 'વિકાસ દિવસ'નો રાજયસ્તરનો કાર્યક્રમ અને સમાંતરે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ભરતભાઈ બોઘરા, અધ્યક્ષસ.પ.સ.જળસંચય યોજના,ની પ્રેરક ઉપસ્થિતિમાં નગરપાલિકા ટાઉન હોલ, ખંભાળીયા ખાતે યોજાયા છે.જેમાં પ્રધાનમંત્રી આવાસ અને શહેરી આવાસ યોજનામાં નિર્માણ પામેલા આવાસોનું લોકાર્પણ/ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો.

(1:07 pm IST)