Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

રાજકોટ તિરૂપતી પાર્કના સુરેશભાઇ લીંબાસીયાનો કોટડાનાયાણીની વાડીમાં ઝાડવે લટકી આપઘાત

સાંજે મોબાઇલ ફોન ઘરે મુકી કંઇ કીધા વગર નીકળી ગયા'તાઃ પરિવારજનો શોધવા જતાં લટકતાં મળ્‍યાઃ બિમારીથી કંટાળી ગયાની શક્‍યતાઃ પુત્ર-પુત્રીએ પિતાની છત્રછાંયા, પરિવારે આધારસ્‍તંભ ગુમાવતાં ગમગીની

રાજકોટ તા. ૨૯: શહેરના કુવાડવા રોડ ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે તિરૂપતી પાર્ક સોસાયટી-૨માં રહેતાં સુરેશભાઇ મોહનભાઇ લીંબાસીયા (ઉ.વ.૫૩)એ વાંકાનેરના કોટડા નાયાણી ગામે પોતાની વાડીએ ઝાડમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ તિરૂપતી પાર્કમાં રહેતાં સુરેશભાઇ સાંજે છએક વાગ્‍યે પોતાનો મોબાઇલ ફોન ઘરે મુકી કંઇ કીધા વગર નીકળી ગયા હતાં. મોડે સુધી ઘરે ન આવતાં અને તેમનો ફોન પણ ઘરે હોઇ પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. તેઓ ઘણીવાર વાડીએ જઇ સુઇ જતાં હોઇ પરિવારજનો તપાસ કરવા ત્‍યાં પહોંચતા તેઓ ઝાડમાં લટકતાં મળતાં બેભાન હાલતમાં નીચે ઉતારી તાકીદે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પણ અહિ મૃત્‍યુ નિપજતાં સ્‍વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ જાણ કરતાં વાંકાનેર તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. પરિવારજનોના કહેવા મુજબ સુરેશભાઇ ચાર બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતાં અને ખેતી કરતાં હતાં. હાલમાં બિમારી હોઇ તેનાથી કંટાળીને આ પગલુ ભરી લીધાની શક્‍યતા છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

(11:07 am IST)