News of Saturday, 4th June 2022
જામનગર, તા.૪ : જામનગર જિલ્લા હોમગાર્ડઝ શહેર યુનિટોમાં ફરજ બજાવતાં હોમગાર્ડઝ અધિકારીઓને જાહેર હિત તથા વહીવટીય સરળતા ખાતર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડર સુરેશભાઇ ભીંડીએ આંતરિક બદલીઓ કરાઇ છે. સિટીએ યુનિટમાં ફરજ બજાવતા જે.એલ.કણજારીયાને સિટી સી યુનિટમાં, સિટી બી યુનિટમાં ફરજ બજાવતાં વિજયસિંહ વાળાને સિટી સી યુનિટમાં, સિટી સી યુનિટમાં ફરજ બજાવતા હેમાંશુ પુરોહિતને સિટી બી યુનિટમાં તથા સિટી સી યુનિટમાં ફરજ બજાવતા રાજુભાઇ ઓઝાની સિટી એ ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે. ગાર્ડ અને આર્મરની કામગીરી સંભાળતા અધિકારી કમલેશ ગઢીયા પાસેથી ચાર્જ લઈ તેમને ચાર્જ મુક્ત કરી સિટી બી યુનિટના અધિકારી કૈલાશભાઈ જેઠવાને આ ચાર્જ સોંપવામાં આવેલ છે. તેમ જામનગર હોમગાર્ડઝ જિલ્લા કમાન્ડન્ટની યાદીમાં જણાવાયું છે.
વાગડીયા જળસંપતિ યોજનાના અસરગ્રસ્તો જોગ જાહેર ચેતવણી
વાગડીયા જળસંપત્તિ યોજનામાં અંશતઃ ડૂબાણમાં આવતા વાગડીયા ગામના અસરગ્રસ્તોને નાયબ કાર્યપાલક ઈજનેર , સિંચાઇ યોજના પેટા વિભાગ દ્વારા ચેતવણી આપતા જણાવવામાં આવ્યું છે કે, ડેમના સ્પીલવેમાં રાખવામાં આવેલ ગેપનું કામ તા.૩૧-૧-૨૦૨૦ના રોજ પૂર્ણ થયુ હતું.ચાલુ ચોમાસામાં ડેમ સંપૂર્ણ રીતે ભરવાનો હોવાથી ડેમના મહતમ પૂરના ડૂબાણ વિસ્તારમાં રહેતા આસામીઓ અને વાગડીયા ગામના લોકોને ચોમાસામાં પૂરની સ્થિતિ સર્જાય તો સલામતીના ભાગરૂપે ખાસ તકેદારી રાખી સલામત સ્થળે ખસી જવા, આગમચેતીના ભાગરૂપે લોકોને ઢોર તથા માલસામાન સલામત સ્થળે ખસેડી લેવા તેમજ નીચાણવાળા વિસ્તારમાં કે નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી આપવામાં આવી છે. જેથી ભવિષ્યમાં નદીના પૂરના કારણે કોઈપણ પ્રકારના જાનમાલનું નુકશાન ન થાય. ભારે વરસાદના લીધે પૂરની કટોકટીની સ્થિતિમાં અસરગ્રસ્તોને જરૂર પડયે સલામત સ્થળ તરીકે નવા ગામતળ વાગડિયા-૧ માં બનાવવામાં આવેલ જાહેર સુવિધાના મકાનો જેમાં નિશાળ, આંગણવાડી, પંચાયતઘર તથા કોમ્યુનિટી હોલ ખાતે સેલ્ટર હોમ તરીકે રાખવામાં આવ્યા છે.