Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

મોરબીની ધર્મભૂમિ સોસાયટીના રહીશોએ ઋષભ સોસાયટીનું પાણી અટકાવતા વિવાદ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૩ : છેલ્લા લાંબા સમયથી મોરબી શહેરના વોર્ડ નંબર-૯માં આવેલ ઋષભ સોસાયટી અને ધર્મભૂમિ સોસાયટી વચ્‍ચે હલણનો પ્રશ્ન ઉપસ્‍થિત થતા ધર્મભૂમિ સોસાયટી દ્વારા એપ્રોચ માર્ગ બંધ કરી દાદાગીરી કરવામાં આવે છે આટલું ઓછું હોય તેવામાં છેલ્લા દસ દિવસથી ધર્મભૂમિ સોસાયટીના રહીશોએ ઋષભ સોસાયટીની મુખ્‍ય પાણીની પાઇપલાઇનમાં વાલ્‍વ નાખી વાલ્‍વ પોઇન્‍ટ ઉપર સિમેન્‍ટ નાખી પાણી બંધ કરી દેતા ભર ઉનાળે ઋષભ સોસાયટીના રહેવાસીઓને પાણી વગર ટળવળવા મજબુર બનવું પડ્‍યું છે.

બીજી તરફ પાણીના ગંભીર પ્રશ્ને આ વિસ્‍તારના જાગૃત મહિલા નગરસેવક કુંદનબેન માકાસણા સહિતના અગ્રણીઓ દ્વારા પાણીનો બંધ કરેલ વાલ્‍વ ખોલાવવા માટે જતા ધર્મભૂમિ સોસાયટીના રહીશોએ દાદાગીરી કરી હોવાનો આરોપ લગાવી આજરોજ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી તાકીદે પ્રશ્ન ઉકેલી પાણીથી વંચિત ઋષભ સોસાયટીને પાણી આપવા અને કાયદો હાથમાં લેનાર ધર્મભૂમિ સોસાયટીના રહીશો વિરુદ્ધ ફોજદારી પગલાં ભરવા માંગ ઉઠાવી હતી.

(11:21 am IST)