News of Saturday, 30th December 2017
રાજકોટ તા. ૩૦ : દુધસાગર રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા અંધ ગઢવી વૃધ્ધા પાસે ભત્રીજા સહિત ૬ શખ્સોએ લોનમાં જામીનદારમાં સહીના બદલે મકાનનું કુલમુખત્યારનામુ લખાવી લઇ બારોબાર વેંચી નાખી તેના પર બેંક લોન લઇ છેતરપીંડી આચર્યાની ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ દુધસાગર રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર નં. એલ-૫૯માં રહેતા સુરદાસ મંજુલાબેન ભગવાનજીભાઇ જામંગ (ઉ.વ.૬૨)એ થોરાળા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ભત્રીજો હરીદીપ રાજુભાઇ જામંગ, સોનલ હરદીપ જામંગ, રાજુબેન મહિપતસિંહ જાડેજા, ક્રિપાલસિંહ મહિપતસિંહ જાડેજા, અરવિંદસિંહ સુખદેવસિંહ ઝાલા અને અબ્દુલશકુર ઇબ્રાહીમભાઇ ડોસાણીના નામ આપ્યા છે.
મંજુલાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે તેના બે ભાઇ - બહેન સાથે રહે છે અને તે જન્મથી સુરદાસ છે પિતા હયાત નથી. મારા બાપુજીએ ૨૦ વર્ષ પહેલા મને ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર નં. એમ-૬૯૮ નંબરનું કવાર્ટર મારા માટે વેચાતુ લીધેલ અને તે કવાર્ટરના હપ્તા ભરાઇ ગયા બાદ આ કવાર્ટરનો દસ્તાવેજ મારા નામે છે. અમે સંયુકત કુટુંબમાં પહેલા ત્યાં રહેતા હતા. આ મકાનમાં હું તથા મારા નાનાભાઇ રાજુભાઇ તથા તેના કુટુંબ સાથે રહેતા હતા. આ રાજુભાઇનો દીકરો હરદિપએ ૪ વર્ષ પહેલા સોનલ મહિપતસિંહ જાડેજા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. થોડા દિવસો સાથે રહ્યા બાદ તેઓ અલગ રહેવા જતા રહ્યા હતા.
આશરે અઢી વર્ષ પહેલા મારા ભત્રીજા હરદિપએ મને કહેલ કે, મારે ધંધો કરવા માટે લોન લેવી છે, અને તે લોન લેવા માટે જામીનની જરૂર પડશે તમો મારા જામીન પડજો તમારા નામે મકાન છે તે બેંકમાં મોર્ગેજ કરવું પડશે તેમ જણાવેલ અને જામીન પડવાની વાત મેં મારા કુટુંબના સભ્યોને જાણ કરેલ હતી અને ત્યારબાદ થોડા દિવસો બાદ આ હરદિપના પત્ની સોનલ તથા સોનલની માતા રાજુબેન મહિપતસિંહ તથા સોનલનો ભાઇ ક્રિપાલસિંહ ત્રણ જણા આવી અને હરદિપને લોનમાં જામીન થવાનું છે. કાગળોમાં સહી કરવાની છે તેમ કહી મને કારમાં લઇ ગયેલા અને મોચીબજારમાં લઇ ગયેલા ત્યાં કાગળોમાં મારા અંગુઠાની સહી કરાવેલ હતી ત્યાં એક બીજા ભાઇ પણ આવેલા હતા અને બાદમાં આ હરદિપએ મને લોનના હપ્તા ભરી મારી ફાઇલ બેંકમાં છે. બેંકમાંથી છુટ્ટી કરાવી દેવાનું જણાવ્યું હતું. ત્યારબાદ દોઢેક વર્ષ પહેલા કરાવી લીધી હતી અને આ ખોટું કામ કરવામાં અબ્દુલ શકુર ઇબ્રાહીમભાઇ દોસાણી પણ સામેલ હતો. તેવું જાણવા મળેલ અને મારાભાઇએ તપાસ કરતા જાણવા મળેલ કે, ભત્રીજા તથા ભત્રીજા વહુ સહિતે મારી પાસે બેંકની લોનમાં જામીનદારની સહી લેવાના બદલે અરવિંદસિંહના નામનો મારા મકાનનો કુલમુખત્યારનામામાં સહી કરાવી લીધેલ તેના આધારે અરવિંદસિંહએ રૂ. ૨,૭૫,૦૦૦માં સુખદેવસિંહ ઝાલા પાસેથી કુલમુખત્યારનામાના આધારે વેંચેલ છે તેમ જાણવા મળ્યું હતું અને અરવિંદસિંહને મેં કુલમુખત્યારનામુ કરી આપેલ ન હતું પરંતુ સોનલ તથા રાજુબેન તથા ક્રિપાલસિંહ મને અગાઉ બેંકની લોનમાં જામીનદાર તરીકે સહી કરવાનું કહી લઇ ગયેલા ત્યારે બેંક લોનના કાગળોમાં જામીનની સહીના બદલે મારા અંધાપાનો લાભ લઇ મારી સહીઓ કુલમુખત્યારનામામાં મારા ઘરે નાગરિક બેંકના રીકવરી ઓફિસર આવેલા અને બેંકની લોનના હપ્તા નહી ભરો તો બેંક મકાનની હરરાજી કરી નાખશે તેમ જણાવેલ જેથી મેં મારા ભાઇ નારણભાઇને વાત કરતા તેણે આ બાબતે તપાસ કરતા જાણવા મળેલ કે, આ સોનલ હરદિપ જામંગના નામનું મકાન છે અને આ મકાન સોનલએ અનીતા મનસુખ મકવાણા (રહે. રીધ્ધી સિધ્ધી સોસાયટી કવાર્ટર નં. એમ/૧૩૮૫) પાસેથી લીધેલ હોઇ મને અનીતાએ આ મકાન અરવિંદસિંહ અનીતાને વેંચી નાખેલ અને આ અનીતાએ આ મકાન રૂ. ૭,૨૫,૦૦૦માં મારા ભત્રીજા વહુ સોનલને વેંચાણ કરી કાગળો કરી આપેલ અને સોનલએ આ મારા મકાન ઉપર નાગરિક બેંકમાંથી રૂ. ૫,૮૦,૦૦૦ની લોન લઇ લીધી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે ભત્રીજો હરદિપ જામંગ તથા ભત્રીજા વહુ સોનલ સહિત છ શખ્સોએ છેતરપીંડી વિશ્વાસઘાત કર્યાની મંજુલાબેન ભગવાનજીભાઇ જામંગે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ જે.કે.ગઢવીએ તપાસ આદરી છે.(૨૧.૧૫)